પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
સરદાર વલ્લભભાઈ
ઈશ્વરને શરણ થઈ નિષ્કામ ભાવથી થાય એટલી સેવા કરવી અને મન, વચન અને કર્મથી જીવન જેટલું સ્વચ્છ અને નિર્મળ થાય એટલું કરવાનો પ્રયત્ન કરવો. એટલું કરશો તો નિરાશાને રજ પણ સ્થાન નથી.
“એકાંતમાં તર્કવિતર્ક થાય એ સ્વાભાવિક છે. પણ કામમાં રોકાયેલા રહેવાથી મન શાંત રહે છે. એટલે જેમ બને તેમ ઓછા વિચાર કરવાનો પ્રયત્ન કરવો. કામ તો તમારે ઠીક ઠીક પહોંચે છે. એ સારું છે. શરીર સંભાળીને જેટલું કામ થાય તેટલું કરવું. ખોરાક સારો નથી મળતો, પણ કાચો ન હોય ને અને પચે એવો હોય તો ખાઈ લેવો. અને તેવો ન હોય તો થોડી ભૂખ વેઠી લેવી. પેટની સંભાળ રાખીને દવા વગેરે જોઈએ તે મેળવીને શરીર સાચવવું.”

આ જ મુદ્દા વિષે વળી તા. ૩૦–૬–’૩૩ના રોજ મણિબહેનને ફરી લખે છે :

“તમારી તબિયત સંભાળજો ચોમાસું આવ્યું એટલે હરવાફરવાનું ઓછું થઈ ગયું હશે. વરંડા ઉપર ફરવા જેવું હોય તો ત્યાં, નહીં તો કોટડીમાં પણ બે-એક કલાક ફરવું તો જોઈએ જ. બેઠાં બેઠાં ખોરાક પચે નહી. પગે હવે આરામ થઈ ગયો હશે. મનની શાંતિ મેળવવાનું તો તમારા પોતાના હાથમાં રહ્યું. એમાં બીજાની મદદ બહુ થોડી મળી શકે. ચિંતા ઈશ્વરને સોંપી દેવી. ભૂતકાળને ભૂલી જઈ ભવિષ્યને સુધારી લેવું એ જ ડહાપણ ગણાય. આ જગતમાં અનેક માણસો ભૂલાં પડે છે. એમાંથી ઘણાં ભૂલાં પડેલ માર્ગેથી પાછાં ફરી શકતાં નથી. ઘણાં તો ભૂલાં પડ્યાં છે એમ સમજતાં જ નથી. જેનાં કંઈક પૂર્વજન્મનાં પુણ્ય હોય તે જ સમજી શકે છે. તેઓ પાછાં ફરી જાય છે એટલે તરી જાય છે. તમે તો હજી નાનાં છો. એટલે જીવનને સુધારી લેવાનો અને સફળ બનાવવાનો ભારે અવકાશ તમારી સામે છે. તેથી જરાયે ચિંતા કરવી નહીં.
“બાપુના ઉપવાસને આપણાં જેવાં સાથે કશો જ સંબંધ ન હોય. એનાં કારણો અહીં (જેલમાં) આવ્યા બાદ બહાર ઉત્પન્ન થયાં. અને એ તો અનેક હોય. તેમાં તમને ત્યાં બેઠાં ખબર ન પડે. કલ્પના પણ ન આવી શકે. એટલે નકામી ચિંતા ન કરવી જોઈએ. અહીંથી તમને બધી વસ્તુઓનો ખ્યાલ પણ ન આપી શકાય. એટલે નકામા વિચારો કરીને દુઃખી ન થવું. બાપુના સમાચાર તો રોજ એક પત્તાથી મળે છે, એટલો ઈશ્વરનો આભાર. બાકી તો છાપામાંથી મળે એ જાણીને સંતોષ માનવો જ રહે. બીજા હજારોએ તો એ જ રીતે સંતોષ મેળવેલો હશે ને?”

તા. ૨–૮–’૩૩ના રોજ નાશિક જેલમાંથી મણિબહેનને લખે છે :

“મારું ઉપર લખેલું સરનામું જોઈને તમને જરા નવાઈ લાગશે. ગઈ કાલે સવારમાં એકદમ ચરવડાથી ખસેડી સાંજના ચાર વાગ્યે અહીં લાવ્યા. કેમ ખસેડ્યો એ તો ભગવાન જાણે ! પણ મારું અનુમાન એમ થાય છે કે બાપુથી છૂટા પાડવાનો ઇરાદો હોવો જોઈએ. બીજું કશું જ કારણ કલ્પી શકાતું નથી. મને તો જ્યાં લઈ જાય ત્યાં સરખું જ છે. પણ બાપુની સંભાળ રાખવાનો અને એમની સોબતનો લાભ ગયો.”