પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

બાપુને એ સૂચના પસંદ ન આવી. એ સ્વીકારવામાં હિંસા રહેલી હતી. “માણસને જૂઠું બોલવાની તક આપવી અને જૂઠું બોલાવવું એ હિંસા છે. આ તો જે હકીકત આપણી પાસે છે તે એની પાસે મૂકી દઈને એને જૂઠું બોલવાની તક ન આપવી એમાં પરિપૂર્ણ દયા છે. અને એના હૃદય ઉપર પણ એની અસર થયા વિના ન રહે.” આટલો નાનકડો કિસ્સો બાપુ અને વલ્લભભાઈની મનોવૃત્તિના ભેદ બતાવવાને પૂરતો છે.

તા. ૬-૯-’૩ર : આજે સાંજે પ્રાર્થના સમયે ઠીક ઠીક વાતો થઈ. બાપુએ વલ્લભભાઈને કહ્યું : “સવારે તો તમે મશ્કરી કરતા હતા પણ હું સાચે જ કહું છું કે તમારે કાંઈ પૂછવું હોય તે પૂછી લો.”

વલ્લભભાઈ: “તમે શું ધારો છો ? આ લોકો શું કરશે ?”

બાપુ : “મને હજી એમ જ ભાસે છે કે મને ઓગણીસમીએ અથવા એ પહેલાં છોડી દેશે. એ લોકો મને ઉપવાસ કરવા દે અને કશી ખબર ન આપે અને કહે કે કેદી તરીકે એણે ન કરવું જોઈતું હતું તેવું કર્યું. અમે શું કરીએ ? એ તો અધમતાની પરાકાષ્ઠા કહેવાય. એ લોકો એટલે સુધી ન જઈ શકે એમ હું નથી કહેતો. પણ એ લોકો એટલે સુધી જવાની જરૂર ન ધારે. અને જરૂર કરતાં આગળ જનારા એ લોકો નથી.”

વલ્લભભાઈ : “પછી તમે શું કરો ?”

બાપુ : “વીસમીએ તો ઉપવાસ શરૂ ન જ કરાય. વીસમી તારીખને ન વળગી શકાય.”

વલ્લભભાઈ : “એ તો નવું બંધારણ થાય ત્યાં સુધી સમય મળી ગયો કહેવાય ના? અથવા તો લોકોને અને સરકારને તમે લાંબી નોટિસ આપી શકો ને ?”

બાપુ : “હા, પણ એ તો બહાર ગયા પછી મને એ લોકો કેટલું કરવા દે એના ઉપર આધાર છે. શી સ્થિતિ હશે એ તો મારી કલ્પનામાં નથી આવી શકતું. હું કેવી કાગળ ઘડીશ એ મને સૂઝતું નથી. પણ મારે તો હિંદુ સમાજ, અંત્યજો, સરકાર, મુસલમાન સૌને ઉદ્દેશીને કહેવાનું રહેશે. હિંદુ સમાજે તો અંત્યજોની સાથે ભળીને ઠેર ઠેર સભાઓ કરીને આ વસ્તુનો ઇન્કાર કરવો રહેશે. સરકારે તો ખ્રિસ્તી સરકાર તરીકે આ કહ્યું છે. એટલે સરકાર અને ખ્રિસ્તીઓ બંનેને એક જ વસ્તુ કહેવાની રહેશે કે તમે ખ્રિસ્તી તરીકે આ નથી કરી શકતા, અમારું સ્વરાજ થવા દો. પછી અત્યંજો ઉપર જે અસર પાડવા માગો તે પાડજો. પણ આજે અમારા કટકા ન કરો. મુસલમાનોને તો ત્યાં વિલાયતમાં પણ કહ્યું હતું. અહીં પણ એ જ કહું. હિંદુ સમાજને સમજાવું કે હવે તો અંત્યજોને કાં મુસલમાન, કાં ખ્રિસ્તી થયે જ છૂટકો છે.”

વલ્લભભાઈ : “પણ અહીં તો સાંભળે એવા મુસલમાનો રહ્યા છે કોણ ?”

બાપુ: “ભલે ને કોઈ જ ન હોય. પણ આપણે આશા રાખીએ કે એ લોકો પણ જાગ્રત થાય. સત્યાગ્રહની જડ મનુષ્યસ્વભાવ વિષે વિશ્વાસમાં રહેલી છે, દુષ્ટમાં દુષ્ટ માણસને પિગળાવી શકાશે એ શ્રદ્ધામાં રહેલી છે. એટલે કોક મુસલમાન તો જરૂર નીકળે જે કહે કે અમે આટલું બધું થાય એ તો સહન ન કરી શકીએ.”