પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

પણ છે. મહેરબાબા પણ હિંદુ જ કહેવાય ને ? અને ઉપાસની મહારાજ ! અને ભાદરણના પુરુષોત્તમ ભગવાન !”



બાપુજી સનાતનીઓ અને આંબેડકરવાદીઓ એકેને સંતોષી શકતા નહોતા, તે ઉપરથી મેં કહ્યું : “બાપુ, આ તો સનાતનીઓના અને આંબેડકરવાદીઓના બે ઘંટીનાં પડિયાં વચ્ચે આપણે પિસાઈ જવાનું રહ્યું.”

વલ્લભભાઈ : “પણ પડની વચ્ચે પડીએ તો ના ? હું તો કહું છું કે પડમાં પડો જ મા. ખીલે બેસી રહીએ અને બંને પડને એકબીજા સાથે ઘસાવા દઈએ. તેમ કરવાને બદલે તમે તો સનાતનીઓને કહો છો કે હું સનાતની છું અને આ લોકોને કહો છો કે હું સ્વેચ્છાથી અસ્પૃશ્ય છું. એટલે પછી બંને પડમાં પિસવાનું જ રહ્યું ના ?”

તા. ૧૬-૨-’૩૩ : માલવીજીનો લાંબો તાર આવ્યો. એમનો અગાઉ કાગળ તો આવેલો હતો જ. વાઈસરૉયનો પણ જવાબ આવ્યો કે બિલોને જાહેરમાં ફેરવ્યા વિના નહીં જ ચાલે, બાપુએ તુરત જ “Agreeing to Differ” (‘અમારો મતભેદ’) નામનો લેખ ‘હરિજન’ માટે લખાવ્યો અને આ પત્રવ્યવહાર બહાર પાડ્યો. સાંજે આ વિષે ચર્ચા ચાલી. વલ્લભભાઈ ખૂબ ઊકળતા હતા.

બાપુ કહે : “આપણે લડતા નથી છતાં તમે ઘાંટા પાડીને બોલો એટલે કોકને લાગે કે આપણે લડીએ છીએ. તે ધીમે અવાજે કાં ન બોલો ? આના કરતાં વીસમા ભાગને અવાજે બોલો તોયે હું તમને સાંભળી શકુ અને આપણે ચર્ચા કરી શકીએ. માલવીજીએ તારમાં કહેલું કે મંદિરો માટે કાયદો કરવાની વાત નથી પણ ફતવા વગેરે માટે જ છે એમ ઠરાવ ઉપરથી ખબર પડે છે.”

વલ્લભભાઈ : “એ બરાબર છે.”

બાપુ કહે : “એ બરોબર નથી. ર૬મીના ઠરાવમાં કાયદાથી હકોની માન્યતાની વાત છે, જ્યારે આપણે કાયદાથી અસ્પૃશ્યતાનો નાશ નથી કરવા માગતા. વળી ત્રીસમીના ઠરાવમાં તો તત્કાળ ખોલવાની વાત છે અને તે સમજાવટથી કરવાનું છે. હવે કાયદો એ સમજાવટ નહીં ? અને સમજાવટ પણ નિષ્ફળ થાચ તો ?”

પણ વલ્લભભાઈએ ચલાવ્યે રાખ્યું : “જ્યારે આ બધા વિરુદ્ધ છે ત્યારે હવે આ વસ્તુને ક્યાં સુધી ચલાવ્યે રાખશો ? હવે તો બિલ બે વર્ષ સુધી ધક્કે ચડ્યું. સ્વરાજ પાર્લમેન્ટ વિના એ પસાર જ થવાનું નથી. અને તે વખતે બે મિનિટમાં થશે. તેને માટે આટલી મહેનત શા સારુ ? જો સ્વરાજ આવે તે પહેલાં આ થવાનું હોય તો હું વિરોધ ન કરું, પણ મને ખાતરી છે કે હવે કશી જ આશા નથી.”

બાપુ : “પણ સ્વરાજની ધારાસભા એવી આવશે એવી તમને ખાતરી છે ? મને તો નથી. મને તો ખાતરી છે કે હજી હાજી હા ભણનારી ધારાસભાઓ આવવાની ! એટલે આપણે તો જે પ્રયત્ન થાય તે કર્યા કરવાનું રહ્યું.”

વલ્લભભાઈ : “પણ હવે સર્ક્યુલેશનમાં ગયા પછી પ્રયત્ન શું કરવાનો ? અને પછી તમે શું કરશો ?”