પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯
વત્સલ હૃદય


ડાહ્યાભાઈનાં પત્ની ગુજરી ગયે લગભગ દોઢ વર્ષ થયું હતું. સગાંસંબંધીઓ એમનાં ફરી લગ્ન કરવા વિષે સરદારને લખ્યાં કરતાં હતાં. તે વખતે મણિબહેન પણ જેલમાંથી છૂટીને બહાર આવ્યાં હતાં. તે ઉપરથી તા. ૧૦–૧૦–’૩૩ના રોજ મણિબહેનને લખે છે :

“ડાહ્યાભાઈનાં લગ્નના સંબંધમાં તો એમને જે વિચાર થાય તે જ ખરો. એકલા રહી શકાય તો ઉત્તમ ગણાય. જેમ એકલા રહેવામાં દુઃખ છે, તેમ ઘરમાં ઓરમાયાં થાય તેમાં પણ દુઃખ છે. એ બેમાંથી પોતાની મરજીમાં આવે તેમ તેમણે કરવું.
“હવે તમે થોડો વખત ડાહ્યાભાઈ સાથે રહી શકશો. બેઉ ભાઈબહેન ક્યાંક વખત અને એકાંત કાઢીને પેટ ભરીને વાતો કરી લેજો. વારંવાર વખત મળતો નથી. દિલના ખુલાસા કરવાના હોય તે કરી લેજો. પણ કશી ચિંતા ન કરશો. બહુ મોટો કુટુંબકબીલો હોય તેમાં કાંઈ સુખ હોય છે એમ નથી. થોડાં હોઈએ તો સુખેથી રહી શકીએ અને થોડું દુઃખ ભોગવવું પડે એમ બને. બાકી સંસારમાં સુખદુઃખ એ તો તડકો-છાંયડો હોય એમ ચાલ્યાં જ કરે છે. વળી સુખદુઃખ એ તો મનનું કારણ છે. સંસાર માયાથી ભરેલો છે. થોડી માયાવાળાને થોડું દુઃખ. એટલે માયા અને જંજાળ વધારવામાં કશો લાભ નથી.”

ડાહ્યાભાઈને પોતાના કાકાના દીકરા ભાઈ સાથે કાંઈ ક્લેશ થયાં કરતો હતો. તે વિષે તા. ૧૧–૧૦–’૩૩ના રોજ કાગળ લખીને એમને સલાહ આપે છે :

“હું જોઉં છું કે …નો અને તમારો પાટો ચડતો નથી. એનો અર્થ એ છે કે તમારે બે જણે છૂટા પડવું જોઈએ. ભેગા રહેવાથી એકબીજાનાં મન ઊંચાં થતાં હોય તો ભેગા રહેવા કરતાં જુદા રહેવું સારું. સંભવ છે કે સગાંઓ કરતાં સ્નેહીઓ જોડે અથવા પોતાનાં કરતાં પારકાં સાથે વધારે મેળ આવે. … એ તમારું ન માને એ હું સમજી શકું છું. પણ તમારું ન માને અને ઊંધાં કામ કરે તો એનાથી જુદા થવું એ જ સારું ગણાય. એમાં તમારે મૂંઝાવાનું કે દુઃખી થવાનું કશું કારણ નથી. અલગ થવામાં બંને સુખી થશે. માટે બધી વાતનો મણિબહેન સાથે વિચાર કરજો. હમણાં તમે બેઉ ભાઈબહેન સુખદુઃખનો થોડો વિચાર કરી લેજો. ફરી ક્યારે ભેળાં થવાય, એ કોને ખબર છે ? માટે વખત અને એકાંત કાઢીને પેટ ભરીને વાત કરી લેજો. તમારે ભવિષ્યની જિંદગી એકલા ગાળવા વિષે પણ તમે બેઉ વિચાર કરી લેજો. એકલા રહી શકાય તો ઉત્તમ તક છે જ, પણ ન રહેવાય તો લગ્ન કરવામાં સંકોચ કરવાની જરૂર નથી. માત્ર અનુકુળ સ્થાન મળશે કે કેમ એ વિચારવાનું રહ્યું, પણ એ તે ગૌણ સવાલ છે. મુખ્ય સવાલ તે તમારી ઇચ્છા શી છે એ નક્કી કરવાનો છે.
“આ બધું તમને લખું છું છતાં એક વસ્તુ તમારે હવે સમજી લેવી જરૂરી છે. તે એ કે આપણે કોઈ પણ વાતની ચિંતા ન કરવી. આપણું ધાર્યું કશું થતું નથી. ધાર્યું ઈશ્વરનું થાય છે. માત્ર આપણે ખોટું કરતાં કે પાપ કરતાં