પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
સરદાર વલ્લભભાઈ


તા. ૧૧–૧–’૩૫ ના રોજ ફરી લખે છે :

“સમિતિમાં હું આ વખતે ન રહ્યો હોત તો સંભવ છે કે આ વખત ન આવત. પણ હું એમાંથી છૂટી શક્યો નહીં, એનું મને દુઃખ છે. પહેલી તકે જાહેર ચર્ચા ન થાય અને સમિતિને નુકસાન ન થાય તેવી રીતે હું માર્ગ શોધી લઈશ.”

શ્રી મોરારજીભાઈ ને તા. ૭–૧૧–’૩૫ના રોજ મુંબઈથી લખે છે :

“તમે મને ઓળખી શક્યા નથી એનું મને દુઃખ થયું છે. હું જોઉં છું કે, હું મારા સાથીઓને વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ નીવડ્યો છું. એમાં તમારો વાંક શો કાઢવો ? મારો નિશ્ચય તો મેં તમને જણાવ્યો જ છે. ગુજરાતના કામને નુકસાન ન થાય એ રીતે હું હઠી જવાનો છું. તેની તમારે જે તૈયારી કરવી હોય તે કરો. મારા જવાથી કશી ખોટ પડવાની નથી. મારું કોઈ જાતનું મહત્ત્વ હોય એમ હું સમજતો જ નથી, છતાં જે કાંઈ હશે તેનો ઉપયોગ ગુજરાતના કામને નુકસાન થાય એવી રીતે થશે નહીં. મને લાગે છે કે મારા અળગા થયા સિવાય મારું ખરું એાળખાણ પડવું અસંભવિત છે. આજના તમારા કંઈ વહેમ હશે અથવા અવિશ્વાસ હશે તે ત્યારે જ દૂર થશે, તે સિવાય નહીં થાય.”

તા. ૧૭–૧૨–’૩૫ના રાજ ડૉ. ચંદુલાલને લખે છે :

“ગુજરાતના જાહેર જીવનમાં વિષ પેદા થયું તેથી મારું મન ખિન્ન થઈ ગયું છે. એમાં જે રસ હતો તે હવે રહે એમ લાગતું નથી. કુટુંબની ભાવના અને પરસ્પર વિશ્વાસ ન હોય તો જૂથમાં કામ કરવાની મજા ન આવે. કેવળ સેવાભાવ હોય અને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ કે મોહ ન હોય ત્યાં આટલું બધું ઝેર થવાનો સંભવ નથી. મારી આંખ આગળથી પડદો ખૂલી ગયો છે. હું જોઈ શક્યો છું કે મારે ગુજરાતમાંથી હટી જવું જોઈએ. સૌ પોતપોતાનો માર્ગ શોધતા થઈ જશે એટલે સૌને ખબર પડી રહેશે અને મારા પરનો મિથ્યા વહેમ અને અવિશ્વાસ દૂર થશે. એ સિવાય મને બીજો માર્ગ સૂઝતો નથી. માત્ર દિલગીરી એ છે કે આપણું આખું વાતાવરણ ખૂબ કલુષિત થઈ જશે અને સૌ એકબીજાને અવિશ્વાસથી જોવા માંડશે. સૌને એકત્ર કરવાનો મારો પ્રયત્ન નિષ્ફળ ગયો છે તેથી દિલગીર છું. મારા રહેવાથી ગુજરાતનું વાતાવરણ રૂંધાતું હોય તો મારો ધર્મ છે કે મારે માર્ગ ખુલ્લો કરી આપવો જોઈએ.”

તા. ૩૧–૧૨–’૩૫ના રોજ શ્રી દિનકરરાય દેસાઈને લખ્યું :

“મેં ઘણાં વરસ સુધી થઈ શકે એટલી ગુજરાતની સેવા કરી. સમિતિમાં હોદ્દા ઉપર રહેવાથી અજાણ્યે પણ દ્વેષ અને ગેરસમજ થવાનો સંભવ છે. દરેક જગ્યાએ એમ બનતું આવે છે. એથી હું છૂટો થાઉં તો જ સરળતા થાય એમ મને લાગે છે. બીજી રીતે મારે વિશેની ગેરસમજ દૂર નહીં થાય. એ જ રીતે હું (અમદાવાદ) મ્યુનિસિપાલિટીમાંથી છોડીને ચાલી ગયો હતો, તો આજે હું એની વધારે સેવા કરી શકું છું. હું છોડવાનો તો હતો જ. માત્ર ચંદુભાઈનો માર્ગ સરળ કરી એમને વધારેમાં વધારે સહકાર મળે એ જ હેતુથી કામ કરી રહ્યો હતો. પણ ગમે તે કારણથી એ અવળું સમજી બેઠા એનું પરિણામ આપણે જોયું છે. એ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો રહ્યો. ગાય જીવે અને રત્ન નીકળે