પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
રાસ ગામે સરદારની ધરપકડ

કૂચ શરૂ ક૨શે તે જ દિવસે એ ગીતાજી બહાર પડશે. અને બાપુએ તમારે માટે પહેલી જ નકલ રાખી મૂકી છે. તે મોકલું ને ?’

“ ‘મેં સુપરિન્ટેન્ડેન્ટ તરફ જોયું એટલે તેમણે કહ્યું : ‘ભલે, ધાર્મિક સાહિત્યની સામે અમને વાંધો નથી.’
“ ‘પછી તેમને થયેલી સજાને વિષે અમદાવાદના વકીલો ઠીક કાયદો ફેંદી રહ્યા છે એમ મેં તેમને કહ્યું. એટલે કહે : ‘ખાલી કાયદો શા સારુ ફેંદે છે?’ મેં કહ્યું : ‘એ તે હાઈકૉર્ટમાં જવા માગે છે.’ એટલે કહે: ‘મને અહીં મજા છે, અને મારે સજા પૂરી કર્યા વિના નીકળવું નથી; બાકી મૅજિસ્ટ્રેટ મૂરખ હતો. એને કાયદાનું કશું ભાન નહોતું. કોઈને એણે કોર્ટમાં ન આવવા દીધા. કાયદાની કલમો શોધતાં એને દોઢ પહોર થયો અને મને સજા કરવાનો આઠ લીટીનો ફેંસલો લખતાં એને દોઢ કલાક ગયો.’
“પછી મેં એમને જોઈતી ચીજોની યાદી કરવા માંડી. એટલે સુપરિન્ટેન્ડેન્ટ કહે: ‘અસ્ત્રાની રજા નથી. તમને હજામત કરાવવાની સગવડ આપવામાં આવશે.’ ‘એ તો હું જાણું છું અહીંં કેવી હજામત થાય છે તે.’ કહીને સરદાર હસ્યા.
“એટલે જેલર, જેમને સુપરિન્ટેન્ડેન્ટ કરતાં નિયમોનું કંઈક વધારે જ્ઞાન લાગતું હતું તેમણે કહ્યું: ‘સાહેબ, આ કેદીને તો અસ્ત્રો આપી શકાય.’
“સુપરિન્ટેન્ડેન્ટ કહે : ‘તો ભલે. પણ જ્યારે તમને જોઈએ ત્યારે આપીશું. એ રહેશે અમારી પાસે.’
“એટલે સરદાર કહે : ‘મને એક અસ્ત્રો આપી મૂકતા હો તો કેવું સારું ! બીજા કેદીઓની હજામત કરું અને ચાર પૈસા પેદા કરૂં.’
“આ વેળા તો ચિત્રવત્ બેસી રહેલા સુપરિન્ટેન્ડેન્ટ અને જેલર પણ ખડખડાટ હસ્યા. પણ તુરત જ પાછું તેમને નિયમોનું ભાન થયું. ઘડીક વાર માણસ બનેલા તે પાછા યંત્ર બન્યા, અને બોલ્યા : ‘એમણે સાબુની માગણી કરી છે. પણ સુગંધી સાબુ ન મોકલશો. સુગંધી સાબુની રજા નથી.’
“અમે નીકળતા હતા ત્યાં સરદાર બોલ્યા : ‘ત્રણ મહિના તો હું મજા કરીશ. નીકળીશ ત્યારે એવું તપી ગયેલું હશે કે હું ટાંકણે જ નીકળવાનો. બહુ સારું થયું.’
“આખરે જાણે ખાસ કાંઈ વાત કહેવાના હોય તેમ કહે: ‘મારા આનંદના તો પાર નથી. પણ એક વાતનું દુઃખ છે.’
“એ વાક્ય અંગ્રેજીમાં બોલ્યા. જેલર અને સુપરિન્ટેન્ડેન્ટ ચોંક્યા. સાંભળવાને અધીરા થયા. પણ સરદાર કહે : ‘એ કહેવાય એવું નથી.’ એમ કહીને ઊલટું અમારું કુતૂહલ એમણે વધારી મૂક્યું.
“ઘડીક વાર પછી બોલ્યા: ‘દુઃખની વાત એ છે કે અહીં બધા જ હિંદી અધિકારીઓ છે. સિપાઈઓ અને વૉર્ડરોથી માંડીને સુપરિન્ટેન્ડેન્ટ સુધી સૌ હિંદીઓ જ પડ્યા છે. ગોરા હોત તો બતાવત. તેમની સાથે લડત. પણ આ આપણા લોકો સાથે શી રીતે લડાય ? આપણા લોકોને તંત્રના ગુલામ કેવા બનાવી મૂક્યા છે તેનો આ નમૂનો છે.’