પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
સરદાર વલ્લભભાઈ


“એ બધું ભૂલી જાઓ અને આપણે એક દિવસ સ્વતંત્ર થવાના જ છીએ એવી શ્રદ્ધા રાખો. એ વખતે તમે જે કંઈ ગુમાવ્યું હશે તે બારણાં ઠોકતું પાછું આવશે. આપભોગનો બદલો આપભોગ જ છે. બદલો અને વળતરની ગણતરીથી કરવામાં આવેલો આપભોગ એ આપભોગ નથી, પણ હલકા પ્રકારનો વેપારી સોદો છે.”

લોકોને તેમણે ઉદ્યોગ અને સ્વાશ્રયની વાત કરી અને કોઈની પણ આગળ યાચક બનીને હાથ લંબાવવાનું ખેડૂત ધિક્કારે એમ કહી તેમના સ્વમાનને અપીલ કરી.

આ બધાં ભાષણોમાં મૂળ વસ્તુની મજબૂત પકડ, ઈશ્વરની દયા ઉપર અડગ શ્રદ્ધા અને દુમન પ્રત્યે પણ ક્ષમાવૃત્તિ નીતરતાં હતાં. જેલમાં ગાંધીજીના લાંબા સહવાસમાં રહેવાથી તેમનામાં થયેલા ફેરફારની છાપ તેમનાં ભાષણોમાં ચોખ્ખી જણાઈ આવતી હતી. બધાં ભાષણોમાં તેઓ કહેતા કે,

“ભલે આ લડતમાં આપણને કશું ન મળ્યું હોય પણ આપણને આત્માની શક્તિનું ભાન થયું છે, એ કાંઈ ઓછું મળ્યું નથી.
“હું પોતે નાસીપાસી કે નિરાશા માટે કશું જ કારણ જોતો નથી. હિંસાની લડાઈઓમાં પણ સિપાઈઓને થાક તો લાગે છે. તેમ આપણે થાક્યા હોઈએ તોપણ હાર્યા નથી. હા, આપણને એટલી ખબર પડી ખરી કે આપણે જે મહાન ધ્યેય આપણી સામે રાખ્યું હતું તે સિદ્ધ કરવા માટે આપણી પાસે પૂરતી તાકાત નહોતી. પણ જ્યાં સુધી આપણા આદર્શોમાં આપણે શ્રદ્ધા ખોઈ બેઠા નથી, આપણા ધ્યેયને માટે આપણો આગ્રહ મોળો પડ્યો નથી ત્યાં સુધી આપણે હાર્યા નથી. સત્તાવાળાઓને પણ એટલી તો ખબર પડી છે કે હિંદુસ્તાનમાં હજારો માણસો એવા પડેલા છે કે જેમણે સર્વસ્વનો ત્યાગ કરી સ્વરાજપ્રાપ્તિને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું છે.”

થોડા જ વખત પહેલાં રાજકીય સુધારાને લગતો જૉઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનો હેવાલ બહાર પડ્યો હતો તે વિશે તેમણે કહ્યું :

“એ ખોટા રૂપિયાને સરકાર બની શકે તે ધોકાબાજીથી અને જરૂર પડે તો બળજબરીથી દેશ ઉપર ઠોકી બેસાડવાને મથી રહી છે. કૉંગ્રેસે એની સાથે કશી નિસ્બત ન રાખવાનું નક્કી કર્યું છે. કારણ કે સત્તા છોડવાનો દેખાવ કરીને રૂપિયામાંથી પંદર આના જેટલી સત્તા સરકાર વિદેશીઓના હાથમાં રાખે છે અને બાકી રહેલા એક આના માટે જુદી જુદી કોમોને માંહોમાંહે લડાવી મારે છે. કૉંગ્રેસે કોમી પ્રતિનિધિત્વના સવાલને બાજુએ રાખીને એ ખોટા ઝઘડામાં સંડોવાવાનો ડહાપણપૂર્વક ઇન્કાર કર્યો છે. દેશમાં સંરક્ષણ અને નાણાવ્યવહાર ઉપર કાબૂ ન મળતો હોય, આપણા વેપાર રોજગાર અને ઉદ્યોગો વિકસાવવાની સ્વતંત્રતા ન મળતી હોય, સરકારી નોકરી ઉપર આપણો કશો કાબૂ ન રાખી શકતા હોઈએ તો એવા સ્વરાજનો કશો અર્થ નથી. જે સુધારા આપવાનું કહેવામાં આવે છે તેમાં આ બધી વસ્તુઓ બાદ રાખવાનો હેતુ દેખીતો છે.”