પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
સરદાર વલ્લભભાઈ
નહીંં. પણ બધા જેલ જનારાઓ દોષથી પર હતા એમ આપણાથી કહી શકાય એવું નથી. આપણે સાચા અહિંસક હોઈએ તો તેની અસર સામા પક્ષ ઉપર થયા વિના રહે જ નહીં. પણ જેમ આપણે સરકાર ઉપર શી અસર પાડી શક્યા નથી, તેમ ત્રાસવાદીઓને પણ આપણે એમ બતાવી શક્યા નથી કે તમારી હિંસા ઉપર જેટલી શ્રદ્ધા છે તેના કરતાં અહિંસા ઉપર અમારી વધારે શ્રદ્ધા છે. એટલે અત્યારે મારી મુખ્ય ફરજ એ થઈ પડી છે કે મારે એવા ઉપાય શોધી કાઢવા જેથી સરકારને તેમ જ ત્રાસવાદીઓને હું બતાવી શકું કે સ્વતંત્રતા તેના પૂરા અર્થમાં હાંસલ કરવા માટે અહિંસામાં પૂરેપૂરી શક્તિ છે. આ કામને મેં મારું જીવન સમર્પણ કર્યું છે. તે બરાબર કરવા માટે મારામાં પૂરેપૂરું તાટસ્થ્ય હોવું જોઈએ અને મને પૂરેપૂરું કાર્ય સ્વાતંત્ર્ય મળવું જોઈએ. કાયદાનો સવિનય ભંગ એ તો સત્યાગ્રહનો માત્ર એક ભાગ છે. સત્યાગ્રહને હું જીવનનો સાર્વત્રિક અને સર્વોપરી કાયદો માનું છું. સત્ય એ મારા ઈશ્વર છે. તેની શોધ અને પ્રાપ્તિ હું અહિંસા મારફત જ કરી શકું એમ છું, બીજી કોઈ રીતે નહીં. સત્યની મારી આ ખોજમાં આપણા દેશનું અને દુનિયાનું પણ સ્વાતંત્ર્ય સમાયેલું છે. આ ખોજને અર્થે જ હું રાજદ્વારી પ્રવૃત્તિમાં પડ્યો છું. આ ખોજમાં પૂર્ણ-સ્વાતંત્ર્ય અને બીજી ઘણી વસ્તુઓ અનિવાર્યપણે સમાયેલી છે, એવું હું આપણા સુશિક્ષિત કૉંગ્રેસીઓ પાસે બુદ્ધિથી અને હૃદયથી ન સ્વીકારાવી શકું તો એ સ્પષ્ટ છે કે મારે એકલા કામ કરવું જોઈએ, એવી અચલ શ્રદ્ધાથી કે આજે નહીં તો કાલે હું તેમને આ વાત સમજાવી શકીશ. આ ભગીરથ કાર્ય માટે ઈશ્વર મને શક્તિ આપશે, તે માટે જે ભાષા જોઈએ તે મારા મોઢામાં મૂકશે અને તે માટે જે જરૂરી કાર્યો હશે તે પણ મારી પાસે કરાવશે. પણ તમે મને ગાડરિયા રીતે મત આપો અથવા કચવાતે મને સંમતિ આપો તે મને પોસાય એમ નથી. આપણા કામને તેથી નુકસાન થવાનો સંભવ છે.
“પૂર્ણ સ્વાતંત્ર્ય — કમ્પ્લીટ ઇન્ડીપેન્ડન્સ — એ અંગ્રેજી શબ્દપ્રયોગનો અંગ્રેજી ભાષામાં જે અર્થ થાય છે તે પૂરા અર્થમાં મારે હિંદુસ્તાન માટે એ જોઈએ છે. પણ પૂર્ણ સ્વાતંત્ર્ય કરતાં પૂર્ણ સ્વરાજ્યમાં મારે મન અનંત ગણો વધારે અર્થ સમાયેલ છે. છતાં મારે જે જોઈએ છે તેની વ્યાખ્યા તે પૂર્ણ સ્વરાજ્યમાં પણ પૂરેપૂરી આવતી નથી. પૂરી વ્યાખ્યા આપવાનું અશક્ય નહીં તોપણ બહુ મુશ્કેલ છે. એમાંથી જ ઘણા કૉંગ્રેસીઓને મારી સાથે ગંભીર મતભેદો ઊભા થાય છે. છેક ૧૯૦૯થી હું કહેતો આવ્યો છું કે સાધન અને સાધ્ય મારે મન એક જ વસ્તુ છે. શું સાધન જુદાં જુદાં અને એકબીજાથી અસંગત હોય ત્યાં સાધ્ય પણ જુદાં જુદાં અને અસંગત આવે. આપણો કાબૂ હંમેશાં સાધન ઉપર હોય છે, સાધ્ય ઉપર કદી હોતો નથી. આ ઉઘાડું સત્ય ઘણા કૉંગ્રેસીઓ સ્વીકારતા નથી. તેઓ માને છે કે સાધ્ય સારું હોય તો ગમે તેવાં સાધન ઉપયોગમાં લઈ શકાય.
“આ મતભેદોનું એકંદર પરિણામ એ આવે છે કે કૉંગ્રેસનો અત્યારનો કાર્યક્રમ નિષ્ફળ નીવડે છે. કારણ એ કાર્યક્રમમાં શ્રદ્ધા હોયા વિના સભ્યો તેને મોઢાની સંમતિ આપે છે. પછી સ્વાભાવિક રીતે જ તેને અમલમાં મૂકવામાં