આપવામાં આવે છે તેમાંથી કંઈ વધેલી રકમ હશે તો તેમાંથી, નહીં તો બીજી રીતે મિ. પટેલે પોતે આપવું પડશે. મિ. પટેલને એ પણ જણાવવું કે ઑપરેશન સફળ થાય કે નહીં તેની તમામ જવાબદારી ઑપરેશન કરનાર મિ. પટેલના ડૉક્ટર ઉપર રહેશે, સરકાર ઉપર કશી નહીં રહે. આના જવાબમાં સરદારે સરકારને જણાવ્યું કે, ‘ઑપરેશન કરાવવું એ સલાહ ભરેલું છે કે કેમ એ બાબતમાં કંઈ ગેરસમજ થયેલી લાગે છે. જેલના ડૉક્ટરોએ ગયા એક વર્ષ કરતાં વધુ વખત સુધી જે ઉપાયો સૂચવ્યા તે મેં કર્યા છે. અને તેની કશી અસર ના થઈ ત્યારે તેમણે જ ડૉક્ટર મંડલિકની સલાહ લીધી હતી. સિવિલ સર્જન તથા ડૉ. મંડલિકે મને એવી સલાહ આપી ન હોત કે ઉત્તમ ઉપાય ઑપરેશન કરાવી નાખવું એ જ છે, તો મેં મારા ખાનગી ડૉક્ટર, ડૉ. દેશમુખ પાસે તપાસાવવાની માગણી પણ ન કરી હોત. હવે સરકારની પરવાનગીથી મારા દાક્તરે મને તપાસીને એવી સલાહ આપી છે કે ઑપરેશન જરૂરી છે. પણ નાકનું ઑપરેશન બહુ નાજુક હોય છે. પહેલાં એક વખત મેં ઑપરેશન તથા કૉટેરીઝેશન કરાવેલું છે. એટલે ફરી મારે ઑપરેશન કરાવવું હોય તો ઉત્તમ સગવડ મળે, જેથી નિષ્ફળતાનો ભય ન રહે એવી સ્થિતિમાં જ મારે ઑપરેશન કરાવવું છે. પરંતુ સરકારના હુકમ ઉપરથી એમ જણાય છે કે ઑપરેશન કરનાર સર્જન મારો રાખવામાં આવે તોપણ તેને તેઓ ખૂબ મર્યાદિત સગવડ આપવા ઈચ્છે છે અને ઑપરેશનની જવાબદારીનો ભાર તેના ઉપર નાખવા ઇચ્છે છે. આ સ્થિતિમાં મારા ડૉક્ટરની સલાહ લીધા વિના હું કાંઈ નિર્ણય કરી શકતો નથી.’
આ ઉપરથી ડૉ. દેશમુખ અને ડૉ. દામાણી સરદારને સરકારની પરવાનગીથી અગિયારમી જુલાઈએ ફરી તપાસી ગયા. તેમણે અભિપ્રાય આપ્યો કે, ‘ઑપરેશન બે કે ત્રણ હપ્તે કરવું પડશે. અને કર્યા પછી પણ બહુ કાળજીપૂર્વક સંભાળ રાખવી પડશે એટલે અમે મુંબઈમાં જ ઑપરેશન કરાવવાની સલાહ આપીએ છીએ.’ આ સલાહ સરકારે સ્વીકારી નહીં, પણ પૂનામાં સાસૂન હૉસ્પિટલમાં જે સગવડ જોઈએ તે આપવા કહ્યું. સરદારે ૨૯મી જુલાઈએ છેવટનો જવાબ લખી નાખ્યો કે, ‘મારા ડૉક્ટર છ અઠવાડિયાં પૂના આવીને રોકાઈ શકે એમ નથી. જોકે મારી પીડા વધતી જાય છે, અને દરદ અસહ્ય થતું જાય છે. પણ સરકારને એના પોતાના ડૉક્ટરો જયાં સુધી મારા ઑપરેશન વિષે સલાહ ન આપે ત્યાં સુધી એ પીડા મારે વેઠ્યે જ છૂટકો છે.’ આમ નાકના ઑપરેશનનું આ પ્રકરણ પતી ગયું. બહાર આવ્યા પછી છેક ૧૯૩૫માં સરદાર ઑપરેશન કરાવી શકેલા.