પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
સરદાર વલ્લભભાઈ


“હું જોઈ રહ્યો છું કે, કૉંગ્રેસનો જે ભણેલો અને બુદ્ધિપ્રધાન વર્ગ ગણાય છે તેમને મારા કાર્યક્રમ ઉપર શ્રદ્ધા રહી નથી. ખાસ કરીને રેંટિયા અને ખાદી ઉપર તેમને શ્રદ્ધા નથી, છતાં મારી શરમે અથવા તો મારી સામેનો પોતાનો વિરોધ સફળ થવાની શક્યતા નથી એ બીકે તેઓ મારો વિરોધ કરતા નથી, અને મારા કાર્યક્રમને દિલ વિનાનો ટેકો આપે છે. પરિણામે કૉંગ્રેસ ઉપર હું એક મોટા બોજા સમાન થઈ પડ્યો છું. મારે લીધે મોટા ભાગના કૉંગ્રેસીઓ સ્વતંત્ર વિચાર કરતા નથી અને સ્વતંત્ર વર્તન પણ રાખી શકતા નથી. એટલે કૉંગ્રેસના હિતની ખાતર મારે કૉંગ્રેસમાંથી નીકળી જવું જોઈએ.”

બધા મુખ્ય મુખ્ય નેતાઓને કાગળ લખીને પોતાનો આ વિચાર તેમણે જણાવ્યો. રાજાજી, અબુલ કલામ આઝાદ વગેરેએ ગાંધીજીના આ વિચારનો સખત વિરોધ કર્યો. તેમણે એ પણ દલીલ કરી કે તમે આ ટાણે કૉંગ્રેસમાંથી નીકળી જશો તો તેની જનસમાજ ઉપર વિપરીત અસર થશે અને ચૂંટણીઓમાં કૉંગ્રેસને સફળતા મળશે નહીં. એકલા સરદાર ગાંધીજીની વાત બરાબર સમજી ગયા. તેમણે ગાંધીજીના કૉંગ્રેસમાંથી નીકળી જવાના વિચારને ટેકો આપ્યો. ઘણાં વરસોથી સરદાર ગાંધીજીના અંધ અનુયાયી ગણાતા હતા, એટલે લોકો કહેવા લાગ્યા કે એ તો અંધભક્ત છે એથી ગાંધીજી જે વાત કહે એને ટેકો આપે છે. આ પ્રસંગે રાજાજી એક બહુ સૂચક વાક્ય બોલેલા કે ‘ગાંધીજીના અંધ અનુયાયીઓ બીજા પણ છે. તેઓ પોતાની આંખે જોઈ શકતા જ નથી, પણ સરદાર બીજા અંધ અનુયાયીઓ જેવા નથી, તેમની આંખો ચોક્કસ છે. તેઓ બધું સ્પષ્ટ જોઈ શકે છે, પણ જાણી જોઈને પોતાની આંખે પાટા બાંધે છે અને ગાંધીજીની આંખે જ જોવાનો પ્રયત્ન કરે છે.’

નેતાઓ સાથે ચર્ચા કરી લીધા પછી ગાંધીજીએ તા. ૧૭–૯–’૩૪ના રોજ પોતાનું નિવેદન બહાર પાડ્યું. કૉંગ્રેસનો બુદ્ધિપ્રધાન વર્ગ કયા કયા મુદ્દા ઉપર પોતાનાથી જુદો પડે છે તે એ નિવેદનમાં તેમણે બહુ સ્પષ્ટ રીતે રજૂ કર્યું. તે આખું નિવેદન ગાંધીજીની કાર્યપદ્ધતિ અને વિચારસરણીનો બહુ ભવ્ય નમૂનો છે. અહીં તો તેનો સાર જ આપી શકીશું.

“વિરુદ્ધના અને તરફેણના બધા મુદ્દાઓનો બરાબર વિચાર કરીને સલામતી તથા ડહાપણભરેલા માર્ગ તરીકે ઓક્ટોબરમાં કૉંગ્રેસનું અધિવેશન પૂરું થાય ત્યાં સુધી છેલ્લું પગલું લેવાનું મેં મુલતવી રાખ્યું છે. એમ કરવાને હું એટલા માટે આકર્ષાયો છું કે મારા ઉપર જે છાપ પડેલી છે તે ખરી છે કે કેમ તેની હું કસોટી કરી શકું. મને એમ લાગે છે કે કૉંગ્રેસના બુદ્ધિપ્રધાન વર્ગનો બહુ મોટો ભાગ મારી પદ્ધતિ અને વિચારો તથા તે અનુસાર ઘડાયેલા મારા કાર્યક્રમથી કંટાળી ગયો છે. કૉંગ્રેસના સ્વાભાવિક વિકાસમાં મદદરૂપ થવાને બદલે હું એક અંતરાયરૂપ થઈ પડ્યો છું. કૉંગ્રેસ એક પ્રજાશાહી અને લોકપ્રતિનિધિત્વવાળી સંસ્થા રહેવાને બદલે, તેના ઉપર મારા વ્યક્તિત્વનું આધિપત્ય એવું જામી ગયું છે