લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
સરદાર વલ્લભભાઈ

“પેલા હૉર્નિમૅન સાથે બહુ ચર્ચામાં ન ઊતરશો. કોઠી ધોઈને કાદવ કાઢવા જેવું થશે. સરોજિનીદેવીને નાકના ઑપરેશન માટે જલદી જવાનું બાપુએ કહ્યું નથી ? એ વિષે ફરી એને સૂચના કરજો. એ બિચારી ઉપવાસનું સાંભળીને ઑપરેશન બંધ રાખી દોડી આવી છે. હવે એને જલદી છૂટી કરવી જ જોઈએ ને?

“તમારે ત્યાં ‘મૉર્ડન રિવ્યૂ’ આવ્યું હોય તો મોકલજો.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ”

 
“યરવડા મંદિર,
૫-૬-’૩૩
 

“પ્રિય ભાઈ જમનાલાલજી,

મુંબઈ જઈને તબિયત બગાડી આવ્યા એ શું? મુંબઈમાં શું કરી આવ્યા ? પ્રભુદાસનું શું કર્યું ?

“જાનકીદેવી ક્યાં છે ? કેમ છે ? બાળકો બધાં કેમ છે ?

“તમારી તબિયત પહેલાં હતી તેવી ઝટ થવી જોઈએ.

“મુંબઈ ક્યાં ઉતારો રાખ્યો હતો? રામેસરદાસજી અને એમનું કુટુંબ કેમ છે ?

“વિનોદ કૉલમમાં કંઈ હોય તો મોકલજો.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ્‌”

 
“યરવડા મંદિર,
૯-૬-’૩૩
 

“પ્રિય ભાઈ મહાદેવ,

“ત્રણ દિવસે તમારા કાગળ મળ્યો એટલે જરા મૂંઝવણમાં પડ્યા હતા તેમાંથી મુક્ત થયા.

“ડૉ. મહેતાની સૂચના તો સાચી જ છે. ફળમાં કે શાકમાં શક્તિ ન જ હોય. પ્રોટીન વિના સ્નાયુ ન બંધાય. પણ બાપુને દૂધ એકલાથી કબજિયાત થાય છે એવો વહેમ હંમેશાં રહેલો છે. પેટ સાફ આવતું હોય અને દૂધ પચી જતું હોય તો દરરોજનું છ શેર દૂધ થતાં વજન વધવું જોઈએ અને શક્તિ આવવી જ જોઈએ. દૂધની સાથે દરેક વખતે અડધો ઔંસ કે એક ઔંસ ગ્લુકોઝ લેવાય તો શી હરકત છે? સહેજે પચી જશે અને ઠીક પડશે. મધ રોજ કેટલું લે છે ? દૂધનું દહીં કરી તે અને માવો બનાવી પેંડા કરી ગઈ વખતની પેઠે માવો ખાવાનું કરવાનું ડૉ. મહેતાને પૂછો અને હા પાડે તો એનાથી શક્તિ જલદી આવે. દહીંં એ ફેરફાર તરીકે સારું છે. સવારમાં દૂધની સાથે ગરમાગરમ પૉરીજ લેવાય તો બહુ જ સારું.” ’अन्नाद् भवन्ति भूतानि’ અન્ન સમાન પ્રાણ નહીંં. અને કોઈ પણ એક અનાજ લેવાય તો ઝટ શક્તિ આવે. ડૉ. દેશમુખની આંખની સૂચના સાચી છે. નંદુબહેને એમ જ આંખ ખોઈ નાખી.

“રાજાજીની સલાહ સાચી છે. લગ્ન (દેવદાસભાઈનાં) સિવિલ મૅરેજ ઍક્ટ પ્રમાણે રજિસ્ટર કરાવવું જ જોઈએ એ વિષે શક નથી. પણ બાપુની