પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
સરદાર વલ્લભભાઈ


“નીકળતાં નીકળતાં બીજો સંદેશો પણ એમણે પોતાની વ્યંગ વાણીમાં આપી દીધો. મે કહ્યું: ‘તમને ત્રણ મહિનામાં એક જ મુલાકાત મળે, અને આ એક તો થઈ ગઈ. હવે તમે પાછા ન મળી શકો એ દુઃખ થાય છે.’
“એટલે સરદાર કહે : ‘મને કોઈએ મળવાની જરૂર નથી, ઊલટા કોઈ મળવા આવે તો મને યાદ આવે છે કે હજી આ બહાર રહેલા છે.’”

ઉપરની હકીકત મહાદેવભાઈએ છાપામાં બહાર પાડી કે તરત જ સરદારની સાથેનું વર્તન બદલવાના હુકમ સરકારે કાઢ્યા. ઘેરથી ખાટલો, ગોદડાં અને મચ્છરદાની તથા ખાવાનું મંગાવવું હોય તો મંગાવી શકાશે એવી એમને ખબર આપવામાં આવી. સરદારે કહી દીધું : “મારે ઘેરથી ખોરાક નથી મંગાવવો. માત્ર બે તપેલી અને થાળીવાટકો મંગાવી લઈશ, અને સીધું આપશો તે રાંધી લઈશ, જેથી ચોખ્ખું ખાવાનું મળે.”

અમદાવાદના વકીલોને એમ લાગતું હતું કે સરદારે ભલે કહ્યું કે “I plead guilty (હું ગુનો સ્વીકારું છું )” પણ તેમણે ભાષણ કર્યું નથી. ભાષણ કરવાનો પોતાનો ઈરાદો જ માત્ર જાહેર કર્યો છે; તેમણે નોટિસના ભંગનું કૃત્ય કર્યું નથી, ત્યાં સુધી ગુનો થતો નથી. પણ આવી વકીલી દલીલબાજીમાં પડવાની સરદારની ઈચ્છા નહોતી. છતાં શ્રી દાદાસાહેબ માવળંકર કાયદાના સલાહકાર તરીકે સરદારની મુલાકાત લેવા જેલ પર ગયા, ત્યારે સરદારે નીચેનું નિવેદન લખાવ્યું :

“મૅજિસ્ટ્રેટ મારી ઉપર નોટિસ બજાવી અને મને પૂછ્યું, ‘હવે તમે શું કરવા માગો છે ? પરિણામ તો તમે જાણતા જ હોવા જોઈએ.’ મેં કહ્યું, ‘મને પરિણામની કશી દરકાર નથી. હું ભાષણ કરવા જ માગું છું.’ એટલે એમણે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટને મને પકડવા કહ્યું અને પૂછ્યું કે તમે જામીન ઉપર છૂટવા માગો છો ? મેં ના પાડી. પછી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટે મને મોટરમાં બેસાડ્યો. મૅજિસ્ટ્રેટ અને પોલીસપાર્ટી પણ સાથે આવી. અમે લગભગ અઢી વાગ્યે બોરસદ મૅજિસ્ટ્રેટની કૉર્ટમાં પહોંચ્યા. કલેક્ટર મુસાફરી બંગલામાં હતો. ત્યાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ તેમને મળવા ગયો. સાડા ત્રણ વાગ્યે તેઓ બંને પાછા આવ્યા. દરમિયાન કેટલાક વકીલો અને ગામના સદ્‌ગૃહસ્થો મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આવી પહોંચ્યા હતા. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે આવીને તેમને કૉર્ટની બહાર કાઢ્યા અને મને જોડેની મૅજિસ્ટ્રેટની ચેમ્બરની ઓરડીમાં બેસવા કહ્યું. હું અંદર ગયો એટલે બારણાં બહારથી બંધ કરી દીધાં. હું ચેમ્બરમાં એકલો જ રહ્યો. બહાર કૉર્ટના ઓરડામાં પણ ત્રણ જ માણસો હતા, ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ, અને જેમણે મારા ઉપર નોટિસ બજાવી હતી તે મૅજિસ્ટ્રેટ. અર્ધાએક કલાક પછી મને બહાર કાઢવામાં આવ્યો. મને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે પૂછ્યું, ‘ડિસ્ટ્રિકટ પોલીસ ઍક્ટની અમુક કલમ (જે મને યાદ નથી) મુજબ પોલીસ અમલદારે ફરમાવેલા હુકમનો અનાદર કરવા માટે તમને સજા કેમ ન કરવી જોઈએ એનાં કોઈ કારણ હોય તો બતાવો.’ મેં જવાબ આપ્યો, ‘હું બચાવ