પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
સરદાર વલ્લભભાઈ


ખેડૂતોને રાહત આપવાનું કામ તો વહેલા બહાર આવેલા કાર્યકર્તાઓએ શરૂ કરી જ દીધું હતું. ’૩૪ના મેમાં ગુજરાતના આગેવાન કાર્યકર્તાઓની એક સભા ભરૂચ સેવાશ્રમમાં થઈ હતી, તેમાં ખેડૂતોને રાહત આપવા માટે ફંડ એકઠું કરવાનું નક્કી થયું હતું. શ્રી અબ્બાસસાહેબ, ડૉ. ચંદુલાલ દેસાઈ, શ્રી દિનકરરાય દેસાઈ વગેરેએ મહેનત કરીને લગભગ દોઢ લાખ રૂપિયા એકઠા કર્યા હતા. તેમાંથી વિવિધ પ્રકારની રાહતો આપવા ઉપરાંત લડતમાં ખુવાર થયેલા સત્યાગ્રહી ખેડૂતોનાં બાળકોની કેળવણીની વ્યવસ્થા કરવાનું નક્કી થયું હતું. અમદાવાદનું શારદામંદિર, ભાવનગરનું દક્ષિણામૂર્તિ તથા આણંદની ચરોતર એજ્યુકેશને સોસાયટીની શાળાએ પોતપોતાની સંસ્થામાં વગર ફીએ તથા ભોજનખર્ચ લીધા વિના કેટલાંક બાળકોને દાખલ કર્યા હતાં. એકલા રાસ ગામનાં જ લગભગ પાંત્રીસ બાળકો હતાં. આ ફંડ થયા પછી આ સંસ્થાઓને ખેડૂતોનાં આવાં બાળકોનું ખર્ચ તેમાંથી આપવાનું નક્કી થયું. સને ૧૯૩૪ના ઓક્ટોબર મહિનામાં ગૂજરાત વિદ્યાપીઠ ઉપરથી સરકારે પ્રતિબંધ ઉઠાવી લીધો. ત્યાર પછી ૧૯૩૫ના જૂન માસમાં વિનય મંદિર શરૂ કરી જુદી જુદી સંસ્થાઓમાં ભણતાં તમામ બાળકોને વિદ્યાપીઠમાં રાખવામાં આવ્યાં.

બીજું મોટું કામ સમિતિઓને સજીવન કરવાનું હતું. ગુજરાત પ્રાંતિક સમિતિની સ્થાપના થઈ ત્યારથી જ સરદાર તેના પ્રમુખ હતા. પણ ૧૯૩૧માં તેઓ કૉંગ્રેસના પ્રમુખ થયા અને ’૩૪માં કૉંગ્રેસે ધારાસભાનો કાર્યક્રમ અપનાવ્યો ત્યાર પછી પાર્લામેન્ટરી બોર્ડના પ્રમુખ થયા, ત્યારથી ગુજરાત બહારનું તેમનું કામ ઘણું વધી ગયું હતું. એટલે ઇચ્છા હોવા છતાં ગુજરાત પ્રાંતિક સમિતિને તેઓ પૂરો વખત આપી શકે એમ નહોતું. નાશિક જેલમાં ડૉ. ચંદુલાલ દેસાઈ તેમની સાથે હતા. ત્યાં પોતે હવે પ્રમુખ ન રહેવું અને ડૉ. ચંદુલાલ દેસાઈએ પ્રાંતિક સમિતિના પ્રમુખ થવું એવી વાત થયેલી. બહાર આવ્યા પછી આ વાત પ્રાંતિક મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓ આગળ મૂકી. પણ બધાએ એવો આગ્રહ કર્યો કે સરદારે જ પ્રમુખ તરીકે ચાલુ રહેવું, એટલે તા. ૨૪–૮–’૩૪ના રોજ ડૉ. ચંદુભાઈને તેમણે નીચેનો કાગળ લખ્યો:

“તમને (પ્રમુખ થવાનો) મોહ નથી એ હું જાણું છું. હું ઇચ્છતો હતો કે બધા એકમતે તમારે માથે જવાબદારી નાખે. પણ હું જોઉં છું કે બધાને ગળે ઉતારી શકાતું નથી. એકમત ન થાય તો આપણું ન શોભે. હું અને તમે એક છીએ. બેઉ સિપાઈ છીએ. હું તમારો સિપાઈ થઈને મગરૂરીથી કામ કરી શકું છું. તમે પણ તેમ જ કરી શકો છો. છતાં આપણે આપણું તંત્ર ચલાવવું છે તેમાં આપણા સાથીઓનાં દિલ જીતવાં રહ્યાં. સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ બધાને ગળે ઉતારી શક્યો નથી. પ્રામાણિક માન્યતા હોય ત્યાં આપણે વધારે પ્રયત્ન