પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
મ્યુનિસિપાલિટીમાં રચનાકાર્યનો આરંભ


“‘સામાન્ય ટીકાઓ’ એ મથાળા નીચે પોતાના કાગળમાં અમદાવાદના નવા કલેક્ટરે (આ ‘નવા’ શબ્દ ધ્યાનમાં લેવા જેવો છે કારણ જૂનો કલેક્ટર તો સરદારના કામનું મહત્ત્વ સમજી ગયેલો હોવો જોઈએ, અને આ નવો હજી સરદારને બરાબર ઓળખતો નહીં હોય) કારણ વિના જે અપમાનભરી ટીકા કરી છે તે સામે આ બોર્ડ સખત વાંધો ઉઠાવે છે અને આગ્રહ કરે છે કે એ ટીકા એણે પાછી ખેંચી લેવી જોઈએ.”
“જ્યાં સુધી આ ટીકાઓ પાછી ખેંચી લેવામાં આવે નહીં ત્યાં સુધી રિપોર્ટ ઉપર વિચાર કરવાનો બોર્ડ ઇન્કાર કરે છે.”
“આ ઠરાવની નકલ સરકારને મોકલી આપવી.”

આ ઠરાવમાંની હકીકતની તો ના પાડી શકાય એમ હતું નહીં છતાં તેને હળવો કરવા માટે તેના ઉપર સુધારા લાવનારા બોર્ડમાં પડ્યા જ હતા. છેવટે સરદારનો સુધારો ભારે બહુમતીથી પસાર થયો.

અસહકારની લડતમાં મ્યુનિસિપાલિટી પાસે સરદારે જે ફાળો અપાવ્યો તેની વિગતો અલગ પ્રકરણમાં આપવી ઠીક થશે. પણ તે ઉપર આવતાં પહેલાં રાજકીય ક્ષેત્રમાં સરદારનો પ્રવેશ અને અસહકારની લડત સુધીની તેમની પ્રવૃત્તિઓનું બ્યાન આપવું જોઈએ.