પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
સરદાર વલ્લભભાઈ
એ વેળાએ કાકાએ બધાને પૂછ્યું હોત તો કદાચ તેઓ પણ આપવામાં સંમત થાત. એ અપાયા પછી તો તુરત બધાને જેલમાં જ જવાનું હતું ના ?”

એટલે સરદારે એમ કહ્યું હશે કે સરકારના અંકુશવાળી સંસ્થાને દાન આપવાનો આખા ટ્રસ્ટીમંડળને અધિકાર નથી. એના જવાબમાં ગાંધીજીએ લખ્યું :

“ટ્રસ્ટીઓને અધિકાર નથી એમ કહો છો ? જો એમ જ હોય તો તો પુસ્તક પાછાં લેવાં જ જોઈએ.”

પછી વધુ ખાતરી કરવા માટે સરદારે શ્રી ભૂલાભાઈ દેસાઈ તથા શ્રી કનૈયાલાલ મુનશીના અભિપ્રાય લીધા. તેમને સરદારે સ્પષ્ટ જણાવ્યું કે જો આખા વિદ્યાપીઠમંડળને પુસ્તકાલય આપી દેવાનો કાયદેસર અધિકાર હોય તો કાકાસાહેબના કૃત્યને અમે મંજૂર રાખવા તૈયાર છીએ. એટલે કાકાસાહેબને અધિકાર હતો કે નહીં એ તમે ન જોશો, પણ આખા વિદ્યાપીઠમંડળને અધિકાર છે કે નહીં એના ઉપર તમારા અભિપ્રાય આપશો. બંને ધારાશાસ્ત્રીઓના અભિપ્રાય એવા મળ્યા કે વિદ્યાપીઠના સિદ્ધાંત જોતાં આખા વિદ્યાપીઠમંડળને મ્યુનિસિપાલિટી જેવી સરકારના અંકુશવાળી સંસ્થાને વિદ્યાપીઠની મિલકત સોંપી દેવાનો અધિકાર નથી. તે ઉપરથી સરદારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખને કાગળ લખીને જણાવ્યું કે,

“આચાર્ય કાકાસાહેબ કાલેલકરે પોતાના કેટલાક સાથીઓની સંમતિથી ગૂજરાત વિદ્યાપીઠનું પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપી દીધું છે. મહાત્મા ગાંધીએ આપેલા સત્યાગ્રહાશ્રમના પુસ્તકાલચનું દાન જેમ તમે સ્વીકાર્યું તેમ આ પુસ્તકાલય પણ સ્વીકાર્યું છે. આ બાબતમાં ટ્રસ્ટીઓના અધિકાર વિશે બહુ નાજુક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. મને એવી સલાહ મળી છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટી જેવી સંસ્થાને વિદ્યાપીઠની ટ્રસ્ટ મિલકત સોંપવાનું આખા વિદ્યાપીઠમંડળના અધિકાર બહારનું છે. હું વિદ્યાપીઠનો એક ટ્રસ્ટી છું, અને તેની મિલકત સાચવવા માટે કાયદેસર જવાબદાર છું. એટલે તમને ખબર આપવાની મારી ફરજ થાય છે કે વિદ્યાપીઠનું પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપવા બાબત જેમણે તમારી સાથે પત્રવ્યવહાર કર્યો અને જેમણે પુસ્તકાલયનો કબજો તમને સોંપ્યો તેઓએ, જોકે આ કૃત્ય સંપૂર્ણ શુદ્ધ બુદ્ધિથી કર્યું છે, છતાં એ કેવળ તેમના જ અધિકાર બહારનું નહીં, પણ વિદ્યાપીઠના આખા ટ્રસ્ટીમંડળના અધિકાર બહારનું છે. તમે એટલું તો સ્વીકારશો કે આવી બાબતમાં ટ્રસ્ટીઓએ સંસ્થાના અસલ હેતુઓ તથા મૂળભૂત સિદ્ધાંતો સાચવવાની બહુ ઝીણવટભરી કાળજી રાખીને વર્તવું જોઈએ. વળી મૂળ દાતાઓમાંથી અથવા તો જાહેર જનસમાજમાંથી કોઈને આ કૃત્ય અધિકાર બહારનું લાગે અને તે અમારી સામે કાયદેસર પગલાં ભરે તો એની જોખમદારીમાં પડવાની પણ ટ્રસ્ટીમંડળની ઇચ્છા ન હોય.
“વિશેષમાં હું એ વસ્તુ તરફ આપનું ધ્યાન ખેંચું છું કે આ પુસ્તકાલય મ્યુનિસિપાલિટીના કબજામાંથી અસલ ટ્રસ્ટીઓના કબજામાં આવશે, તેથી જાહેર