પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ
એવી આશા રાખું છું. સવિનય ભંગ કરનાર સૈનિકમાં અણગમતા અંકુશો સહન કરવાની શક્તિ પણ ભરેલી હોવી જોઈએ.
“તમારી પાસે હાલ બે મુખ્ય કામ પડેલાં છે. એક તો સંકટમાં આવી પડેલા ખેડૂતોને સહાય કરવાનું અને બીજું સમિતિઓને સજીવન કરવાનું, આ બે કામને પહોંચી વળતાં હમણાં તમારી પાસે બીજાં કામોને માટે અવકાશ જ નહીં રહે. ખેડૂતોની રાહતનું કામ જ તમારી બધી શક્તિ અને વખત માગશે. હું પણ મુંબઈમાં પડ્યો પડ્યો તમને એ કામમાં જેટલી સહાય આપી શકાય તેટલી આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું.”

જેલમાં સમાજવાદને લગતાં પુસ્તકો વાંચવાથી તથા જુદા જુદા પ્રાંતના સમાજવાદીઓના સહવાસમાં આવવાથી ગુજરાતના કેટલાક કાર્યકર્તાઓ ઉપર સમાજવાદની અસર ઠીક ઠીક પડી હતી. સરદારને સમાજવાદીઓનું આ પુસ્તક-પાંડિત્ય મિથ્યા લાગતું હતું. એટલે આ સંદેશામાં સાથીઓને એ સંબંધમાં પણ ચેતવણી આપી :

“મારી ઉમેદ છે કે ગુજરાતના કસાયેલા સૈનિકો હવામાં કિલ્લા રચવાના કે દૂરના ભવિષ્યની મોટી મોટી યોજનાઓની મિથ્યા ચર્ચામાં કદી નહીં સપડાય. એકનિષ્ઠાથી આજનું કર્તવ્ય કર્યે જતાં કાલે શું કરવાનું છે તે સહેજે સૂઝી આવશે અને ભવિષ્યની ગૂંચો આપોઆપ ઊકલી જશે. છેલ્લાં પંદર વરસથી મૂગી સેવાના જે મીઠા અનુભવો તમે મેળવ્યા છે તે જોતાં તમને નવી નવી યોજનાઓ અને નવા નવા કાર્યક્રમના નર્યા પાંડિત્યમાં કશો રસ નહી પડે એવી મારી ખાતરી છે. વાતો કરનારાઓને વાતો કરવા દેજો. એમની સાથે ચર્ચામાં ઊતરવાનો આપણને સમય નથી. એમાં કશો લાભ પણ નથી. આપણે મૂંગા મૂંગા કામ કરીશું તો એવા કામનો અવાજ વાતોના રસિયાઓનાં મોં બંધ કરશે.”

પછી તેમણે મુંબઈના ગુજરાતી વેપારીઓને અપીલ કરી :

“મને જેલમાં માત્ર ખેડૂતોનું જ દુઃખ હતું. જેમાં ખેડૂતોના હાથ ઝાલવા જતા તેમને પણ પકડી લેતા એટલે ખેડૂતોને સહાય કરનાર બહાર કંઈ નહોતું. હું બહાર આવ્યો છું એટલે ખેડૂતોને એમ લાગવા માંડ્યું છે કે હવે અમારું જોનાર આવ્યો છે.
“જેનાં ઘરબાર, ઢોરઢાંખર, જમીનખેતરો જતાં રહ્યાં છે, અને જે રસ્તા ઉપર આવી ઊભા છે તેમને આપણે સાથ ન આપીએ અને મદદ ન કરીએ તો આપણે ધર્મભ્રષ્ટ થઈએ.
“અત્યારે એને લેવું પડે છે એ બહુ વસમું લાગે છે. સાત પેઢીમાં એણે હાથ લંબાવ્યો નથી એટલે એ તો નહીં લે. પણ આપણી ફરજ એને મદદ કરવાની છે. સર્વસ્વ ગુમાવી બેઠેલા ખેડૂતોને ફક્ત ઢોરઢાંખર અને ઘરવખરીની જ મદદ કરવા માટેનું બજેટ મારી પાસે આવ્યું છે તે દસ લાખનું છે. તે રકમની ટહેલ પ્રથમ તમારી પાસે જ મૂકી છે. ગુજરાતીઓ મને પાછા નહીં ઠેલે એવી મારી શ્રદ્ધા છે.”