પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
’૩૪ ની મુંબઈની કૉંગ્રેસ અને ત્યાર પછી


ત્યાર પછી તા. ૭મી એપ્રિલે સવિનય ભંગ મોકૂફ રાખવાનું નિવેદન પણ તેમણે બહાર પાડ્યું. જે મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓ બહાર હતા તેમને આ બધું સમજાવવા તા. ૩જીએ રાંચીમાં એક નાની પરિષદ ભરવામાં આવી. તેમાં દિલ્હી પરિષદના ઠરાવોને બહાલ રાખી જેમને ધારાસભામાં જવું હોય તેમને જવાની રજા આપવામાં આવી. ધારાસભા માટે મુખ્ય કાર્યક્રમ એ રાખવામાં આવ્યો કે બ્રિટિશ પાર્લામેન્ટ હિંદુસ્તાન માટે રાજકીય સુધારાની જે યોજના તૈયાર કરી હતી તેનો અસ્વીકાર કરવો, રાષ્ટ્રીય માગણી મુજબની સુધારાની યોજના તૈયાર કરવા માટે એક સભા બોલાવવી તથા બધા જુલમી કાયદાઓ રદ કરાવવા ધારાસભામાં લડત ચલાવવી. તા. ૧૮, ૧૯ તથા ૨૦મી મેએ પટનામાં કૉંગ્રેસની કારોબારી સમિતિની તથા મહાસભાસમિતિની બેઠક થઈ. તેમાં ધારાસભામાં જવાની રજા આપવાની તેમ જ સવિનય ભંગની મોકૂફીની દરખાસ્તો મંજૂર કરવામાં આવી. આના જવાબમાં સરકારે જૂન મહિનામાં સરહદ પ્રાંત અને બંગાળ સિવાયની કૉંગ્રેસ સંસ્થાઓ ઉપરથી પ્રતિબંધ ઉઠાવી લીધો અને સવિનય ભંગની લડતવાળા રાજદ્વારી કેદીઓને ધીમે ધીમે છોડી મૂકવાની નીતિ શરૂ કરી. એમાં ગુજરાતના કેદીઓ ઘણા મોડા છૂટેલા. વળી ખાન અબદુલ ગફારખાન, પંડિત જવાહરલાલ નેહરુ તથા સરદાર વલ્લભભાઈને છોડવા સરકાર ઈચ્છતી ન હતી. તોપણ સરદારને તબિયતને કારણે જુલાઈમાં છોડી મૂકવા પડ્યા. ઑગસ્ટ આખરમાં ખાન અબદુલ ગફારખાન તથા તેમના ભાઈ ડૉ. ખાનસાહેબને પણ છોડ્યા, જોકે તેની સાથે જ તેમને હુકમ આપ્યો કે તમારે સરહદ પ્રાંતની હદમાં પ્રવેશ કરવો નહીં. જવાહરલાલજીને તો સરકારે જેલમાં પૂરી જ રાખ્યા.

કૉંગ્રેસની રીતસરની અને ખુલ્લી બેઠક ભર્યે ત્રણ વરસ ઉપર થઈ ગયાં હતાં અને લગભગ બધા જ કૉંગ્રેસ કાર્યકર્તાઓ તથા નેતાઓ જેલ બહાર આવી ગયા હતા. એટલે બધાને વિચાર આવ્યો કે જેમ બને તેમ વહેલું કૉંગ્રેસનું અધિવેશન ભરવું જોઈએ. ’૩૪ના નવેમ્બરમાં વડી ધારાસભાની ચુંટણી થવાની હતી. કૉંગ્રેસીઓને ધારાસભામાં જવાની રજા આપવામાં આવી હતી એટલે ચૂંટણી માટેની તૈયારી પણ કરવાની હતી. તેથી ઑક્ટોબરની આખરમાં મુંબઈમાં કૉંગ્રેસનું અધિવેશન ભરવાનું નક્કી કરવામાં આવ્યું. આમ તો આ અધિવેશનમાં ધારાસભાપ્રવેશ સિવાય બીજા કોઈ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની ન હતી. એટલે અધિવેશન સામાન્ય સ્વરૂપનું થાત. પણ ગાંધીજીએ એક નવી જ વાત કરી તેને લીધે કૉંગ્રેસનું આ અધિવેશન બહુ મહત્વપૂર્ણ બની ગયું. ગાંધીજીએ કહ્યું કે,