પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાસ ગામે સરદારની ધરપકડ


“અમે અમદાવાદના શહેરીઓ અમારો નિશ્ચય જાહેર કરીએ છીએ કે વલ્લભભાઈને જ્યાં લઈ જવામાં આવ્યા છે ત્યાં અમે જવાને તૈયાર છીએ. જ્યાં સુધી દેશને સ્વાધીનતા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી અમે જંપીને બેસીશું નહી અને સરકારને જંપીને બેસવા દઈશું નહીં. અમે અંતઃકરણથી માનીએ છીએ કે હિંદુસ્તાનની મુક્તિ સત્ય અને અહિંસાના પાલનમાં રહેલી છે.”

સરદારને પકડવાથી રાસ ગામ ઉપર વીજળીક અસર થઈ. મુખી, મતાદારો અને તમામ રાવણિયાઓએ રાજીનામાં આપ્યાં એટલું જ નહીં પણ રાસમાં રહેતા એક કલાલ, જેમણે બીજા એક ગામે દારૂના પીઠાનો ઇજારો રાખ્યો હતો તેમણે દારૂનો ધંધો કદી ન કરવાની પ્રતિજ્ઞા લીધી. એક શીખ ભાઈ, સરદાર પકડાયા તે જ દિવસે રેલગાડીની નોકરી છોડી રાષ્ટ્રીય સૈનિક તરીકે જોડાઈ ગયા. એકલા રાસ ગામમાંથી પાંચસો ભાઈબહેનોએ સત્યાગ્રહની લડતમાં સૈનિકો તરીકે જોડાવા પોતાનાં નામ આપ્યાં.

ત્રીજે દિવસે મહાદેવભાઈ સરદારને જેલમાં મળવા ગયા, એનું વર્ણન મહાદેવભાઈની રસિક શૈલીમાં અહીં આપ્યું છે :

“એનું એ જ ખડખડાટ હસવું, એના એ જ કટાક્ષ અને એનો એ જ ખુશમિજાજ ! કોને લાગે કે સરદારનાં જેલમાં દર્શન કરીએ છીએ ? ‘ગાંધીજીને એક વાર જવા દો ને, પછી બધું કરી બતાવીશું,’ એમ કહીને સૌના કુતૂહલને શમાવતા સરદાર ગાંધીજીના પહેલાં જેલમાં ચાલ્યા જશે એમ કોઈએ ધાર્યું નહોતું. બોરસદમાં તો ગાંધીજી આવે ત્યારે લોકોએ શું કરવું એ તેમને સમજાવવા જ તેઓ ગયા હતા. તેમને જેલમાં લઈ જતા હતા ત્યારે આશ્રમ આગળ તેમની મોટર દસેક મિનિટ રોકાયેલી. તે વખતે આચાર્ય કૃપલાનીએ તેમને કહેલું કે ‘આખરે આમ બાપુને દગો દઈને આગળ જાઓ છો ને ?’ એટલે ખડખડાટ હસતા સરદાર બોલ્યા: ‘દગો તો સરકારે દીધો. બોરસદમાં મને પકડવાના છે એમ જાણ્યું હોત તો હું જાત જ શા સારુ ?’
“જેલ સુપરિન્ટેન્ડેન્ટે મને આગ્રહ કરવા માંડ્યો કે તમે સરદાર સાથે અંગ્રેજીમાં વાત કરો. મેં જવાબ આપ્યો: ‘હું તો મારા બાપની સાથે અંગ્રેજીમાં બોલું તો વલ્લભભાઈ સાથે અંગ્રેજીમાં બોલું. બાકી તમે એવો જ આગ્રહ કરશો તો હું મુલાકાત જવા દઈશ, પણ અંગ્રેજીમાં નહીં બોલું.”
“પેલો ગૂંચાયો. સરદાર હસતાં હસતાં કહે : ‘એ આશ્રમવાળા લોકો એવા હોય છે કે ધારેલું જ કરે. એ તો અંગ્રેજીમાં નહીં જ બોલે.’
“સુપરિન્ટેન્ડેન્ટ ઘૂંટડો ગળી ગયો. એણે કહ્યું : ‘વારુ, ત્યારે એટલી શરતે કે તમે ગુજરાતીમાં બોલો તે હું ન સમજું ત્યાં મને અંગ્રેજીમાં સમજાવજો.’
“મેં કહ્યું : ‘એ વાત બરોબર.’
“ ‘તમને કેવી રીતે રાખે છે ?’ એમ પૂછતાં સરદારે કહ્યું: ‘ચોરલૂંટારાને જેવી રીતે રાખે છે તેવી રીતે મને પણ રાખે છે. બહુ આનંદ છે. આના જેવી લહેર જિંદગીમાં કોઈ વાર આવી નહોતી.’
“ ‘પણ નવા જેલનિયમો તમને લાગુ પાડતા નથી ?’