પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
સરદાર વલ્લભભાઈ
યોગ્ય વર્તન રાખવું જોઈએ. તમારા ઘરમાલિકે ઘર ખાલી કરાવવા તમારી ઉપર દાવો કર્યો એ આપણને ન શોભે. તમારો સ્વભાવ એવો નથી, છતાં આમ કેમ થવા પામે છે, એ મારી સમજમાં નથી આવતું. મેં તો કોઈ વખત તમને કહ્યું નથી. હું તો માનતો જ હતો કે તમે સૌનો પ્રેમ સંપાદન કર્યો છે. તેથી હું બહુ રાજી થતો હતો. આ વાત સાંભળી મને જરા નવાઈ લાગી. એટલે તમે મંદવાડમાંથી હજી ઊઠ્યા નથી છતાં લખું છું. કારણ કે તમારી સાખ આવી પડી જાય તો આપણી આબરૂને નુકસાન લાગે અને પસ્તાવું પડે. કોઈની સાથે બોલી બગાડવામાં ફાયદો ન જ હોય. આપણે કરવું હોય તે કરીએ. પણ આપણી સ્વતંત્રતાનો અર્થ એ નથી કે આપણે બીજાનો તિરસ્કાર કરીએ. ગૃહસ્થનું એ ભૂષણ ન ગણાય, તેથી આપણા સ્નેહીઓને પણ મૂંઝવણ થાય. આ વિષે વિચાર કરી જ્યાં જ્યાં ભૂલ થતી હોય ત્યાં ત્યાં સુધારો. કોઈને માઠું લાગવા જેવું લખ્યું હોય તો તેની માફી માગી તેની સાથે ભળી જજો અને તેનો પ્રેમ સંપાદન કરજો. કોઈની સાથે દુશ્મનાવટ ન કરજો. મને ખુલ્લા દિલથી લખજો. કશું દુઃખ ન લગાડશો. મારો સ્વભાવ પણ એક વખત કડક હતો પણ મને એ વિષે ખૂબ પસ્તાવો થયેલ છે. અનુભવથી તમને લખું છું.”

ડાહ્યાભાઈએ આના બધા ખુલાસા આપ્યા. તેના જવાબમાં તા. ૯–૧૨–’૩રના કાગળમાં લખ્યું :

“મને તો ખબર મળી એ તમને લખેલી હતી. આપણા સ્નેહીઓ આપણો કાંઈ દોષ બતાવે છે તેનું દુઃખ ન લગાડવું જોઈએ. તેનું દૃષ્ટિબિંદુ સમજવા પ્રયત્ન કરીએ તેથી આપણને હમેશાં લાભ થાય છે. કોઈ આપણા ઉપર ઈર્ષાથી આરોપ મૂકતો હોય તો આપણને દુઃખ લાગે એમ બને. પણ તમારા સ્નેહીઓને જે લાગે તે તમને જણાવે તેમાં તો ઈર્ષા ન હોય. તેમના વિચારમાં દોષ ન હોય તો તેમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.”

ગાંધીજીના એકવીસ દિવસના ઉપવાસ ચાલતા હતા ત્યારે બેલગામ જેલમાં શ્રી મણિબહેનને બાપુજીનાં કાર્યો કેવાં અકળ હોય છે એ વિષે ૧૯–૫–’૩૩ના રોજ લખે છે. મૃદુલાબહેન પણ તે વખતે બેલગામ જેલમાં જ હતાં.

“બાપુના ઉપવાસથી મૃદુલાને ખૂબ લાગી આવે એ હું સમજું છું. પણ એમને અનુસરવામાં એટલું તો સમજી જ લેવું જોઈએ કે કોઈ કોઈ વખત એમનાં કામ એવાં હોય છે જ, કે સામાન્ય રીતે જોતાં આપણાથી એ ન સમજી શકાય. જગત અને એમની વચ્ચેનું અંતર એટલું બધું છે કે આપણે એમનાં બધાં કામ ન સમજી શકીએ. એટલે ઈશ્વર જે કરે છે તે સારું જ કરતો હશે એમ માનવું રહ્યું. વળી બાપુ જે કરશે તે કેવળ શુદ્ધ હેતુથી અને દેશના હિતને ખાતર જ કરતા હશે એ વિષે જરાયે શંકા ન લાવી શકાય એવું એમનું આખું જીવન છે. આ પ્રસંગ તો ઈશ્વરકૃપાથી સહીસલામત પાર ઊતરી જશે. હવે અડધા ઉપવાસ બાકી રહ્યા છે. તે સારી રીતે બાપુ કરી શકશે એવા દાક્તરોના આજે તો અભિપ્રાય છે. એટલે હવે બહુ ચિંતા કરવાનું કારણ નથી. પણ ભવિષ્યમાં