પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
સરદાર વલ્લભભાઈ

“યરવડા મંદિર,
૧૪–૬–’૩૩
 
“પ્રિય ભાઈ મહાદેવ,
તમારો કાગળ મળ્યો.
“મેં તો કોઈ વખત કોઈને મળવાની રજા માગી જ નથી. સરકાર પાસેથી રજા મેળવીને મળવામાં હું માનતો નથી. એવી મહેરબાની શું કામ માગવી ? એવી મુલાકાતમાં મને રસ નથી. એટલે લક્ષ્મી એવી રીતે રજા મેળવીને આવે એમાં શો લાભ? ડાહ્યાભાઈ તો ગયે અઠવાડિયે આવ્યો હતો, એટલે ક્યારે આવશે એ ન કહી શકું. દર અઠવાડિયે આવે એવું બનતું નથી. ગયે વખતે ચાર અઠવાડિયાં પછી આવ્યો હતો. …
“‘મોડર્ન રિન્યૂ’ મળ્યું છે. હિંદી પુસ્તક મળ્યું છે. પેલાં ‘હરિજન’ અને ‘હરિજનબંધુ’ હવે ન મોકલશો. ટપાલમાં આવે છે.
“બાપુને દૂધના અખતરામાં લાભ ન થયો એ નક્કી છે. દૂધથી ઝાડા થાય તો હમણાં એ અખતરા છોડવા જોઈએ. શાકનાં સૂપ ચાલુ કરવાં જોઈએ અને દૂધ કમી કરવું જોઈએ. પણ આજે ડૉક્ટરો શું કરી જાય છે તે મને જણાવજો. થોડું વજન વધે અને શક્તિ આવે પછી ખોરાકના અખતરા થઈ શકે. હમણાં તો ન જ થાય. આવી નબળાઈ બહુ વખત રહે એમાં જોખમ છે.
“આ કટિંગ ઉપરથી જણાય છે કે દુર્ગા પણ આવી છે. એ તો તમે અમને કહ્યું પણ નહીં.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ્”

 
“યરવડા મંદિર,
૨૦–૬–’૩૩
 

“પ્રિય ભાઈ મહાદેવ,

“તમારો કાર્ડ મળ્યો. બાપુનો પણ મળ્યો.
“આ સાથે બે કટિંગ મોકલ્યાં છે તે જોજો. એકમાં દેવદાસ અને રાજાજીના યુનિટી કૉન્ફરન્સવાળા મુસલમાન મિત્ર ઇચ્છે છે કે બાપુએ હરિજનનું કામ છોડી દેવું જોઈએ, અને બીજું છે તેમાં એમના ઍસેમ્બ્લીવાળા હરિજન મિત્ર કહે છે કે બાપુએ તો હવે એકલું હરિજનનું જ કામ કરવું જોઈએ.
“બાપુની તબિયત હવે સુધરવી જોઈએ. અખતરા કરવાનું હવે બિલકુલ છોડવું જોઈએ.
“કાકાની તબિયત બહુ સારી ગણાય. પણ હવે બહુ થયું ગણાય. બાર રતલ દૂધ ઓછું નથી. એથી વધારે ઉપર જશે તો પછી જ્યાં જશે ત્યાં ત્રણ ચાર ગાયો રાખવી જોઈશે.
“બ્રિજકૃષ્ણને હવે કેમ છે?
“પ્રભાવતી કેવી રીતે આવી ? એની સજા તો હજી બાકી હતી. નાશિક જયપ્રકાશને મળવા જવાની છે કે નહીં?
“મિસિસ નાયડુને આજે લખ્યું છે. અંબાલાલભાઈ પરિવાર સાથે આવી ગયા હશે. કેમ છે? મૃદુલાનું કેમ છે?

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ્”