પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૨
સરદાર વલ્લભભાઈ

" પેલા હૉર્નિમૅન સાથે બહુ ચર્ચામાં ન ઊતરશો. કાઠી ધોઈને કાદવ કાઢવા જેવું થશે. સરોજિનીદેવીને નાકના ઓપરેશન માટે જલદી જવાનું બાપુએ કહ્યું નથી ? એ વિષે ફરી એને સૂચના કરજો. એ બિચારી ઉપવાસનું સાંભળીને ઑપરેશન બંધ રાખી દોડી આવી છે. હવે એને જલદી છૂટી કરવી જ જોઈએ ને?

" તમારે ત્યાં 'મૉર્ડન રિવ્યૂ ' આવ્યું હોય તો મોકલજો.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ ”
 


"ચરવડા મંદિર,
૫-૬-'૩૩
 

"પ્રિય ભાઈ જમનાલાલજી,

મુંબઈ જઈને તબિયત બગાડી આવ્યા એ શું? મુંબઈમાં શું કરી આવ્યા ? પ્રભુદાસનું શું કર્યું ?

" જાનકીદેવી ક્યાં છે ?કેમ છે ? બાળકો બધાં કેમ છે ?

" તમારી તબિયત પહેલાં હતી તેવી ઝટ થવી જોઈએ.

"મુંબઈ ક્ચાં ઉતારો રાખ્યો હતો? રામેસરદાસજી અને એમનું કુટુંબ કેમ છે ?

"વિનોદ કૉલમમાં કંઈ હોય તો મોકલજો.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ ”
 


"ચરવડા મંદિર,
૯-૬-'૩૩
 


"પ્રિય ભાઈ મહાદેવ,

ત્રણ દિવસે તમારા કાગળ મળ્યો એટલે જરા મૂંઝવણમાં પડ્યો હતો તેમાંથી મુક્ત થયો.

“ડૉ. મહેતાની સૂચના તે સાચી જ છે. ફળમાં કે શાકમાં શક્તિ ન જ હોય. પ્રોટીન વિના સ્નાયુ ન બંધાય. પણ બાપુને દૂધ એકલાથી કબજિયાત થાય છે એ વહેમ હંમેશાં રહેલો છે. પેટ સાફ આવતું હોય અને દૂધ પચી જતું હોય તો દરરોજનું છ શેર દૂધ થતાં વજન વધવું જોઈએ અને શક્તિ આવવી જ જોઈએ. દૂધની સાથે દરેક વખતે અડધો ઔંસ કે એક ઔંસ સુક્રોઝ લેવાય તો શી હરકત છે? સહેજે પચી જશે અને ઠીક પડશે. મધ રોજ કેટલું લે છે ? દૂધનું દહીં કરી તે અને માવો બનાવી પેંડા કરી ગઈ વખતની પેઠે માવો ખાવાનું કરવાનું ડૉ. મહેતાને પૂછો અને હા પાડે તો એનાથી શક્તિ જલદી આવે. દહીંં એ ફેરફાર તરીકે સારું છે. સવારમાં દૂધની સાથે ગરમાગરમ પૉરીજ લેવાય તો બહુ જ સારું. ” 'अन्नाद् भवन्ति भूतानि’ અન્ન સમાન પ્રાણ નહીંં. અને કોઈ પણ એક અનાજ લેવાય તો ઝટ શક્તિ આવે. ડૉ. દેશમુખની આંખની સૂચના સાચી છે. નદુબહેને એમ જ આંખ ખોઈ નાખી. રાજાજીની સલાહ સાચી છે. લગ્ન (દેવદાસભાઈનાં) સિવિલ મૅરેજ ઍકટ પ્રમાણે રજિસ્ટર કરાવવું જ જોઈએ એ વિષે શક નથી. પણ બાપુની