પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

તા. ૨૧-૧૦-’૩ર: ઉપવાસ દરમ્યાન આપેલાં બધાં સાધન ઉપવાસ પૂરો થતાં ઉઠાવી જવામાં આવ્યાં. છેવટે એક મોટું ટેબલ અમને આપેલું હતું તે કાલે આ નવા યાર્ડમાં આવતાં લઈ ગયા. ટેબલને વિષે વલ્લભભાઈએ માગણી કરી એટલે જેલરે કહ્યું: “અમારે ઓફિસમાં જોઈએ છે.” ખુરશી લઈ ગયા તે વલ્લભભાઈને અને મને ન ગમ્યું.

બાપુ કહે : “એ ખુરશી એ લોકોને વેચવાની હશે, એટલે મંગાવી લીધી.”

મેં કહ્યું : “પણ એનામાં એટલી સભ્યતા નહીં કે તમને પૂછે કે હવે આની જરૂર ન હોય તો લઈ જઈએ ?”

બાપુ : “ના. એ ખુરશી અત્યાર અગાઉ પાછી મોકલી આપવાની સભ્યતા આપણામાં હોવી જોઈતી હતી. બાને એણે કહ્યું તે પહેલાં આપણે રજા આપી એ શોભ્યું. અહીં આ ચાર્ડમાં પાછા આવવાની એણે કહ્યું તે પહેલાં આપણે માગણી કરી, એ પણ શોભી. એણે કહ્યું હોત તો દુઃખ લાગત.”

વલ્લભભાઈ : “તમને તો બધાના ગુણ જ દેખાય છે. જ્યાં ગુણ ન હોય ત્યાંય ગુણ જ દેખાય. એ લોકો તદ્દન જડા જેવા છે. ઘણી બધી વસ્તુઓ ઍકાઉન્ટમાં ચડાવી તેમ આ પણ ચડાવે તો કોણ પૂછવાનું હતું ? અને વેચવાની ઉતાવળ હોત તો તમારા ખાતામાં નાખીને વેચેલી બતાવત. પણ આ તો અસભ્યતા બતાવવી એટલે શું ?”

બાપુ : “ના, અસભ્યતા બતાવવાનો હેતુ તો નહીં જ. સુપરિન્ટેન્ડેન્ટને ખબર પણ ન હોય કે એ લઈ ગયા.”

વલ્લભભાઈ : “એને બધીયે ખબર હશે. અને પૂછ્યા વિના કોણ લઈ જાય ?”

બાપુ : “ના, વલ્લભભાઈ, એમાં દુઃખ માનવાનું કારણ નથી. તમે છઠ્ઠો અધ્યાય શીખ્યા કે નહીં ‘मन ऐव मनुष्याणां कारणं बंधमोक्षयोः’ અને આત્મા આત્માનો બંધુ છે ?”

વલ્લભભાઈ : “છે જ છે. પણ આત્મા એ આત્માનો શત્રુ પણ છે ને ?”

બાપુ : (ખડખડાટ હસીને) “અરે, તમને તો ખબર લાગે છે, ભલે એટલું કબૂલ કરો છો. એટલે બસ છે. પણ આ શ્લોક ક્યાંથી શીખ્યા ? છઠ્ઠો અધ્યાય તો હજુ શીખ્યા નથી.”

હું : “કાલે જ શરૂ કરેલો, અને આ શ્લોક છેલ્લો શીખ્યા.”

તા. ૨૨–૧૦-’૩ર : આજે સવારે બાપુ કહે : “તમે ફળ સાફ કરવામાં એકલા પિસ્તાળીસ મિનિટ આપો તે નહીં ચાલે. અહીં લાવો અને આપણે ત્રણે સાફ કરીએ એટલે પંદર મિનિટમાં થશે.”

મેં કહ્યું : “મારી ઓછી મિનિટ જાય, પણ તમે એટલો વખત કામ કરી શકશો.”

બાપુ: “ના. કામનું એવું ભૂત કેમ બનાવાય ? તો ખાવાનું બંધ કરું, પાયખાને જવાનું બંધ કરું, ચાલવાનું બંધ કર્યું, તો ઘણા કલાક કામ કરવાના મળી રહે. … ને હું ઠપકો આપું પણ હું એના કરતાં શું સારો ?”