પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭
વત્સલ હૃદય
એટલે પાછા આવ્યા. છોકરો બહુ સારો હતો. ડૉકટરને લાગી આવ્યું તો છે જ. પણ એ હિંમતવાળા છે.
“હરિવદન હજી અમદાવાદમાં જ છે. હવે થોડા દિવસમાં નવસારી આશ્રમમાં પાછો જશે. બધું બંધ રહ્યું એટલે એને ગમ્યું નથી. પણ શું કરે ?
“કાનજીભાઈનો દીકરો પ્રમોદ અહીં એની સાથે હતો. એ પણ છૂટીને સુરત ગયો છે. પ્રમોદ સરસ છોકરો છે. જિંદગી દેશસેવામાં જ આપવાનો નિર્ણય કર્યો છે. કાનજીભાઈએ પણ એને રજા આપી છે. એનો નાનો ભાઈ પ્રિવિયસમાં ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો. આખું કુટુંબ ઠીક રંગાયેલું છે. બધાંએ સહન પણ ખૂબ કર્યુંં. નુકસાન પણ સારી પેઠે વેઠ્યું છે. બલ્લુભાઈએ કોઠામાં (મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે) ઠીક આબરૂ મેળવી છે. એમના કામથી સૌ ખૂબ રાજી છે. ભૂરુજી મજામાં છે. એ છાપામાં દટાઈ ગયો છે. જરાયે નવરો થતો નથી. ભાસ્કર મુંબઈ આવી ગયો છે. કૉંગ્રેસ હૉસ્પિટલનો ચાર્જ પાછો સંભાળી લીધો છે. હજી મુંબઈમાં ઘર વસાવ્યું નથી. શાંતા વગેરે સોજિત્રામાં જ છે. ઘર રાખ્યા પછી બોલાવવાનો ઇરાદો રાખે છે.
“વેલાંબહેન વડોદરે ગયાં છે. આનંદી, મણિ અને વનમાળા એની સાથે છે. દુર્ગા, મણિ અને અમીના હમણાં તો અંદર છે, પણ બહાર આવશે એટલે તેમને ક્યાં રાખવાં અનો વિચાર કરવાનો છે. કિશોરલાલ બાપુ સાથે મસલત કરવાના છે. આશ્રમ નીકળી ગયો એટલે આ બધાને તો પગ નીચેની ધરતી ચાલી ગયા જેવું થયું છે. કોઈ સ્થાન રહ્યું નહીં. અને પાછાં આટલે વર્ષે સંસારમાં જવું એ પણ ન ગમે. એટલે શું કરે ? લડાઈ બંધ થઈ એટલે બાળ, કાંતિ વગેરે કંઈક અભ્યાસ કરવાની સગવડો શેાધતા થઈ ગયા છે. પણ શું કરવું અને ક્યાં રહેવું એ નિર્ણય કરી શક્યા નથી.”

તા. ૧૭–૬–’૩૪ના કાગળમાં આશ્રમનાં બધાંની થયેલી વ્યવસ્થા વિષે લખે છે :

“અત્યારે તો બાપુએ એવી ગોઠવણ રાખી છે કે નારણદાસ રાજકોટમાં જ રહે. અને ત્યાંની જમનાદાસવાળી નિશાળમાં આશ્રમનાં બધાં છોકરાંને ભણાવવાની ગોઠવણ કરે. આશ્રમનાં મોટેરાં બધાં ગામડાંમાં જુદે જુદે સ્થળે ગોઠવાઈ જઈને ગરીબાઈથી રહે એવી ગોઠવણ બાપુ કરવા ધારે છે. નારણદાસ રાજકોટમાં રહે, તે જેઓ ગામડે પડ્યા હોય તેમની સાથે સંબંધ અને સાંકળ ગોઠવે. પણ બધાંને રાજકોટમાં છોકરાંને મૂકવાનું ગમશે કે કેમ એ સવાલ છે. સૌથી મોટો સવાલ તો અમીના અને એનાં છોકરાંનો થઈ પડશે એમ હું માનું છું. કુરેશીને પણ વિચાર કરવાનું રહેશે. આ બધી વાતનો આધાર તો બાપુ ઑગસ્ટની પહેલીએ શું કરશે એના ઉપર રહેશે. આપણા બારડોલીના આશ્રમો તો હજી પાછા આવ્યા નથી. અને ક્યારે મળશે તેનું કશું જ નક્કી નથી.”

ડાહ્યાભાઈને તા. ૪–૭–’૩૪ના રોજ કુટુંબ વિષે લખે છે :

“તમે લખો છો એ બધું જ સાચું હોય તોપણ તમારા વિચારમાં દોષ હોય એમ મને લાગે છે. આપણે એમના જેવા થઈએ તો પછી આપણામાં અને એમનામાં ફેર શો રહ્યો? અપકારનો બદલો ઉપકારથી વાળવો એ ડાહ્યા