પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ


ત્યાર પછી અનેક દાખલાદલીલો આપી સરકારની નીતિ કેટલી અન્યાયી હતી અને સરકારે લાજમર્યાદા છોડીને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને પજવવા માંડી હતી એ સચોટ રીતે પુરવાર કરી કહ્યું :

“સરકારની નીતિનું આ પ્રમાણે પૃથક્કરણ કરવામાં મને આનંદ નથી થતો. હું અત્યારે અંતર્દષ્ટિ કરવામાં અને આપણા પોતાને જ પ્રેમ વિચારવામાં માનું છું. પરંતુ તમે મને આ પરિષદનું પ્રમુખસ્થાન આપ્યું અને જો હું આ બધા વિષયો ઉપર મૌન સેવું તો એ સંસ્થાઓને અને તેમાં નિઃસ્વાર્થ સેવા કરનાર અનેક લોકસેવકોને અન્યાય કર્યો ગણાય. તેથી આ બધી વસ્તુઓનો ઉલ્લેખ નાછૂટકે મારે કરવો પડ્યો છે.”

ઉપસંહાર કરતાં કહ્યું :

“અનેક મુશ્કેલીઓ વચ્ચે કામ કરવાનું હોવાથી નાસીપાસ થવાને બદલે આપણી પોતાની નબળાઈઓ દૂર કરી, આત્મવિશ્વાસ કેળવી, સ્વાશ્રયી થવાના મજબૂત પ્રયત્નો કરવા એ જ આપણે માટે ઉત્તમ માર્ગ છે. સરકારની સહાયની આશા રાખવી ફોગટ છે. તેનું પોતાનું તંત્ર ચલાવવા તેની પાસે નાણાં નથી, હવે વળી નવા સુધારાના નામે એ તંત્ર વધુ મોંઘું થવાનું છે તેને અંગે થતું વધારાનું ભારે ખર્ચ પ્રજાને જ ઉપાડવાનું છે. સરકારના ઉડાઉ કારભાર ઉપર અંકુશ મૂકવાની આપણી પાસે સત્તા નથી. એટલે જે નબળાંપાતળાં સાધનો આપણી પાસે હોય તેનો બને તેટલો સદુપયોગ કરી પ્રજાને વધારેમાં વધારે ફાયદો આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.
“આપણો માર્ગ કઠણ છે. એક બાજુ સરકારની સહાનુભૂતિ નથી. નિર્બળ પ્રધાનના રાજ્યમાં આ સંસ્થાઓનો કોઈ ધણીધોરી નથી. નાનામોટા અમલદારો એના તંત્રમાં આડખીલીરૂપ થઈ પડે છે. જ્યારે બીજી બાજુ પ્રજા સદીઓથી અજ્ઞાન અને આળસમાં પડેલી છે. ગામડાંની પ્રજા શૌચાદિ ક્રિયામાં પણ લગભગ પશુદશા ભોગવે છે, ત્યાં આરોગ્યના નિયમોનું પાલન કરાવવું કેટલું બધું કઠણ છે? આપણી આ પરિસ્થિતિમાં ગાંધીજી અને તેમના સાથીઓ બીજાં કામ છોડી વર્ધાની પાસે આવેલા એક ગામમાં આજે કેટલાયે મહિનાથી ત્યાંના અજ્ઞાન અને જડ જેવા વતનીઓને તેમનાં મળમૂત્ર ઉઠાવી શૌચાદિ નિયમોનું પાલન અને આ મળમૂત્રનો સદુપયોગ કરવાનું કઠણ કામ શીખવી રહ્યા છે. નાનીમોટી ગામડાંની સાધનહીન સંસ્થાઓ માટે આ એક અમૂલ્ય દૃષ્ટાંત છે. મ્યુનિસિપાલિટી અને લોકલ બોર્ડના સભાસદોની જગ્યાએ માનમરતબાની કે સ્વાર્થ સાધવાની ઉમેદથી જવું એ પાપ છે. સેવાધર્મનું એ સ્થાન છે. ગરીબ અને અજ્ઞાન કર ભરનારાઓના નાણાંના વહીવટના ટ્રસ્ટી બની બેસવું એ ભારે જવાબદારીભર્યું કામ છે. એ જવાબદારી અદા કરવાની બુદ્ધિ અને શક્તિ પ્રભુ તમને આપો.”