પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
સરદાર વલ્લભભાઈ

બાપુ : “અને પાટી તો ઘરડી ઘોડી ને લાલ લગામ જેવું થઈ પડશે, આ ખાટલા ઉપર પાટી શોભે નહીં. એના ઉપર કાથો જ શોભે. અને પાણી રેડીએ એટલે બિલકુલ ધોવાઈ જાય, જેમ કપડાં ધોવાય. એ કેવું સુખ! વળી કાથો કોઈ દિવસ સડવાનો નહીં !”

વલ્લભભાઈ : “વારુ ત્યારે મારું કહ્યું ન માનો તો ભલે.”

ખાટલો બાપુએ વરંડા ઉપરથી નીચે લેવરાવ્યો. નીચે લીધા પછી વલ્લભભાઈ કહે : “પણ વરસાદ આવશે તો?”

બાપુ: “તો ઉપર લઈશું.”

વલ્લભભાઈ : “ततो दु:खतरं नुं किम् ।”

બાપુ : “એ તો હું જાણતો જ હતો કે આ શ્લોકનો ઉપયોગ કરવાને માટે જ તમે આ સવાલ પૂછો છો.”

તા. ૨૮-૮-’૩ર : વલ્લભભાઈનાં પરબીડિયાંનાં અને સંસ્કૃત અભ્યાસનાં બાપુ દરેક કાગળમાં વખાણ કરે છે. ગઈ કાલે કાકાસાહેબને લખતાં લખ્યું હતું કે, ઉચ્ચૈઃશ્રવાની ગતિથી વલ્લભભાઈનો અભ્યાસ ચાલે છે.” આજે પ્યારેલાલને લખ્યું : “વલ્લભભાઈ અરબી ઘોડાને વેગે દોડી રહ્યા છે. સંસ્કૃત ચોપડી હાથમાંથી છૂટતી જ નથી. આની મેં આશા નહોતી રાખી. પરબીડિયામાં તો એને કોઈ પહોંચી શકનાર નથી. એ પરબીડિયાં માપ વિના બનાવે છે અને આંખથી જ કાપતાં છતાં સરખાં ઉતારે છે. છતાં બહુ વખત જતો હોય એમ લાગતું નથી. એમની વ્યવસ્થા આશ્ચર્ય પમાડનારી છે. જે કરવાનું હોય તે યાદ રાખવા જેવું રાખતા જ નથી. આવ્યું તેવું કરી નાખવું. કાંતવાનું લીધું છે ત્યારથી કાંતવાનો સમય બરાબર સાચવે છે. એટલે રોજ સૂતરમાં ને ગતિમાં વધારો થતો જાય છે. હાથમાં લીધેલું ભૂલી જવાનું તો ભાગ્યે જ હોય, ને આટલી વ્યવસ્થા હોય ત્યાં ધાંધલ જેવું તો હોય જ શાનું?”

તા. ૪-૯-’૩ર : આજે બાપુ અને વલ્લભભાઈને આઠ મહિના જેલમાં પૂરા થયા. બાપુ કહે : “મહાદેવના સાત પૂરા થયા.”

એટલે વલ્લભભાઈ કહે : “ હા. પણ ‘पर्याप्तिमिदं एतेषाम्।’ આપણી તો ‘अपर्याप्त’ મુદત છે ને ?”

એક ભાઈ રંગૂનથી કાગળો લખતા હતા તે બધા એણે બીજા પાસે લખાવેલા હતા, એવી ફરિયાદ આવ્યાં કરતી હતી. કાગળો એવા સ્વાભાવિક લાગતા કે બાપુ એ ફરિયાદમાં માનતા નહોતા. આખરે પેલા લખનારે જ તારથી જણાવ્યું કે કાગળના મુસદ્દા બધા એના હતા. બાપુએ તારથી નકલ પેલા ભાઈને મોકલી અને જણાવ્યું : “હવે તારા જે કાગળની અમારા ઉપર બહુ અસર પડી એ કાગળ તો નકલી હતા. અસલ તારા નહોતા. એટલે એની કિંમત પણ એટલી જ આંકું ના ? અને વળી એ વાત મારાથી છુપાવી. હવે તો એ કાગળમાં કરેલી પ્રતિજ્ઞાઓ તું સાચી પાડ.”

વલ્લભભાઈ કહે : “એ તારની નકલ એને શા સારુ મોકલો છે ? એને પૂછો કે મારી પાસે આ આવી ફરિયાદ છે એ સાચી છે ? એ બાબતમાં તારે શું કહેવાનું છે ? એટલામાં એ બરાબર પકડાઈ જશે.”