પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
સરદાર વલ્લભભાઈ
ન અંકાવું જોઈએ પણ તે કેટલી સેવા કરે છે તે ઉપરથી અંકાવું જોઈએ. પશ્ચિમની પ્રશાસન પદ્ધતિની આજે કસોટી થઈ રહી છે. લાંચરુશવત અને દંભ એ પ્રજાશાસનની અનિવાર્ય પેદાશ ન જ હોઈ શકે. પરંતુ આજે જ્યાં ત્યાં એ જ વસ્તુ જોવામાં આવે છે. વળી મોટી સંખ્યા એ પ્રજાશાસનની સાચી કસોટી નથી. થોડા માણસો પોતે જેમના પ્રતિનિધિ હોવાનો દાવો કરતા હોય તેમના જુસ્સાનો, તેમની આશાઓનો અને આકાંક્ષાઓનો સાચો પડઘો પાડે તો હું તેને સાચું પ્રજાશાસન કર્યું. બીજું હું એ માનું છું કે બળજબરીની પદ્ધતિથી સાચા પ્રજાશાસનનો વિકાસ ન જ થઈ શકે. પ્રજાશાસનનો જુસ્સો બહારથી લાવી શકાતો નથી, એ અંદરથી ઊગવો જોઈએ.
“મને ભય છે કે ઉપર જે સુધારા મેં સૂચવ્યા છે તે કૉંગ્રેસમાં આવનારા ઘણા પ્રતિનિધિઓને ભાગ્યે જ ગળે ઊતરે. છતાં મારે કૉંગ્રેસની નીતિને દોરવી હોય તો એ સુધારા અને આ નિવેદનના ભાવને અનુકૂળ આવે એવા બીજા ઠરાવો આપણા ધ્યેયની શીઘ્ર પ્રાપ્તિ માટે આવશ્યક છે. મેં ઉપર જે કાર્યક્રમ દોરવાનો પ્રયત્ન કર્યો છે તેનાં મૂળ તત્ત્વો સાથે કશી માંડવાળ કરવાનો અવકાશ નથી. કૉંગ્રેસીઓ શાંત ચિત્તે મારી દરખાસ્તોનો એના ગુણ ઉપર વિચાર કરે. મારો વિચાર ન કરે પણ પોતાની બુદ્ધિના આદેશને જ અનુસરે.”

આ નિવેદન બહાર પાડતાં પહેલાં ગાંધીજીએ પોતાના મુખ્ય મુખ્ય સાથીઓને તે જોવા મોકલ્યું હતું. ગાંધીજી કૉંગ્રેસ છોડી જાય તેની ઘણા સખત વિરુદ્ધ હતા એ અગાઉ કહેવાઈ ગયું છે. ગાંધીજીની વાત એકલા સરદારને જ પૂરે પૂરી માન્ય હતી. પોતાની એ શ્રદ્ધા જાહેર માં પ્રગટ કરવા તા. ૨૯–૯–’૩૪ના રોજ તેમણે નીચેનું નિવેદન બહાર પાડ્યું :

“ગાંધીજીના નિવેદન ઉપર મિત્રોએ તેમ જ ટીકાકારોએ જે વિચારો દર્શાવ્યા છે તે ઉપરથી મારા એ અભિપ્રાયને પુષ્ટિ મળે છે કે તાજેતરમાં વર્ધામાં કારોબારી સમિતિની બેઠક થઈ તે પહેલાં કૉંગ્રેસમાંથી નિવૃત્ત થવાના નિર્ણય ઉપર તેઓ આવ્યા હતા તે તદ્દન બરાબર હતું. જેઓ એમ કહે છે કે આ નિવેદન ધમકીના સ્વરૂપનું છે તેઓ તેમને ઓળખતા નથી. મહામુશ્કેલીએ પોતાનો નિર્ણચ આટલા વખત સુધી તેમની પાસે મોકુફ રખાવ્યો. પણ હવે તેમણે નિવેદન બહાર પાડ્યું છે એટલે હું ધારું છું કે કૉંગ્રેસની વિષયવિચારિણી સમિતિ આગળ પોતાની સ્થિતિ સમજાવવાની વેદના આનંદપૂર્વક તેઓ વેઠી લેશે. આ નિવેદન આપણી આગળ હોવા છતાં હજી આપણે કૉંગ્રેસમાં તેમની જીત થશે કે હાર થશે એ શબ્દોમાં વિચાર કરીએ છીએ તેનું મને આશ્ચર્ય થાય છે. હજી આપણે આટલી સંકુચિત રીતે વિચાર કરીએ છીએ એટલી એક બીના ઉપરથી જ મને લાગે છે કે કૉંગ્રેસમાંથી તેમણે નિવૃત્ત થઈ જવું જોઈએ. પોતાની આખી જિંદગીમાં કદી પણ અંગત વિજયની દૃષ્ટિએ તેમણે વિચાર કર્યો નથી. નીતિ (પોલિસી) અને વ્યક્તિ કરતાં તેમણે હંમેશાં સિદ્ધાંતને વધારે ઊંચું સ્થાન આપ્યું છે અને તેમના અનુયાયીઓ પણ એમ જ કરે એવો આગ્રહ રાખ્યો છે. તેમના ટીકાકારો સમજી લે કે તેઓ પોતે અને તેમના સાથીઓ હુમલો કરીને કૉંગ્રેસ કબજે કરવાનો