પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
સરદાર વલ્લભભાઈ
માલવીજી તો છૂટી ગયા.” આવી કઈ ખબર આવે છે ત્યારે તેની ઉપર વિચાર કરવાની વલ્લભભાઈની એ રીત છે. આજે આખો દિવસ એમણે આની ઉપર વિચાર ચલાવ્યા હશે. સૂતી વખતે પણ કહે, “ત્યારે માલવીજીને આઠ જ દિવસમાં છોડી દીધા.”
તા. ૬–૫–’૩ર : આજે બાપુએ મગન રેંટિયા ઉપર બેએક કલાક મહેનત કરી, અને આખરે ચોવીસ તાર કાઢ્યા ત્યારે એમને શાંતિ થઈ. વલ્લભભાઈ આખો દિવસ હસતા હતા અને કહેતા હતા, “જેટલું કાઢશો તેથી વધારે બગાડશો.”
બાપુ કહે, “એ તો મારા ડાબા હાથે કાંતવા વિષે હસનારા પણ તમે જ હતા ને? જુએ, આ તાર નીકળવા માંડ્યો. તમે આ તરફ નહીં જોશો ત્યાં સુધી તાર નીકળ્યાં જ કરશે.”
તા. ૮–૫–’૩ર : એક ચોપડીનાં પૂઠાં ઊખડી ગયેલાં હતાં. બાપુ વલ્લભભાઈને કહે: “ કેમ, આ તમને સોંપી દઉં ના ? તમે બુક બાઈન્ડરનું કામ કદી કર્યું છે ? ન કર્યું હોય તો હું શીખવીશ.” પછી આજે સવારે આંટા મારતાં કહે : “તમને વલ્લભભાઈ, નાનાં નાનાં કામો કરવાનો શોખ નાનપણથી કે અહીં કેળવ્યો ? એટલે કે તમે કારીગર હતા જ કે અહીં થયા ?”
વલ્લભભાઈ કહે : “એવું કાંઈ નહીં પણ જોઈએ એટલે સુઝે.”
બાપુ કહે, “એ વસ્તુ જ જન્મસહજ છે. દાસબાબુ સોયમાં દોરો પણ ન પરોવી શકે એવા હતા. મોતીલાલજી અનેક વસ્તુ કરી લે.”
મેં કહ્યું, “મોતીલાલજીએ પાણી જંતુરહિત કરવાનો સંચો પોતે જ ઘરમાં બનાવ્યો હતો. અને એ બધાં માંદાને જંતુરહિત પાણી જ પાતા.”
આજે વલ્લભભાઈએ ચોપડી સુંદર સીવી, અને એની પાછળ પટ્ટી પણ લગાડી. તે ઉપરાંત બદામ પીલવાનો સંચો આવ્યો હતો તેના ઉપર બદામ પીલી.
તા. ૧૦–૫–’૩ર : કાલે મગન ચરખો ચલાવતાં તેની ઉપર જમણો હાથ બેઠો એટલે બાપુ ઉત્સાહમાં આવ્યા. પણ આજે ચરખો કેમે ચાલે નહીં. વલ્લભભાઈને સવારનું કહી રાખ્યું હતું કે, “તમારા શાપ નહીં લાગે તો ચાલશે.” નવ-દસ વાગ્યા સુધી ચલાવ્યું પણ પૂણી બગડવા ઉપરાંત કશું પરિણામ ન આવ્યું. વલ્લભભાઈ કહે: “એક કોકડું ઉતારીને બીજું ભર્યું કે શું ?”
બપોરે પણ એ જ પ્રકાર, રેંટિયાનાં જોતર ટાઈટ કર્યાં, તેલ પૂર્યું, બધાં વાનાં કર્યાં, મેં પણ ઘડીક વાર માથું માર્યું પણ ચાલે જ નહીં. વલ્લભભાઈ ઊંઘીને ઊઠ્યા એટલે કહે: “ખૂબ કાંત્યું હવે બંધ કરો.”
બાપુ કહે: “કાંતીશું કાંતીશું. અમારો કારવાં અટકી પડવાનો નથી. આખરે સેમ્યુઅલ હોરની સાથે બેસનારે હું રહ્યો ના !”
વલ્લભભાઈ : “નીચે બહુ કાંતેલું પડ્યું દેખાય છે.”
સાંજે તો વલ્લભભાઈની પણ મશ્કરી ચલાવવાની વૃત્તિ નહોતી રહી. બાપુએ ડાબે હાથે શરૂ કર્યું. લગભગ પાંચ કલાક મહેનત કરી હશે. બાપુ સાંજે તદ્દન થાકેલા હતા. લોથપોથ થઈને આઠ વાગ્યા પહેલાં પગ ચોળાવતાં ઊંઘવા લાગ્યા અને ઊઠીને તરત સૂઈ ગયા. જતાં જતાં વલ્લભભાઈને કહે : “જો જો, કાલે રેંટિયો જરૂર ચાલવાનો છે, શ્રદ્ધા મોટી છે.”