પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
સરદાર વલ્લભભાઈ

બાપુ કહે: “હશે કેમ ? છે.”

વલ્લભભાઈ કહે : “જાણ્યા જાણ્યા હવે. શા સારુ એવા બાયલા માણસને લખી એને ઉત્તેજન આપવું ? દેશમાં દાવાનળ સળગી રહ્યો છે ત્યારે બેઠા બેઠા લેખ લખાતા હશે?”

બાપુ: “એમના લેખોથી સેવા નથી થતી એમ તમે કહો ?”

વલ્લભભાઈ : “વિદ્વાનોના લેખોથી જરાય સેવા નથી થતી. વિદ્વાનો વાંચવા લખવાનો શોખ લગાડે છે અને તેમ કરીને ઊલટા નુકસાન પહોંચાડે છે. માણસોને વાંચવા લખવાના મોહમાં નાખીને નમાલા કરી મૂકે છે. નમાલા કરે એ વિદ્યા અને લખાણ શા કામનાં ?”

બાપુ: “એમના લખાણ વિષે એમ કહેવાય છે ખરું ? મેં એમનું લખેલું …નું જીવનચરિત્ર નથી વાંચ્યું પણ એ જીવનચરિત્ર નમાલા કરે ?”

વલ્લભભાઈ : “લોકો એણે લખેલું બીજાનું ચરિત્ર વાંચશે કે એનું ચરિત્ર જોશે ?”

બાપુ: “એનું ચરિત્ર શું ખોટું છે? તમને ખબર છે ૧૯૧૬-૧૭માં વિલિંગ્ડને લડાઈને અંગે મુંબઈમાં ટાઉન હૉલમાં મીટિંગ બોલાવી હતી. તેમાં બધાને લડાઈમાં મદદ કરવાની અપીલ કરી હતી. ટિળક પક્ષે અમુક શરતે જ મદદ થઈ શકે એવા પ્રકારના સુધારાનો ઠરાવ મૂકવાનો નિશ્ચય કર્યો. નહી તો સભા છોડી જવાનો નિર્ણચ હતો. એ પક્ષ તરફથી તેઓ ઊભા થયા. બધાએ ખૂબ હુરિયો કરવાનો પ્રયત્ન કર્યો. પણ એ અડગ ઊભા રહ્યા, અને કહેવાનું હતું તે બધું કહીને પછી બધાએ સભાનો ત્યાગ કર્યો.”

વલ્લભભાઈ : “ઓહો, એ નાટક તો એમને કરતાં આવડે છે.”

બાપુ: “ત્યારે તમારે શું જોઈએ એમની પાસે ?”

વલ્લભભાઈ : “કાંઈ ત્યાગ તો કરે કે નહીં ?”

બાપુ: “શું જેલમાં આવે એ જ ત્યાગ ગણાચ કે ?”

વલ્લભભાઈ : “હું એમ નથી કહેતો. પણ હું એમને જાણું છું અને તમે એમને જાણતા નથી. એટલે શું કહું ? એ તો થોડામાં થોડો ત્યાગ અને વધારેમાં વધારે લાભમાં માનનારા છે.”

બાપુ: “હા, એ તો એની ફિલસૂફી છે.”

વલ્લભભાઈ : “હા, છે જ તો. બળી એ ફિલસૂફી. થોડામાં થોડો ત્યાગ પોતા તરફથી, લોકો તો ગમે તેટલા ખુવાર થઈ જાય અને વધારેમાં વધારે લાભ પોતા માટે.”

બાપુ: “જો જો. હું આ બધું એમને કહીશ.”

વલ્લભભાઈ : “એમને મોઢે બધું સંભળાવું એમ છું, અને સંભળાવ્યું પણ છે. એક વાર બધા ભેગા થયા હતા, ત્યાં સૌ કહેવા લાગ્યા એ તો નિવૃત્ત થવાના છે. મેં કહ્યું, શેના નિવૃત્ત થાય ? નિવૃત્ત થવાનો શું હક છે? જાહેર જીવનમાં શું જખ મારવા પડયા હતા ? જાહેર જીવનમાં પડે એ નિવૃત્ત થાય જ શેનો ?”