પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

બાપુ: “એમાં એમનો વાંક ? એ તો બિચારા કામ કરતા હોત પણ એમને કમનસીબે હું આવ્યો અને એમની બાજી ભાંગી પડી. એમને મારા કામમાં શ્રદ્ધા નહીં હોય એટલે એ ખસી બેસે, અને નિવૃત્ત થવાનો વિચાર કરે એમાં શું આશ્ચર્ય ?”

વલ્લભભાઈ : “ઠીક, ત્યારે લખજો. તમે તો પાછા ‘सत्यमपि प्रियम् ब्रुयात्।’વાળા ખરા ને ?”

બાપુ: “મહાદેવ, આ વાક્ય એમના શીખવામાં આવી ગયું છે કે શું ?”

હું : “હા બાપુ, હવે તો કાલથી ગીતાપ્રવેશ થશે અને એમણે ગીતા વાંચી હશે ત્યારે તો તમારી આગળ એવા અવનવા અર્થ મૂકશે કે તમને થશે કે આ તો ભોગ મળ્યા !”

સૂતી વખતે મેં વલ્લભભાઈને પૂછવું: “ ત્યારે કાલે ગીતાનો આરંભ કરશું ના ?”

એટલે ખાસા કહે: “आदौ वा यदि पश्चात् वा वेदं कर्म मारिष.” પેલે દહાડે હું સુપરિન્ટેન્ડેન્ટની કાંઈક ટીકા કરતો હતો એટલે મને કહે: “नैतत्वच्युपद्यते। અને થૅન્ક્સને માટે कृतार्थोऽहम् વારંવાર કહે છે.

તા. ૧૪-૮-’૩૨ : આજે સવારે બાપુ પૂછતા હતા : “વલ્લભભાઈના ઉચ્ચારો સુધરે છે કે ?”

મેં કહ્યું: “જરૂર. એમને હવે ખબર પડી જાય છે કે આ ઉચ્ચાર ખોટો. સાચી વાત તો એ છે કે એમને આ અભ્યાસમાં ખૂબ રસ પડવા લાગ્યો છે. આજ સુધી આ વસ્તુ જાણી નહોતી. હવે આ નવી જ વસ્તુ હાથ લાધી. स्वर्गद्वारमपावृतम् જેવી લાગણી થયેલી છે એટલે વિદ્યુતવેગે પ્રગતિ કરતા જાય છે.”

બાપુ કહે: “એ જ અભ્યાસની કૂંચી છે. સંસ્કૃતના તો આપણા જૂના સંસ્કારો. બધું વાતાવરણ એથી ભરેલું. એટલે એના અભ્યાસ વિષે એવું લાગે. પણ કોઈ પણ ભાષાનો સૂક્ષ્મ અભ્યાસ કરવા બેસો તો એ જ લાગણી થાય.”

તા. ૧૯-૮-’૩૨ : આજે કોમી ચુકાદા વિષે સપ્રુનો અભિપ્રાય આવ્યો. એને તો બંધારણીય સવાલ આગળ આ સવાલનું મહત્ત્વ નજીવું લાગે છે. આ ચુકાદો આપવામાં સાફ દાનત અને પ્રામાણિક પ્રયત્ન એ જુએ છે. બાપુએ જરાક સરખી ટીકા કરી : “સપ્રુનું કામ મુંજેથી ઊલટું છે. મુંજેને કોમી માગણી મળે તો બંધારણની પરવા નથી. સપ્રુને બંધારણ મળે તો કોમી પ્રશ્નનું ગમે તે થાય તેની પરવા નથી.” માત્ર વલ્લભભાઈના દુઃખનો પાર નથી. એ કહે છે કે, “મને હંમેશાં લિબરલોનું આમ જ લાગ્યું છે. ક્ચારે એ લોકો શું કરશે એ કહેવાય જ નહી. ડહાપણનો ઇજારો એ લોકોનો જ. આજે બ્રિટિશની સાફ દાનત એ લોકોને દેખાય છે, જ્યારે દેશમાં કોઈને સાફ દાનત દેખાતી નથી. એનું કારણ છે. હજી એમને પોતાની ખોયેલી પ્રતિષ્ઠા મેળવવી છે. નહીં તો પછી એમને ઊભા રહેવાનું સ્થાન રહ્યું નહીં ના ?”

મેં કહ્યું : “એ લોકો તો બાપુનું પગલું વખોડી કાઢવામાં સરકાર સાથે ભળવાના.”