પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
'૩૪ની મુંબઈની કૉંગ્રેસ અને ત્યાર પછી

કર્યું. એ પરિપત્ર વાંચતાં બહુ રમૂજ ઊપજે છે. અહીં તેના થોડા મુદ્દા આપીશું :

“કૉંગ્રેસના તંત્રમાં આ બધા ફેરફારોને સાચો હેતુ હિંદી સરકારને એ જણાય છે કે કૉંગ્રેસને રાજદ્વારી અથવા પાર્લામેન્ટરી કામ કરવા માટે વધારે સંગઠિત કરવી. મિ. ગાંધી હવે એમ માને છે કે કૉંગ્રેસના સભ્યોને પાર્લામેન્ટરી કામમાં વધારે રસ છે. અત્યાર સુધી એક રાજદ્વારી પક્ષ તરીકે કૉંગ્રેસ ઉપર એવી ટીકા થતી હતી કે તે સમાજના એક જ વર્ગનું એટલે કે શહેરોના અને તેમાંયે મુખ્યત્વે કરીને હિંદુ લોકોના બુદ્ધિપ્રધાન વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આ કૉંગ્રેસમાં કરવામાં આવેલા ફેરફારોથી ભવિષ્યમાં કૉંગ્રેસ એવો દાવો કરવાની સ્થિતિમાં આવશે કે શહેરની સાથે ગામડાંના હિતોનું પણ તે પ્રતિનિધિત્વ ધરાવે છે. એ પણ શક્ય છે કે કૉંગ્રેસના બંધારણમાં જે ફેરફાર થયેલા છે તેને લીધે કૉંગ્રેસ મિ. ગાંધીના લોકપ્રતિનિધિસભા (કૉસ્ટિટ્યુઅન્ટ ઍસેમ્બલી)ના વિચારોનું પ્રતિનિધિત્વ કરશે અને જો એ પ્રયોગ સફળ થાય તો મિ. ગાંધી કૉંગ્રેસને દેશનું બંધારણ ઘડવાને માટે અને દેશનું ભવિષ્યનું રાજ્યતંત્ર ઉપાડી લેવાને માટે એક સમર્થ સંસ્થા બનાવશે.”

ગ્રામ-ઉદ્યોગ સંઘની સ્થાપનાની બાબતમાં તેઓ સાહેબ જણાવે છે કે :

“મિ. ગાંધીએ પોતે જણાવ્યું છે કે આ પ્રવૃત્તિ બિલકુલ બિન-રાજદ્વારી છે. આ પ્રવૃત્તિનો આરંભ અને મિ. ગાંધીનું કૉંગ્રેસમાંથી નીકળી જવું એ બેનો યોગ જોતાં, ઉપર ઉપરથી એમ દેખાય છે કે આ પ્રવૃત્તિ શુદ્ધ રીતે ગામડાંના પુનરુદ્ધાર માટે છે અને તેની પાછળ કોઈ જાતનો રાજદ્વારી હેતુ નથી. પણ આવો ખ્યાલ રાખવામાં કેટલીક મહત્ત્વની બાબતોની ઉપેક્ષા થાય છે. કૉંગ્રેસને તો આમજનતા ઉપર પોતાનો કાબૂ જમાવવો છે. છેલ્લા વરસમાં ઉપાડેલી સવિનય ભંગની લડતને લીધે આ ઉદ્દેશ સાધવામાં તે નિષ્ફળ ગઈ છે. સરકારને જમીનમહેસૂલ નહીં ભરવાની અને જમીનદારોને ગણોત નહીં ભરવાની લડતમાં કૉંગ્રેસને નિષ્ફળતા મળી છે અને સરકાર પ્રત્યે અપ્રીતિ ફેલાવી શકવાને બદલે જમીનદાર વર્ગમાં, ખેડૂત વર્ગમાં અને કિસાન વર્ગ માં એ અપ્રિય થઈ પડી છે. પરદેશી કાપડ તથા મિલના કાપડનો બહિષ્કાર ખેડૂત વર્ગની કલ્પનાને આકર્ષી શક્યો નથી. એટલે આમ વર્ગ સાથે એકતા સાધવા માટે તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો કાર્યક્રમ ઉપાડવાનો આ પેંતરો મિ. ગાંધીએ રચ્યો છે. તેમાં તેમને એક બીજો પણ લાભ છે. જે કૉંગ્રેસ કાર્ચકર્તાઓને પાલમેન્ટરી કામ પસંદ ન હોય તેમને આ કામ આપી શકાશે. એ નિમિત્તે તેઓ ગામડાંમાં પોતાની લાગવગ વધારી શકશે અને પોતાના રાજદ્વારી વિચારોનો ફેલાવો પણ કરી શકશે. તેઓ ગ્રામઉદ્યોગનું કામ કરવાનો દાવો કરતા હોઈ સરકાર પણ તેમના ગામડાંના વસવાટ સામે વાંધો ઉઠાવી શકે નહી. ગઈ લડત વખતે ચરખા સંઘના કાર્યકર્તાઓ એ જે રીતે વર્તતા હતા, ખાદીના કામને બહાને તેઓ લડતનું જ કામ કરતા હતા. પણ પૂરતો પુરાવો ન મળવાથી સરકાર ચરખા સંઘ સામે કંઈ પગલાં ભરી શકેલી નહીં. મિ. ગાંધીના અસ્પૃશ્યતાનિવારણના કામની સામે લોકોમાં બહુ વિરોધ જાગ્યો છે. એ પ્રવૃત્તિ હરિજનોમાં પણ પ્રિય