પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
સરદાર વલ્લભભાઈ
માણસનું કામ છે. બૂરાની સાથે બૂરાઈ કરનારાં તો જગતમાં ઘણાંયે છે. એની મા ગમે તેવી હોય તેમાં એ છોકરાનો શો દોષ ? … (ફલાણા) એને કેમ નોકરી અપાવતા નથી એવો વિચાર આપણે ન કરીએ. એ આપણો છે અને આપણે અપાવી શકીએ તો અપાવવી જોઈએ. તમે એનો કાગળ જોઈ ક્રોધે ભરાયા લાગો છો. એના ઉપર ક્રોધ ન શોભે, એની માનો કે બીજાનો દોષ હોય એનો ક્રોધ એ નિર્દોષ બાળક ઉપર ન હોય. મને લાગે છે કે આપણે કુટુંબથી અલગ રહ્યા છીએ તેથી મહા ખટપટમાંથી છૂટી ગયા છીએ. કોઈને દોષિત ઠરાવવા માટે આપણે કશું પૂરું જાણતા નથી. આપણને જાણવાનો અવકાશ નથી. ઇચ્છા પણ નથી. સહુનો ઓછાવત્તો દોષ હશે. … ને એમના છોકરામાંથી કોઈ રાખી શકતા નથી. અને એ ભાઈઓને પણ એકબીજા સાથે બનતું નથી. આમ કમનસીબે કુટુંબકલેશ જેવું ચાલ્યા જ કરે છે. આપણો ધર્મ સૌને જેટલી મદદ થાય તેટલી મદદ કરવાનો તો છે જ, એ ન કરીએ તો આપણે આપણો ધર્મ ચૂકીએ. કુટુંબમાંથી કોઈ આપણી મદદ માગતો આવે ત્યારે તેને આપણે કેમ તરછોડી શકીએ ? આ બધી વાત તો તમે ક્રોધ છોડીને વિચારો તો સમજ પડે. અકળાવાથી ન બને. કોઈના બોલવા અગર લખવા ઉપર ગુસ્સો કરવો એ આપણને શોભે નહીં. સામાના ક્રોધની સામે પ્રેમથી જ કામ લઈ શકાય. આપણે તો ઉદારતાથી વિચાર કરવો જોઈએ. પણ આ બધું તમને ન સમજાય એ હું સમજી શકું છું. સામાન્ય વિચારસરણી તમારા જેવી જ હોય છે. એમાંથી બહાર નીકળવું કઠણ છે. પણ એ જ ઉત્તમ છે.”

સરદાર જેલમાં પડ્યા પડ્યા કેટલા કેટલા માણસોનો વિચાર કર્યાં કરતા હતા તે એમણે લખેલા કાગળોમાંથી ઉપર જે થોડા ઉતારી આપ્યા છે તે ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. આ કાગળોમાં જે અનેક નામ આવે છે તેમને તે ખબર નહીં હોય કે સરદાર આપણો વિચાર રાખતા હશે. એક ભાઈની તો મને પ્રત્યક્ષ માહિતી છે. તેમણે કહેલું કે હું તો સરદાર સાથે કોઈ દિવસ બોલ્યો પણ નથી અને સરદાર મને ઓળખતા હશે કે કેમ તે પણ મને ખાતરી ન હતી. છતાં સરદારે મારી પણ કાળજી રાખી છે. તેની મને નવાઈ લાગે છે. પણ પોતાના તમામ સાથીઓ અને કાર્યકર્તાઓની કાળજી ન રાખે તો પછી સરદાર શેના કહેવાય ? સેવકો પ્રત્યે સરદારના દિલમાં ઊંડે વાત્સલ્યભાવ હતો તેથી જ તેઓ સરદારપદને સફળ રીતે શોભાવી શક્યા.