પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

તમે બંને આમાં ભળેલા છો એટલે તમારી જવાબદારી ખરી. પણ છેવટે તો મારી જ જવાબદારી છે. કારણ મને જે ઊગી ગયું એ કર્યું. આ વસ્તુ જ એવી છે કે એમાં કોઈની સંમતિની જરૂર ન હોય.”

તા. ૨૩-૮-’૩૨ : ઉપવાસ વિષે કાંઈ શંકાઓ હોય તો પૂછવાનું બાપુએ કહ્યું, વલ્લભભાઈ કહે : “બધુંયે બનાવ બન્યા પછી સમજાઈ જશે. આજે ભલે નહીં સમજતું હોય. અને આજે તમારી સાથે દલીલ કરીને શું કરવું ? જે થનાર તે થઈ ગયું. મારું કહ્યું માન્યું હોત તો આ ચુકાદો ન આવત. આ તો તમે પોતે કાગળ લખ્યું એટલે એ ચુકાદો આવ્યો ! ત્યાંના બધા એવા છે કે એમને એમ થાય છે, કે કોઈ પણ રીતે તમે જાઓ તો છૂટીએ.”

રાત્રે કોક વાર વરસાદ આવે ત્યારે ખાટલો ઉઠાવીને વરંડામાં લાવવો ભારે પડે છે. એટલે બાપુએ મેજર પાસે હલકો ખાટલો માગ્યો. એ કહે કે કાથાની દોરીની ચારપાઈ છે એ ચાલશે ?

બાપુ કહે : “હા.”

મેજર કહે : “તમે કહો તો કાથાની દોરી કાઢીને એના ઉપર પાટી ભરી આપીશ.”

સાંજે ખાટલો આવ્યો. બાપુ કહે : “આના ઉપર પાટી બંધાવવાની કશી જરૂર જ નથી. મારી પથારી આજે એના ઉપર કરો.”

વલ્લભભાઈ કહે : “અરે શું ? એના ઉ૫ર તે સુવાતું હશે ? ગાદલામાં કાથીના વાળ ઓછા છે જે કાથાની દોરી ઉપર સૂવું છે ?”

બાપુ : “પણ જુઓની, આ ખાટલો કેટલો સ્વચ્છ રહી શકે છે ?”

વલ્લભભાઈ : “તમેય ખરા છો ! એના ઉપર તો ચાર નાળિયેર ચાર ખૂણે બાંધવાના બાકી છે. એ અપશુકનિયો ખાટલો નહીં ચાલે. એના ઉપર કાલે પાટી ભરાવી દઈશ.”

બાપુ : “ના વલ્લભભાઈ, પાટીમાં ધૂળ ભરાય. પાટી ધોવાય નહીં. આના ઉપર તો પાણી રેડ્યું કે સાફ.”

વલ્લભભાઈ : “પાટી ધોબીને આપી કે બીજે દિવસે ધોવાઈને આવે.”

બાપુ : “પણ આ તો દોરી ઉખેડવી ન પડે, એમ ને એમ ધોઈ શકાય.”

હું : “હા બાપુ, એ તો ગરમ પાણીએ ઝારી શકાય. અને એમાં માંકડ પણ ન રહી શકે.”

વલ્લભભાઈ : “ચાલો હવે તમેય મત આપ્યો. એ ખાટલામાં તો ચાંચડ માંકડ એટલા થાય કે વાત ન પૂછો.”

બાપુ : “હું તો એના ઉપર જ સૂઈશ. ભલે તમે એવો ન મંગાવતા. મારે ત્યાં તો બાળપણમાં આવા જ ખાટલા વપરાતા એ યાદ છે. મારી બા તો એના ઉપર આદુ ઘસતી.”

હું : “એ શું ? એ હું ન સમજ્યો.”

બાપુ : “આદુનાં અથાણાં કરવાં હોય ત્યારે આદુને છરીથી સાફ ન કરતાં આના ઉપર ઘસે એટલે કાતરાં બધાં સાફ થઈ જાય.”

વલ્લભભાઈ : “તે જ પ્રમાણે આ મૂઠી હાડકાં ઉપરની ચામડી ઊખડી જશે. એટલે જ કહું છું કે પાટી ભરાવો.”