પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
સરદાર વલ્લભભાઈ


“હું તમને એટલું જ કહીશ કે કોઈ પણ માણસ ખુલ્લી આંખે જોઈ શકે એવું દમન અત્યારે ચાલી રહ્યું છે. ખાસ પસાર કરવામાં આવેલા જુલમી કાયદાઓમાંથી એક પણ પાછો ખેંચી લેવામાં આવ્યો નથી. છાપાંઓને મોઢે જબરદસ્ત ડૂચો મરાયેલો છે. છાપાંઓને લગતા કાયદાઓનો અમલ કેવી રીતે કરવામાં આવ્યો છે તેનું એક નિવેદન તા. ૪થી સપ્ટેમ્બર ૧૯૩૪ના રોજ વડી ધારાસભામાં સરકાર તરફથી રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે, ‘૧૯૩૦ થી માંડીને અત્યાર સુધીમાં ૫૦૪ છાપાં પાસે જામીનગીરીઓ માગવામાં આવેલી તેમાંથી જામીનગીરીઓ ન ભરી શકવાને કારણે ૩૫૦ છાપાઓને બંધ થવાની ફરજ પડી અને ૧૬૦ છાપાંઓએ કુલ અઢી લાખ રૂપિયા જેટલી જામીનગીરી આપી.’ બંગાળમાં તેમ જ સરહદ પ્રાંતમાં કોઈ છૂટથી હરીફરી શકતું નથી.”*[૧]
“તમે લાઠીના હુમલાનું અને જેલની ગિરફ્તારીઓનું ન સાંભળતા હો તો એનું કારણ એટલું જ છે કે સવિનય ભંગની લડત મોકૂફ રાખવામાં આવી છે અને કૉંગ્રેસ પોતાથી થઈ શકે તેટલા પ્રમાણમાં દમનકારી કાયદાઓની બરદાસ્ત કરી રહી છે. આ બધાને માથે પાર્લમેન્ટરી કમિટીની નવા બંધારણની દરખાસ્ત આવી છે એ વાંચીને મને એમ થયું છે કે તેમાં સ્વતંત્રતાનો છડેચોક ઇન્કાર છે. અમારા વિકાસ માટે તેમાં કશો અવકાશ જ નથી. એ બંધારણથી અમારા ઉપર જે કચડી નાખનારો બોજો પડે છે અને બ્રિટિશ સત્તાની પકડ મજબૂત થાય છે તે કરતાં તો હું અત્યારની છે તેવી બંધારણીય સ્થિતિ પસંદ કરું.”

આ વરસમાં જ્યૉર્જ બાદશાહના રાજ્યનો રજત મહોત્સવ આવતો હતો અને તે બહુ ઠાઠથી ઊજવવાનું સરકારે નક્કી કર્યું હતું. કૉંગ્રેસને જ્યૉર્જ બાદશાહનો કશો અંગત વિરોધ ન હતો. પણ તેના રાજ્યમાં જે વખતે હિંદી પ્રજા ઉપર આટલો જુલમ ચાલી રહ્યો હતો તે વખતે કૉંગ્રેસીઓ અથવા તો બીજા પ્રજાજનો આ ઉત્સવમાં ભાગ લે એ કૉંગ્રેસને અનુચિત લાગતું હતું. એટલે કૉંગ્રેસની કારોબારીએ દેશને સલાહ આપી કે અત્યારની પરિસ્થિતિ જોતાં કોઈએ ઉત્સવમાં ભાગ લેવો નહીં, તેમ જ તેને અંગે થનારા સમારંભમાં હાજરી આપવી નહીં. તેની સાથે એ પણ સૂચના આપી કે આપણે બાદશાહનું અપમાન કરવું નથી, માટે લોકોએ સમારંભમાં ગેરહાજર રહેવા ઉપરાંત બીજી કશી વિરોધી ચળવળ કે વિરોધી દેખાવો કરવા નહીં.


  1. * તા. ર૩મી જુલાઈ ૧૯૩૪ને દિવસે હિંદુસ્તાન સરકારના ગૃહસચિવ સર હેરી હેગે વડી ધારાસભામાં જણાવ્યું હતું કે, જેલી અને અટકાયતી છાવણીઓ (ડિટેન્યુ કૅમ્પ)માં મળીને બિનસજાવાળા અટકાયતી કેદીઓની સંખ્યા કુલ ૨૧૦૦ હતી. તા. ૧૭–૧૨–’૩૪ના રોજ કલકત્તાની હાઈકોર્ટે પરવાના વિના શસ્ત્રો રાખવાના ગુના માટે એક જણને નવ વરસની સખત કેદની સજા કરી હતી. આરોપીની પાસેથી એક રિવૉલ્વર અને છ કારતૂસો મળી આવ્યાં હતાં.