પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
સરદાર વલ્લભભાઈ

તપેલા તળે ઢાંક્યો. રાત્રે આવ્યા ચોર. તેઓ કુતૂહલથી તપેલું ઉઘાડવા ગયા, ત્યાં સાપ કરડ્યો અને ચોરી કરવાને બદલે પંચત્વ પામ્યા.”

અમે ઠરાવ કર્યો કે નરસિંહરાવને પૂછવું જોઈએ. ખાસ કરીને આ વખતના ‘વસંત’માં ‘એક કાંકરે બે પક્ષી મારવાં’ એ કહેવત ઉપર આટલાં બધાં પાનાં ભરાયાં છે તેથી પ્રેરાઈને આ વિચાર આવ્યો.

તા. ૩૦–૫–’૩ર : એક અમેરિકન બાઈએ કાગળ લખીને બાપુને પુછાવેલું : કોઈ સર હેન્રી લૉરેન્સે ૧૯૨૨માં જેલમાં બાપુની મુલાકાત લીધેલી તેનું વર્ણન એવું કરેલું કે, “હું ગાંધીને પૂનામાં મળેલો. આગળ એકાંત બગીચાવાળી ઓરડીમાં એમને રાખવામાં આવેલા. ગીબનનું ‘રોમન સામ્રાજ્યનો અસ્ત અને વિનાશ’ એ પુસ્તક તેઓ વાંચતા, અને કાંતતા.” આ વાત કેટલી સાચી છે ? આ વિષે બાપુએ એક કાગળ લખાવ્યો.

મેં કહ્યું: “આની છાપ તો એવી પડે કે એ માણસની સત્યતા ઉપર આપ શંકા કરો છો.”

બાપુ કહેઃ “તો બદલો. કારણ આપણે એવી શંકા કરતા નથી.”

પછી વલ્લભભાઈ કહે : “એ માણસ ત્યાં પ્રચાર ચલાવી રહ્યો હશે. એ બાઈને લખો કે અહીં તો કાંઈ બગીચા નથી, કેદીઓ છે, વગેરે. અમુક સાલમાં હું અહીં હતો ત્યારે અમુક પુસ્તકો વાંચતો હતો અને કાંતતો હતો, અને સ્મૃતિ મંદ પડવાનો ડર તો સર હેન્રીને હોય. કારણ એની ઉંમર મારા કરતાં મોટી છે.”

મેં કહ્યું : “આવો જવાબ તો બર્નાર્ડ શૉ આપે.” એ જવાબમાં કુશળતાની છાપ ન પડવી જોઈએ એવો મારો હેતુ હતો. વલ્લભભાઈ તપી ગયા. બાપુએ બીજો કાગળ લખાવ્યો.

આજે ‘હિંદુ’માં રૉઈટરની વિમાની ટપાલમાંથી હતું, “એક અંગ્રેજ બાઈ લંડનના લોકોને સમજાવે છે કે ગાંધી હવે આથમતો સિતારો છે. લૉર્ડ વિલિંગ્ડનની નીતિ સાચી ઠરી છે. ગાંધીના અનુયાયીઓનો ભ્રમ ભાંગી ગયો છે. જેલોની મુલાકાત લીધી. બહારના દેશી લોકોના જીવનધોરણ કરતાં જેલમાંનું જીવનધોરણ બહુ ઊંચું છે, લેડી વિલિંગ્ડન અતિશય લોકપ્રિય છે, અને રાજાઓ પણ.” આ ખબર ‘ટાઇમ્સે’ નહોતા લીધા. બાપુ કહે: “‘ટાઈમ્સ’ ને છાપતાં શરમ આવી હશે.”

વલ્લભભાઈ : “શરમ તો શેની આવે ? એ આમાં ભળેલું હોય ને ?”

બાપુ કહે : “એ આમાં ભળેલું હોય છતાંયે આ એટલું ઉઘાડું છે કે અહીં એવું છાપતાં શરમ આવે. આ તો વિલિંગ્ડન સાહેબે ઊભી કરેલી કોઈ બાઈ છે.”

તા. ૩૧–૫–’૩૨ : આજની ટપાલમાં એક માણસે નાદાન અને બાલિશ પ્રશ્ન પૂછેલો: “આપણું ત્રણ મણનું શરીર લઈને આપણે ધરતી ઉપર ચાલીએ અને અનેક કીડીઓ ચગદાઈ જાય એ હિંસા શી રીતે અટકાવવી ?”

વલ્લભભાઈએ તરત કહ્યું : “એને લખોને કે પગ માથા ઉપર મૂકીને ચાલે.”