પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
યરવડા જેલમાં ગાંધીજીની સાથે


તા. ૨૩–૪–’૩૨ : અમારે ત્યાં છાપાં વાંચવાનું કામ વલ્લભભાઈનું. હું પીંજીને કાંતવાને માટે વરંડામાં આવું ત્યાં વલ્લભભાઈ છાપાંનું બીજું વાચન કરતા હોય. હું પૂછું, “ટૂંકમાં સમાચાર.” તો એમની પાસે જવાબ તૈયાર હોય : “મુસ્લિમ પરિષદમાં ખેડાના કલેક્ટર, સેમ્યુઅલ હોર ટેનિસ રમે છે.” તો બીજે દિવસે ખબર હોય “મિ. એસ. પરણ્યા. સરોજિનીદેવી પકડાયાં. માલવીજી મોટરમાં દિલ્હી જવા નીકળી પડ્યા છે.”
તા. ર૯–૪–’૩૨ : આજે બાપુ તારીખ ભૂલી ગયા. હું પણ ભૂલી ગયો અને મેં કહ્યું: “આજે અઠ્ઠાવીસમી.”
વલ્લભભાઈ કહે : “તમારા ગ્રહ કાલથી બદલાયા તે પણ ભૂલી જાઓ છો ? આજે તો ઓગણત્રીસમી થઈ.”
એટલે બાપુ કહે : “હા, જૂઓની હુંય કેવો મૂરખ ! અને ગ્રહ બદલાયા છે તેનો પુરાવો આપવા જાણે આજે હોરનો કાગળ આવ્યો છે.”
“બધા નાગા છે” એ વલ્લભભાઈનો ચુકાદો. “ધીમે ધીમે માનશે. પેલા કલકત્તાવાળા બેન્થૉલને પણ તમે સારો જ માનતા હતા. પછી કેવો નીકળ્યો ?”
બાપુ: “મને મારા અભિપ્રાય ફેરવવાનું જરૂરી લાગ્યું નથી. બેન્થૉલ વિષે જે હકીકત મળી હતી તે ખાટી હતી. હોરને વિષે જે અભિપ્રાય મેં આપ્યો તે સાચો જ ૫ડતો જાય છે. સૅંકીને વિષે બધાની વિરુદ્ધ થઈને મેં જે અભિપ્રાય આપ્યો છે, તે પણ સાચો જ પડી રહ્યો છે.”
મેં કહ્યું, “હોરને વિષે વલભભાઈ પણ કબૂલ કરે છે કે આ માણસ જે વિનય બતાવી રહ્યો છે તે મૅકડોનલ્ડ તો ન જ બતાવી શકે. વિલિંગ્ડને તો નથી જ બતાવ્યો.” બાપુ કહે: “કદાચ અર્વિન પણ ન બતાવે.”
મેં કહ્યું : “અર્વિને મગનલાલભાઈ ગુજરી ગયા ને જે કાગળ લખેલો તે તો ન જ ભુલાય.”
વલ્લભભાઈ કહે, “મહાદેવ, લડાઈ છોડી દે ને, તો બધા એવા કાગળો લખતા થઈ જાય. કેશ રાખે તો શીખો નાનકની ગાદી ઉપર સ્થાપે એમ !”
તા. ૧–૫–’૩ર : લૉડ સૅંકીનો ‘ન્યૂસ લેટર’ છાપામાં લખાયેલો લેખ આખો આજે અહીંના છાપામાં જોયો. તેથી બાપુ બહુ દુઃખી થચા. એમાં પોતાને વિષેનો ભાગ વાંચીને બાપુ કહે, “અવળચંડો લેખ છે. એને કાગળ લખવો જોઈએ. મારો એને વિષેનો અભિપ્રાય સાચો પડે છે.”
કાગળ લખાવ્યો. વલ્લભભાઈ સાંભળતા હતા. પૂરો થયો એટલે કહે: “આટલું લખો છો એના કરતાં એને લખાને કે તું હાડોહાડ જૂઠો છે.”
બાપુ ખડખડાટ હસ્યા. તેમણે કહ્યું, “નહીં, એના કરતાં વધારે સખત મેં કહ્યું છે. હું તો કહું છું કે એનું વર્તન સજ્જનને ન છાજે એવું છે. તેથી આગળ વધીને કહું છું કે તું દ્રોહી છે. મિત્ર કે સાથીને તેં દગો દીધો. અંગ્રેજને આ વસ્તુ ભારે આકરી લાગે એવી છે. પણ એ મને લાગે છે એટલે મેં લખ્યું છે.”
તા. ૩–૫–’૩૨ : માલવીજી છૂટી ગયાના સમાચાર આવ્યા. વલ્લભભાઈએ કાલે અને આજે મળીને ચારપાંચ વખત મને અને બાપુને કહ્યું હશે, “ત્યારે