પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
સરદાર વલ્લભભાઈ


વાઈસરૉય લૉર્ડ વિલિંગ્ડન તો ગાંધીજીને કે બીજા કોઈ કૉંગ્રેસી આગેવાનને મળવા ઇચ્છતા જ ન હતા. તેમ છતાં મુંબઈના ગવર્નર સર રૉજર લમલીએ બહાર કોઈ જ ન જાણે એમ તદ્દન ખાનગી રીતે સરદારની મુલાકાત તા. ૨૦–૮–’૩૫ના રોજ લીધી એ એક મહત્ત્વની બીના ગણાય. એ મુલાકાતમાં બીજી તો ઘણી વાતો થઈ હશે પણ એ વાત ખાસ તરી આવે છે. સર રૉજરે કહ્યું કે નવા સુધારાના અમલમાં આ પ્રાંતના મુખ્ય પ્રધાન તમે થવાના છો એ વિશે મને શંકા નથી. તેના જવાબમાં સરદારે કહેલું કે હું તમને લખી આપું છું કે હું મુખ્ય પ્રધાન થવાનો નથી. ખેડૂતોની જપ્ત કરીને વેચી દીધેલી જમીન વિષે સરદાર મુલાકાતમાં વાત ન કરે એમ તો બને જ નહીં. ગવર્નરે બહુ જ ભારપૂર્વક કહેલું કે એ જમીન પાછી મેળવવાની આશા તમારે હવે રાખવી જ નહીં, તેના જવાબમાં સરદારે કહેલું કે હું તમને લખી આપું છું કે અમારા ખેડૂતોની જમીન એમનાં બારણાં ઠોકતી પાછી આવ્યા વિના રહેવાની નથી.

’૩પના નવેમ્બરમાં ભરૂચ મુકામે ત્રીજી સ્થાનિક સ્વરાજ પરિષદ ભરાઈ. સરદાર તેના પ્રમુખ હતા. ૧૯૨૭માં સુરતમાં પહેલી સ્થાનિક સ્વરાજ પરિષદ ભરાઈ ત્યારે આવી પરિષદોની ઉપયોગિતા વિષે તેમણે અશ્રદ્ધા પ્રદર્શિત કરી હતી. આ પરિષદમાં પણ તેમણે જણાવ્યું કે,

“સ્થાનિક સ્વરાજ ખાતાના પ્રધાન ઇલાકાની પરિષદના કાયમના પ્રમુખ હોવા છતાં તેમને જ આધીન વિષયોને લગતા એક પણ ઠરાવને અમલ કરાવવા જેટલી અસર સરકાર ઉપર ન પાડી શકાય, તો આવી પરિષદો ભરવાથી શો લાભ થાય એ આપણે વિચારવા જેવું છે.

“મૉન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાના અમલ પછી આપણા ઇલાકામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પ્રગતિ અટકી પડી છે અને એ સંસ્થાઓનો વિકાસ થવાને બદલે દિવસે દિવસે એનો શ્વાસ રૂંધાતો જાય છે. આ ખાતું લોકનિયુક્ત પ્રધાનને સુપરત કરવામાં આવ્યું ત્યારથી જ એને ગ્રહણ લાગુ પડ્યું છે અને ત્યારથી જ એનું તેજ દિવસે દિવસે ક્ષીણ થતું ચાલ્યું છે. એ સંસ્થાઓની જવાબદારીમાંથી સરકાર મુક્ત થયેલી હોવાથી સ્થાનિક અમલદારો એના કામમાં સહાયભૂત થવાનું છોડી દઈ અનેક સ્થળે વિઘ્નરૂપ થતા માલૂમ પડ્યા છે. અનેક વરસોથી આ સંસ્થાઓને મળતી આર્થિક મદદ બંધ કરવામાં આવી છે. તેની ઊપજનાં વાજબી સાધનો ઉપર આક્રમણ કરવામાં આવ્યું છે અને જે કર નાખવાની રજા એને મળવી જોઈએ તે રજા આપવાની સરકારે ના પાડ્યા પછી તેવા કર પોતે જ નાખી પોતાની ઊપજમાં વધારો કર્યો છે.”