પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
સરદાર વલ્લભભાઈ
થઈ પડી નથી. એટલે અત્યાર સુધી જેઓ કાયદા ભંગ કરનારા હતા તેમને અસ્પૃશ્યતાનિવારણના કામની સાથે સાથે ગ્રામઉદ્યોગની કહેવાતી રચનાત્મક પ્રવૃત્તિમાં ગાંધી જોડવા ઇચ્છે છે. કાલે ઊઠીને એક મદ્યનિષેધક સંઘ કાઢીને મદ્યપાન વિરુદ્ધ અખિલ ભારતીય પ્રવૃત્તિ મિ. ગાંધી ઉપાડે તો નવાઈ નહીં.
“આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે મિ. ગાંધી ભારે ચાલાક અને વિચક્ષણ રાજદ્વારી નેતા છે. તેમનો માનસિક તેમ જ શારીરિક ઉત્સાહ જરાયે નરમ પડ્યો નથી. તેઓ જોકે કૉંગ્રેસમાંથી નીકળી ગયા છે છતાં કૉંગ્રેસના આ અધિવેશનમાં તેમની જ અંગત ફતેહ થઈ છે. કૉંગ્રેસમાં કામ કરતાં વિવિધ બળોને તેમણે પોતાના જ નેતૃત્વ નીચે રાખ્યાં છે. કૉંગ્રેસ સંસ્થામાંથી પોતે નીકળી ગયા છે છતાં એની તમામ પ્રવૃત્તિઓમાં સલાહસૂચના આપવાની સત્તા તે એમણે પોતાની પાસે રાખી જ છે.
“મિ. ગાંધીના મનમાં ખરેખર કઈ કઈ યોજનાઓ છે તે તો એમના રચનાત્મક કામની બીજી યોજનાઓ તેઓ બહાર પાડશે ત્યારે આપણને ખબર પડશે. પણ આપણે જો એમ ધારીએ કે મિ. ગાંધીની બધી યોજનાઓની પાછળનું મુખ્ય હેતુ તો રાજદ્વારી જ છે તો તેમની આ નવી ચાલમાં જોકે એ દેખીતી રીતે ગામડાંના પુનરુદ્ધારની કહેવાય છે, છતાં સંભવ છે કે પહેલાં કરતાં ઘણા વિશાળ પાયા ઉપર સવિનય ભંગની લડત માટે વાતાવરણ તૈયાર કરવાનો અને તેમાં ગામડાંની પ્રજાને વધારે મોટા પ્રમાણમાં ભેળવવાનો એક આબાદ અને ઊંડો પ્રયત્ન હોય. મારી ધારણા છે સાચી હોય તો મિ. ગાંધીની આ યોજનાઓ કેવી ભયંકર શક્યતાઓથી ભરેલી છે એ તમને સમજાશે. મિ. ગાંધી ભવિષ્યમાં ત્રણ બાજુએથી હુમલો કરવાનું વિચારી રહ્યા જણાય છે. ધારાસભાના કૉંગ્રેસ સભ્યો સરકારનાં “દમનકારી” પગલાંઓને રોકવાનો શક્ય તેટલો પ્રયત્ન કરશે, ગ્રામઉદ્યોગની સંસ્થાઓ મારફત વિશાળ પાયા ઉપર સવિનય ભંગની તૈયારી કરવામાં આવશે અને સમાજવાદીઓનો ઉદ્દામ પક્ષ જે ધીમે ધીમે સામ્યવાદી પક્ષના વધુ ને વધુ સંપર્કમાં આવતો જાય છે તે ભવિષ્યની લડતમાં કૉંગ્રેસનો મળતિયો બની રહેશે.
“વર્તમાન પરિસ્થિતિ વિશેનો મારો આ ખ્યાલ જો સાચો હોય તો સરકારે બહુ જાગ્રત રહેવાની જરૂર છે. મિ. ગાંધી કહે છે કે આવતાં ઘણાં વર્ષો સુધી સવિનય ભંગની લડત ઉપાડી શકાય એમ નથી. પણ એ વાત માનીને આપણે ગાફેલ રહેવું ન જોઈએ. એવા સંજોગો જલદી ઉપસ્થિત થવા પામે અને મિ. ગાંધીની અંગત લાગવગથી એવી પરિસ્થિતિ ઊભી થાય તો નવાઈ નથી કે થોડા જ વખતમાં તેઓ પાછા લડત ઉપાડી શકે. ભૂતકાળના અનુભવે ઉપરથી આપણે માનવું જોઈએ કે મિ. ગાંધી ગમે તેવી સૂચનાઓ આપે તોપણ મદ્યનિષેધનું કામ કરનારા સ્વયંસેવકો ફોજદારી અને આબકારી કાયદાઓને ભંગ કરવાના ગુનાઓ કરવાના જ. લોકો દારૂની લત છોડે એના કરતાં સરકારને આવક ઓછી થાય અને સરકારની વધારે પજવણી થાય એવી સ્વયંસેવકોની પ્રબળ વૃત્તિ હોય છે. કેટલાક કાર્યકર્તાઓ પોતાના ભાષણમાં અને પોતાની પત્રિકામાં રાજદ્રોહના કાયદાનો પણ ભંગ કરવાના. પ્રાંતિક સરકારોએ આ