પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫
’૩૪ ની મુંબઈની કૉંગ્રેસ અને ત્યાર પછી
કે, તેમાં સ્વતંત્ર વિચારને અવકાશ રહ્યો નથી. ઘણા કૉંગ્રેસીઓના અને મારા દૃષ્ટિબિંદુમાં મહત્ત્વના સિદ્ધાંતની બાબતમાં ભેદ વધતો જાય છે. તેમની મારા પ્રત્યેની વફાદારી અને ભક્તિ ઉપર મારે હવે વધારેપડતો બોજ મૂકવો જોઈએ નહી.
“દિવસે દિવસે મારી પ્રતીતિ વધતી જાય છે કે આપણા દેશે જો કરોડો ગરીબ લોકોના ભલા માટેની પૂર્ણ સ્વતંત્રતા નિર્ભેળ અહિંસાથી મેળવવી હોય તો રેંટિયો અને ખાદી એ અર્ધબેકાર અને ભૂખે મરતા કરોડો લોકોને માટે જેટલાં સ્વાભાવિક છે તેટલાં જ સ્વાભાવિક અલ્પ સંખ્યાવાળા સુશિક્ષિત લોકો માટે પણ હોવાં જોઈએ. રેંટિયો એ માનવગૌરવ અને સમાનતાનું, એ શબ્દોના સાચામાં સાચા અર્થમાં, પ્રતીક છે. ખેડૂતોનો એ મદદગાર ધંધો છે અને રાષ્ટ્રનું બીજું ફેફસું છે. આમ છતાં રેંટિયાની એ વ્યાપક શક્તિ વિષે બહુ જૂજ કૉંગ્રેસીઓને જીવંત શ્રદ્ધા છે.
“ધારાસભાપ્રવેશની બાબતમાં, અસહકારનો પ્રણેતા હોવા છતાં, મારી ખાતરી થઈ છે કે દેશની અત્યારની પરિસ્થિતિમાં અને સવિનય ભંગની કોઈ યોજનાને અભાવે, કૉંગ્રેસ કોઈ પણ કાર્યક્રમ ઘડે તેમાં ધારાસભાનો કાર્યક્રમ એક આવશ્યક ભાગ હોવો જોઈએ. પણ એ બાબતમાં મારા ઘણા ઉત્તમ સાથીઓને મારી સાથે વિરોધ છે. જોકે તેઓ બોલતા નથી, કારણ મારો વિરોધ કરવામાં કશો સાર નથી એમ તેમને લાગે છે. મારા જેવા આજન્મ લોકશાસનવાદીને માટે આ બહુ શરમભરેલું છે.
“કૉંગ્રેસમાં સમાજવાદી પક્ષ રચાય તેને મેં આવકાર આપ્યો છે. તેમનામાંના ઘણા માનવંતા અને ત્યાગી સાથીઓ છે. તેમ છતાં તેમનાં સત્તાવાર પ્રકાશનોમાં તેમનો જે કાર્યક્રમ છપાયેલો છે તેની સાથે મારા મૂળગત મતભેદો છે. તેમનું જોર જો કૉંગ્રેસમાં વધે, જે બનવાનો સંભવ છે, તો હું કૉંગ્રેસમાં રહી શકું નહીં. તેમના સક્રિય વિરોધમાં રહેવું એ મારે માટે અવિચારણીય છે. તે જ પ્રમાણે દેશી રાજ્ય વિષે મેં જે નીતિ સૂચવી છે તેના કરતાં ઘણા કૉંગ્રેસીઓની નીતિ તદ્દન જુદી જ છે. એવું જ અસ્પૃશ્યતાનિવારણનું છે. મારે માટે તે મહા ધાર્મિક અને નૈતિક પ્રશ્ન છે. પરંતુ જે વખતે સવિનય ભંગની લડત ચાલતી હતી તે વખતે મેં ઉપવાસ કર્યા તેથી લડતમાં વિક્ષેપ પડ્યો અને મેં મોટી ભૂલ કરી એવું ઘણાને લાગે છે, જ્યારે મને લાગે છે કે એ માર્ગ મેં ન લીધો હોત તો મારી જાત પ્રત્યે હું બેવફા ઠર્યો હોત.
“હવે અહિંસાનો પ્રશ્ન લઈએ. ચૌદ વરસ સુધી તેનો પ્રયોગ કર્યા પછી કૉંગ્રેસીઓની બહુમતી માટે તે હુજી એક નીતિ જ રહે છે, જ્યારે મારે માટે એ એક મહા ધર્મ છે. સવિનય ભંગની લડત મોકૂફ રાખવાની ભલામણ કરતું જે નિવેદન મેં બહાર પાડ્યું તેમાં આપણી લડત બે દેખીતાં પરિણામ લાવવામાં નિષ્ફળ ગઈ છે તે પ્રત્યે મેં ધ્યાન ખેંચ્યું હતું. આપણી લડત પૂરેપૂરી અહિંસકવૃત્તિથી ચલાવી હોત તો સરકારને એને સત્કાર્યા વિના ચાલત જ નહીં. સરકારના ઑર્ડિનન્સોનો હેતુ કોઈ પણ રીતે આપણો જુસ્સો તોડી પાડવાનો હતો. જોકે અહિંસક માણસ ઉપર ઑર્ડિનન્સોની કશી જ અસર કરી શકે