પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

વસ્તુ છે. એ બાબતમાં લડાઈ કરવી જોઈએ. લડાઈ એ કે આપણે એને કહેવું કે એ શરતે અમે કાગળો નહીં લખીએ.”

વલ્લભભાઈ : “એ લોકો તે ‘………’ કહેશે કે ભલે ન લખે, એમાં આપણે શું ?”

બાપુ કહે: “તેનું કાંઈ નહીં.”

તા. ૨૪-૭–’૩૨ : સવારે ગઈ રાત્રે ચર્ચેલું પ્રકરણ પાછું ચાલતાં ચાલતાં ઉપાડ્યું. વલ્લભભાઈનો અભિપ્રાય પૂછ્યો. વલ્લભભાઈ કહે : “આમ કાગળો લખ્યાં કરવા પડે તેના કરતાં બંધ કરી દેવું એ સારું. એ લોકોને તો કોઈને એની અસર નથી જ થવાની.”

બાપુ: “અસર નથી થવાની એની પરવા નથી. જોકે અસર છેવટે થયા વિના નહીં રહે… આ સુપરિન્ટેન્ડેન્ટ અને જેલર ઉપરના અવિશ્વાસને વિષે પણ મને ચીડ ચડે છે. પણ એ લોકોમાં જ દૈવત નથી ત્યાં આપણે શું કરીએ ?”

વલ્લભભાઈને કહે : “તમે સંસ્કૃતમાં શ્રેય અને પ્રેય વિશે શીખશો. આ સવાલમાં પ્રેય બતાવે છે કે આપણે કાગળ લખ્યાં કરવા, શ્રેય કહે છે કે તેનો ત્યાગ કરીએ.”

તા. ૨૫-૭-’૩૨ : વલ્લભભાઈના તળપદા વિનોદ કોક વાર તીર વેગે ચાલે છે. મેજર મહેતા બિચારા પૂછે ઓટાવામાં શું થશે ? એટલે વલ્લભભાઈ કહે: “નાહકના ઓટાવા સુધી ગયા છે. અહીં ઓર્ડિનન્સથી જે જોઈએ તે કરી લે. પછી ત્યાં સુધી શા સારુ જવું પડે ?” પેલો બિચારો દિગ્મૂઢ થઈ ગયો.

તા. ર૭-૭-’૩ર : વલ્લભભાઈને સંસ્કૃત શીખવવામાં બહુ ગંમત આવે છે. वासांसि કેમ વાપર્યું અને वस्त्राणि કેમ નહીં ? એકવચન, દ્વિવચન અને બહુવચન એ શું ? સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય ? કૃદંત કોને કહેવાય ? વગેરે પ્રાથમિક સવાલો બાલોચિત નિર્દોષતાથી પૂછે. નવા શબ્દો શીખે અને શીખે તેનો પ્રયોગ કરે. આ તમને ન શોભે એને માટે કહે ईदं न शोभनं अस्ति। અને કટ્ટર ટોરીઓને વિષે કહે છે તે બધા आततायी લોકો છે. આજે પૂછે “ शनैः शनैः એટલે શનિવારે ?” “वासांसि કેમ વાપર્યું અને वस्त्राणि કેમ નહીં એ સવાલનો જવાબ તો રસ્કિન જેવો આપી શકે,” એમ બાપુએ કહ્યું'.

તા. ૨-૮-’૩૨: સાંજે બાપુએ પૂછ્યુ: “…ની ૬૧મી જન્મતિથિ ક્યારે છે ભલા ?”

વલ્લભભાઈ : “કેમ શું કામ છે ? તમારે કાંઈ લખવું છે ?”

બાપુ કહે: “હાસ્તો, બીજાને લખીએ અને એણે શો વાંક કર્યો છે ?”

વલ્લભભાઈ : “કોઈ તમને પૂછે, તમારી પાસે કાંઈ માગે ને લખી મોકલો તો જુદી વાત છે. નહીં તો તમે અહીં જેલમાં બેઠા છો. તમારે લખવાની શી જરૂર ?”

બાપુ: “ એમ કેમ ? એમનાં લખાણો બહુ ઊંચો દરજ્જો ધરાવે છે. લેખકમાં એ પહેલા બીજા ગણાય.”

વલ્લભભાઈ ઘડીક વાર ચૂપ રહ્યા. પછી કહે : “ગણાતા હશે.”