પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

વલ્લભભાઈ કહે: “આમાં પણ શ્રદ્ધા !”
બાપુ કહે : “હા હા, શ્રદ્ધા તો ખરી જ.”
તા. ૧૧–૫–’૩ર : બાપુ આજે રેંટિયા ઉપર વધારે સફળ થયા, ત્રણ કલાક કાંતીને ૧૩૧ તાર કાઢ્યા. વલ્લભભાઈને કહે : “જુઓ, આજે કેવું પરિણામ આવ્યું છે?”
વલ્લભભાઈ કહે : “હા, નીચે ઠીક સૂતરફેણી પડી છે.”
બાપુ : “પણ એ સૂતરફેણી બંધ થશે પછી તો કહેશો ને કે હવે થયું !”
તા. ૨૫–૫–’૩ર : વલ્લભભાઈને પાકીટો બનાવતા, અનેક વસ્તુઓ સંઘરતા અને બીજા અનેક કિસ્સાઓ કરતા જોઈને બાપુ કહે : “સ્વરાજમાં તમને શેનું દફતર આપીશું ?”
વલ્લભભાઈ કહે : “સ્વરાજમાં હું લઈશ ચીપિયો અને તૂમડી !”
બાપુ કહે : “દાસ અને મોતીલાલજી પોતાના હોદ્દા ગણતા, અને મહમદઅલી અને શૌકતઅલીએ પોતાને કેળવણી મંત્રી અને સરસેનાપતિ તરીકે ગણાવ્યા હતા. લાજમાં રહ્યા લાજમાં, કે સ્વરાજ્ય ન આવ્યું અને કશું ન થયું.”
તા. ૨૭–૫–’૩ર : કાલે બાપુને ઉર્દૂ કૉપી લખતા જોઈને સરદાર કહે : “એમાં જો જીવ રહી જશે તો ઉર્દૂ મુનશીનો અવતાર લેવો પડશે.” પછી કહે, “તમારું ચાલે તો પગે પણ કલમ ચલાવો.”
બાપુ કહે : “હાથ ખોટકી પડે તો તેવું કરવું પડે. તમને ખબર છે કે ઘૂમલી આગળ મૂળુ માણેક અને જોધો માણેક અંગ્રેજ સામે લડતાં લડતા પડ્યા ત્યારે તેમણે પગ વતી બંદુક ચલાવી હતી ? જો પગ વતી ગોળી ચાલી તો પગ વતી કલમ ન ચાલે ? અને રેંટિયો નહી ચાલી શકે ? હા, પગ વતી પૂણી ન ખેંચી શકાય એ દુઃખની વાત છે.”
તા. ર૯–૫–’૩ર : સરદારનું કેટલીક બાબતોનું અજ્ઞાન વિસ્મય પમાડે છે. મને પૂછે છે કે વિવેકાનંદ કોણ હતા ? અને ક્યાંના હતા ? એ બંગાળી હતા એમ જાણ્યું ત્યારે આજે જરા વિશેષ સ્પષ્ટીકરણ કર્યું કે, “રામકૃષ્ણ અને એ બંને બંગાળમાં જન્મેલા ?” ‘લીડર’ માં એક નોંધમાં સુભાષનો કાગળ આવ્યો હતો. તેમાં એણે પોતાના આદર્શ પુરુષ તરીકે વિવેકાનંદને વર્ણવ્યા હતા એટલે સરદારે આટલું કુતૂહલ જણાવ્યું હશે. હવે તો રોમે રોલાંના રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ બંને પુસ્તક વાંચી જવાના.
‘સંઘર્યો સાપ પણ કામનો’ એ કહેવત શી રીતે ઉત્પન્ન થઈ ? બાપુએ એક વાત કરી કે એક ડોસીને ત્યાં સાપ નીકળ્યો. તેને મારવામાં આવ્યો. તેને નાખી દેવાને બદલે છાપરે મૂક્યો. એક ઊડતી સમળી જે ક્યાંકથી માતીનો હાર લાવી હતી, તેણે તે જોયો, તેને હારના કરતાં સાપ કીમતી લાગ્યો. એટલે હાર છાપરા ઉપર નાખ્યો અને સાપ ઉપાડી ગઈ. ડોસીને સાપ સંઘરતાં હાર મળ્યો.
સરદારે કહેવતનું મૂળ આ પ્રમાણે બતાવ્યું : “એક વાણિયાને ત્યાં સાપ નીકળ્યો. તેને મારનાર કોઈ મળે નહી, અને પોતાની હિંમત ચાલે નહીં એટલે