પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫
ગાંધીજીથી છૂટા પડ્યા પછી યરવડા તથા નાશિક જેલમાં


ગાંધીજી સરદારના ઑપરેશન વિષે બહુ ચિંતા કર્યાં કરતા હતા. એટલે એમના ઉપવાસ પૂરા થયા અને તબિયત કંઈ ઠેકાણે આવી ત્યાર પછી સરદારે તા. ૨૩-૬-’૩૩ના રોજ ગાંધીજીને નીચે પ્રમાણે કાગળ લખીને હકીકત જણાવી :

“પૂ. બાપુ,
“ગયે રવિવારે લખેલો આપનો પત્ર મળ્યો હતો. આપની તબિયત હવે કંઈ હરવાફરવા જેવી થઈ હશે. આપે મારા નાકના ઑપરેશન વિષે પૂછ્યું હતું. તે સંબંધમાં સરકારનો કશો નિર્ણય થયો ન હતો. એટલે લખી શક્યો ન હતો. હવે એ સંબંધમાં જે પત્રવ્યવહાર થયો છે તે બધો આ સાથે મોકલ્યો છે. ડૉ. દેશમુખે તા. ૬-૫-’૩૩ના રોજ સુપરિન્ટેન્ડેન્ટને કરેલા રિપોર્ટ, ત્યાર પછી તે જ મહિનાની તારીખ ૩૦મીનો સુપરિન્ટેન્ડેન્ટનો કાગળ અને તેનો તે જ દિવસે આપેલ મારો જવાબ, તે ૫છી સુપરિન્ટેન્ડેન્ટ ઉપર તા. ર૦મીનો ઇન્ડિયા સરકારનો હુકમ આવેલો તેનો જે ભાગ મને આપવામાં આવ્યો છે, અને તેનો મેં ગઈ કાલે આપેલો જવાબ, એ બધું આ સાથે સામેલ કરેલ છે. એ ઉપરથી શું થયું છે તે આપ જોઈ શકશો, મને નથી લાગતું કે મારું એ વિષે ઠેકાણું પડે. ગમે તેવી સ્થિતિમાં મારે ઑપરેશન કરાવવું નથી. એથી નુકસાન થવાનો ભય છે. હવે એવા ખાડામાં મારે ઊતરવું નથી. મને ઘણા એવી સલાહ આપે છે, અને એ હું માનું છું કે મારે મુંબઈમાં સારા નિષ્ણાત પાસે જ ઑપરેશન કરાવવું જોઈએ. ડૉ. અનસારીએ ડૉ. ટી. ઓ. શાહ પાસે જ કરાવવાની ભલામણ કરી હતી. તેથી આપ વિલાયત ગયા ત્યારે આપે ડૉ. દેશમુખની સાથે મને એની પાસે મોકલ્યો હતો. એણે તપાસીને ઑપરેશન કરવા સલાહ આપી હતી, પણ તે વખતે મારાથી પંદર દિવસ એને માટે કાઢી શકાય તેમ ન હતું. પછી ગયા જાન્યુઆરી મહિનામાં મેં ‘કોટેરાઈઝ’ કરાવ્યું હતું. પણ બીજે જ દિવસે અહીં આવવાનું થયું. અને તેથી કંઈ નુકસાન થયું છે. એ સંભવ છે. કારણ આખી વાટ મોટરમાં આવવાથી પવન લાગ્યો હોય. ગમે તેમ હોય પણ હવે જે શરતો સરકારે નાખી છે એ શરતોથી જોખમમાં ઊતરવાનો મારો વિચાર થતો નથી. કારણ ડૉક્ટર મુંબઈના અને રહેવાનું સાસૂન હૉસ્પિટલ પૂનામાં, એ બરોબર નથી. વળી મુંબઈના ડૉક્ટરને જે સગવડ જોઈતી હોય તે અહીં ન મેળવી શકે એટલે જોખમ કોને માથે રહે ? સરકાર તો પોતે હાથ ધોઈ ઊભી રહેવા માગે છે. આપ સમજી શકશો કે આઈ. જી. પી. ની ઇચ્છા પ્રમાણે જ આમ થયેલું હશે. ભલે, જ્યારે સરકારને સલાહ મળે કે ઑપરેશન કર્યે જ છૂટકો છે ત્યારે એ કરાવશે કે જોઈએ તે સગવડ આપશે. ત્યાં સુધી પીડા ભોગવવી એ સારું છે. દોઢ વર્ષ ભોગવી તો વળી વધારે. પણ આવી રીતે મુશ્કેલીમાં એ કામ ન થાય. જિંદગીને જોખમ લાગે એવું કંઈ થશે તો તો સરકાર પોતે જ જે કરવું હશે તે કરાવશે. અને જોખમ નહીં હોય તો પીડા વેઠવી એ તો આપણું કર્તવ્ય જ છે ને ? વેઠવા આવ્યા છીએ અને વેઠશું એમાં શું ? આપ આ સંબંધમાં નિશ્ચિત રહો એમ ઇચ્છું છું. મને કશું થવાનું નથી. બધી જોઈતી અનુકૂળતા મળ્યા સિવાય