પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
સરદાર વલ્લભભાઈ


ઉ∘ — ના. કોઈ સાક્ષીને તપાસવામાં જ આવ્યો નહોતો ને.

સરદારને આવી રીતે કાયદેસર કામ ચલાવ્યા વિના સજા કરવામાં આવી તેથી બહાર ઠીક ઠીક ખળભળાટ થયો. દિલ્હીની વડી ધારાસભામાં માલવિયાજી સરદારની ધરપકડ અને સજાના મુદ્દા ઉપર સભામુલતવીની દરખાસ્ત લાવ્યા. એ દરખાસ્ત ત્રીસ વિરુદ્ધ પંચાવન મતે ઊડી ગઈ. પણ એ દરખાસ્ત ઉપર કેટલાક બિનસરકારી સભાસદોએ ભાષણ કર્યાં તેમાં જનાબ ઝીણા સાહેબનું ભાષણ નોંધવા જેવું છે. તેમણે કહ્યું :

“નામદાર હોમ મેમ્બરના કહેવા પ્રમાણે સરદાર વલ્લભભાઈ પટેલે, તેમને પકડવામાં આવ્યા તે પહેલાં ઘણાં ભાષણો કરેલાં. હું પૂછું છું કે એ ભાષણો કાયદાથી વિરુદ્ધ હતાં ? સવાલ તો એ છે કે તેમણે કાયદાની મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું કે નહીં ? એ વિષે મારી પાસે કશી માહિતી નથી. પણ જો તેમણે પહેલાં એવાં ભાષણો કર્યાં હતાં, જેમાં તેમણે કાયદાની મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું એમ કહેવાય છે, તેવું જ ભાષણ અથવા ભાષણો અહીં પણ કરવાના હતા, અને જો તેઓ પહેલાં કાયદાનું ઉલ્લંઘન કરીને ગુના કરી ચૂકેલા જ હતા તો એને માટે યોગ્ય ઉપાય તો એ હતો, અને જિલ્લાના અધિકારીઓએ એ જ ઉપાય લેવો જોઈતો હતો, કે સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર ગુના કરવા બદલ બહુ પહેલાં કામ ચલાવવું જોઈતું હતું; પણ વાણીસ્વાતંત્ર્યના સિદ્ધાંતના મૂળમાં ઘા કરતો આવો હુકમ તેમના ઉપર બજાવવો જોઈતો નહોતો. આમ કરીને હિંદી સરકાર જે પરંપરા પાડવા માગે છે તે પરંપરા બહુ ભયંકર છે. તેમાં ભારે જોખમો રહેલાં છે. એટલે હું આ ધારાસભાને વિનંતી કરું છું કે તેઓ સમજી લે કે સરદાર વલ્લભભાઈ પટેલના કેસનો મુદ્દો બહુ મહત્ત્વનો છે. બીજી અવાંતર બાબતો ઉપર જે બોલવામાં આવ્યું છે અને જાત જાતની દલીલો કરવામાં આવી છે, તેથી ધારાસભા બીજી બાજુ દોરવાઈ જાય એ બરાબર નથી. આપણી આગળ જે ખરો મુદ્દો છે તેનો જ વિચાર કર જોઈએ.
“અલબત્ત, વિચારસ્વાતંત્ર્યનો દુરુપયોગ થઈ શકે. ઘણી વાર તેનો દુરુપયોગ થયેલો પણ છે. પણ તેના કરતાં પણ વિચારને દબાવી દેવાનો હક્ક સરકારે ધારણ કરવો એ વધારે ભયંકર છે. માનવજાતિના લાંબા ઇતિહાસમાં સરકારોએ આ જાતની સત્તાનો વધારે દુરુપયોગ કરેલો છે. આપણી આગળ ઠંડે કલેજે વિચાર કરવા જેવો સીધેસીધો મુદ્દો આ છે: કયા ઉપાયો લેવાથી રાજ્યતંત્રને વ્યવસ્થિત અને અક્કલવાળું બનાવી શકાય — આવી જાતની અટકાયતોથી કે સ્વાતંત્ર્ય આપવાથી?”