પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



સાબરમતી જેલમાં

સરદારને પોતાની ડાયરી લખતા કલ્પવા એ બહુ મુશ્કેલ છે. આખા જન્મારામાં ભાગ્યે જ કોઈ વાર તેમણે ડાયરી લખી હશે. પણ સાબરમતી જેલમાં એકલા જ હતા, એટલે તેમને આ વિચાર સૂઝ્યો. તા. ૭-૩-’૩૦ થી તા. ૨૨-૪-’૩૦ સુધીની ડાયરી તેમણે પોતાને હાથે લખેલી છે. તેમાં સાબરમતી જેલમાં બનેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓનું વર્ણન પણ આવી જાય છે. વળી સરદારના ભક્તિપૂર્ણ હૃદયની, ગુજરાત વિષેની અગાધ મમતાની, બાપુજી પ્રત્યેના ભાવની આપણને તેમાં ઝાંખી થાય છે. એટલે આ પ્રકરણમાં તે આખી આપી છે.

તા. ૭-૩-’૩૦ શુક્રવાર : રાતના આઠ વાગ્યે સેન્ટ્રલ જેલ ‘સાબરમતીમાં, બોરસદથી મોટરમાં ડે. સુ. મિ. બિલીમોરિયા મૂકી ગયા. પકડતાં તેમ જ છૂટા પડતાં ખૂબ રોયો. રસ્તામાં ખૂબ ભલમનસાઈથી વર્ત્યો. રાતે જેલમાં કોરન્ટાઈન વૉર્ડ કહે છે તેમાં રાખ્યો. ત્યાં ત્રણ કામળી આપવામાં આવી. તે પાથરી સૂઈ રહ્યો.
તા. ૮-૩-’૩૦ શનિવાર : સવારે ઊઠતાં આસપાસ બધે કેદી જોયા. પાયખાનામાં જવા માટે બે બેની હારમાં બેઠેલા. એક જ પાયખાનું હતું. એકમાં જવાનું ને બીજામાં પાણી લેવાનું. આ નવો જ અનુભવ હતો. એટલે આપણે તો વિચાર જ માંડી વાળ્યો. પેશાબને માટે સામે જ ખુલ્લામાં એક કૂંડું મૂકેલું હતું. તેમાં જેને જવું હોય તે બધા જ ઊભા ઊભા પેશાબ કરે. આજુબાજુ કેદી, વોર્ડર, પોલીસ ફરતા જ હોય. એટલે એ ક્રિયા કરવાની પણ હિંમત ન ચાલી. લીમડાના સુંદર ઝાડમાંથી વૉર્ડરે દાતણ કાપી આપ્યું એટલે દાતણ કર્યું. કેટલાક ઓળખાણવાળા કેદીઓ નીકળવા લાગ્યા. જલાલપુરના ત્રણે નવા આવેલા ત્યાં જ હતા. જૂના ખડતૂસો તો તરત જ કહેવા લાગ્યા કે તમને અહીં રાખશે જ નહીં. એમની એ વાત સાચી પડી. નવ વાગ્યે વૉર્ડરે મારે માટે ખાસ સગવડ પાયખાનાની કરી. એક જ પાયખાનામાં બે કૂંડી મુકાવી. બીજો બધા કામ પતાવી આવેલા, એટલે આપણને અડધો કલાક પૂરો મળ્યો. એટલામાં જેલર અને સુપરિન્ટેન્ડેન્ટ આવ્યા. તેમણે કંઈ જોઈએ છીએ, એમ ખબર પૂછી. તેમને કહ્યું કે મહેરબાનીથી કંઈ જ ન જોઈએ. હકથી શું મળે છે, તે ખબર પડે તો વિચાર કરું. ખરી રીતે બધા કેદીને જે મળે તે મને મળે એમ હતું. ખાસ કંઈ સગવડ આપવાની રૂલમાં છૂટ નથી, એમ જાણી લીધું. પછી યુરોપિયન કેદીમાં અને હિંદી કેદીમાં કંઈ ફરક રાખવામાં આવે છે કે કેમ, તે પૂછતાં કંઈ ભેદ નથી એમ કહેવામાં આવ્યું. પરંતુ અંગ્રેજી રીતે રહેવાની આદત હોય તેવા
૧૫