પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
’૩૪ની મુંબઈની કૉંગ્રેસ અને ત્યાર પછી
બાબતોમાં ખબરદાર રહેવું અને ચાંપતા ઉપાયો લેવા ચૂકવું નહીં. હિંદી સરકાર તેમાં એમને સંપૂર્ણ ટેકો આપશે.
“બીજું કામ એ કરવાનું છે કે પ્રાંતિક સરકારોએ ગ્રામજનતાની આર્થિક સ્થિતિ સુધરે એવી યોજનાઓ કાઢવી. આપણી પાસે જોકે નાણાંની તંગી છે. તોપણ ગમે તેમ કરી આવી યોજનાઓ માટે નાણાં ફાજલ પાડી શકાશે. સંભવ છે કે મિ. ગાંધી જે ગ્રામઉદ્યોગની યોજના કાઢે તે સરકારે અજમાવી જોયેલી હોય અને સરકારને તે નિષ્ફળ માલુમ પડી હોય. પ્રાંતિક સરકારોએ પત્રિકા દ્વારા અને રૂબરૂ સમજૂતી દ્વારા મિ. ગાંધીની યોજનાઓની ટીકા કરવી અને તે અવ્યવહારુ છે એમ બતાવી આપવું. તેની સાથે સરકારે ગ્રામજનતા માટે કેટલું કેટલું કર્યું છે તે પણ લોકોને સમજાવવું. સરકારે ગ્રામઉદ્યોગની બાબતમાં જે જે કર્યું છે તે કહેવા ઉપરાંત ખેડૂતોની રિથતિ સુધારવા માટે કરેલાં બીજાં કાર્યોની પણ સમજૂતી આપવી અને પ્રચાર કરવો. સરકારે ઇસ્પિતાલો બંધાવી છે, શાળાઓ ખોલી છે, રસ્તાઓ બનાવ્યા છે, નહેરો ખાદી છે, બજારોની વ્યવસ્થા કરી છે, એ બધાં સરકારનાં રચનાત્મક કામો સાથે કૉંગ્રેસનાં ખંડનાત્મક કામો લોકો આગળ રજૂ કરવાં. જિલ્લા અધિકારીઓ આજ સુધી પોતાના જિલ્લામાં વાહનવ્યવહારની તથા બીજી સગવડોવાળાં અમુક અમુક મથકોએ જ ફરે છે તેને બદલે તેમણે અગાઉ જે સ્થળોએ નહોતા જતા ત્યાં પણ જવાનું રાખવું. તે માટે વિશેષ ભાડાભથ્થાંની જોગવાઈ કરવી પડે તો તે પ્રાંતિક સરકારોએ કરવી.
“સંભવ છે કે મિ. ગાંધી તથા ગ્રામઉદ્યોગ સંઘના બીજા કાર્યકર્તાઓ તેમના ગ્રામઉદ્યોગના કામમાં જિલ્લા અધિકારીઓની મદદ માંગે. આ બાબતમાં સરકારની નીતિ સ્પષ્ટ છે. તેમને મળવાની અથવા કાંઈ હકીકત પૂછે તો તે આપવાની ના પાડવી નહીં. પણ એથી આગળ જઈને કશી મદદ કરવી નહી. તેમનાં પ્રદર્શન કે મેળામાં ભાગ ન લેવો. સરકારી મકાન તેમને ઉપયોગ માટે ન આપવાં. ફંડ ઉઘરાવવામાં મદદ ન કરવી. નીચલા અધિકારીઓ અને નોકરોને તે કશી જ મદદ કરવાની રજા ન આપવી.”

આવી પત્રિકા ઉપર ટીકા ટિપ્પણીની જરૂર છે ખરી ?