પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

તા. પ-૬-’૩ર : બાપુને જોવા આવેલો ડૉક્ટર કહે : “લૉર્ડ રેડિંગનો અંદાજ છે કે આપણે રોજના સોળ લાખ રૂપિયા ભિખારીઓને ખવડાવવામાં અને દાન આપવામાં ખર્ચીએ છીએ. એનો બીજો ઉપયોગ ન થાય ?”

વલ્લભભાઈ : “હા, પણ એના કરતાંયે વધારે ડાકુઓ ઉપર ખર્ચીએ છીએ.”

ડૉક્ટર કહે : “હું સમજ્યો નહીં.”

વલ્લભભાઈ કહે : “અરે શું મારા સાહેબ, વિલાયતથી આ બધા ધાડપાડુઓ જ આવેલા છે ને ? એ કાંઈ ડાકુ કરતાં સારા કહેવાય ?”

તા. ૧૧-૬-’૩૨ : બાપુને હાથનો દુખાવો વધતો જતો હતો તોય કાંતવાનું છોડતા નહોતા. વલ્લભભાઈ : “આ અંગૂઠા ઉપરથી કોણી સુધી પહોંચ્યું. એ કોણી ઉપરથી કાંધે ચડશે. હવે રહેવા દો ને, બહુ કાત્ચું.”

બાપુ: “કોક દિવસ તો કોકની કાંધે ચડવું પડશે જ ના ?”

વલ્લભભાઈ : “ના રે, એમ ન થાય. દેશને અધવચ મૂકીને ન જવાય. એક વાર વહાણ કિનારે લાવો, પછી જ્યાં જવું હોય ત્યાં જજો. હું સાથે આવીશ.”

તા. ૧૪-૬-’૩ર : લીંબુ ઉનાળામાં મોંઘાં થયાં એટલે બાપુએ વલ્લભભાઈને સૂચવ્યું, “આપણે લીંબુને બદલે આમલી લઈએ. આમલીનાં ઝાડ તો જેલમાં ઘણાંય છે.”

વલ્લભભાઈએ એ વાતને હસી કાઢી : “આમલીના પાણીથી હાડકાં ભાગે, વા થાય.”

બાપુએ પૂછ્યું: “ ત્યારે જમનાલાલજી પીએ છે તે ?”

વલ્લભભાઈ : “જમનાલાલજીનાં હાડકાં સુધી આમલીને પેસવાનો માર્ગ નથી.”

બાપુ : “પણ એક વાર મેં ખૂબ આમલી ખાધી છે.”

વલ્લભભાઈ: “તે કાળે આપ પથ્થર પણ હજમ કરી શકતા. આજે એ શી રીતે બને ?”

વલ્લભભાઈ હવે પરબીડિયાં બનાવવામાં પ્રવીણ થતા જાય છે. દરરોજ કંઈક નવી યુક્તિ સુઝે છે, અને કાગળના ટુકડે ટુકડા ઉપર એમની નજર હોય છે. બાપુ કહે : “નકામા કાગળો ઉપર તમારું ચિત્ત એવું ચોંટેલું હોય છે, જેવું પેલી બિલાડીનું ઉંદર ઉપર ચોંટેલું હોય છે.”

તા. ૨૩-૬-’૩૨ : એક જાણીતી સ્ત્રી વિધવા હોઈ એક જાણીતા સજ્જનને પરણી હતી. મેં સહેજે પૂછયું: “એ સજ્જનના મરણ પછી એ પાછી પરણશે?”

વલ્લભભાઈ કહે: “હવે એ ઘોડો કોણ ઘેર બાંધે ? એને તે સૌ કોઈ ઓળખે છે. અને એની ઉંમર થઈ. હવે એ પરણવા ઇચ્છે પણ નહીંં.”

બાપુ: “એક ચોસઠ વર્ષની બાઈએ ફરીથી લગ્ન કરેલું મને યાદ છે. એ બાઈ કેવળ એક સાથી મેળવવાને ખાતર પરણેલી.”

મેં કહ્યું : “ગેટેએ ૭૩ વર્ષની ઉંમરે એક અઢાર વર્ષની છોકરી સાથે પરણવાની માગણી કરેલી. એનાં માબાપને આઘાત પહોંચ્યો અને ના પાડી.”