પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
સરદાર વલ્લભભાઈ


ત્યાંથી યુક્ત પ્રાંત (અત્યારના ઉત્તર પ્રદેશ)ના પ્રાંતીય કિસાન સંમેલનનું પ્રમુખસ્થાન લેવા જવાનું તેમને થયું. એ પ્રમુખસ્થાન તેમણે બહુ સંકોચપૂર્વક સ્વીકાર્યું હતું. એ વસ્તુ જણાવતાં તેમણે સંમેલનમાં કહ્યું :

“આ પ્રાંતના કિસાનોની મેં કોઈ એવી સેવા નથી કરી કે જેથી આવું જવાબદારીભર્યું પદ સ્વીકારવાનો અધિકાર મને પ્રાપ્ત થાય. વળી મારા મનમાં ઊડે ઊંડે એવો પણ ભય હતો કે જે સ્થાનિક કાર્યકર્તાઓ પોતાની પૂરી શક્તિથી, તનમનધનથી રાતદિવસ તમારી સેવા કરી રહ્યા છે તેમની સાથે મારું કાર્ય પદ્ધતિમાં મતભેદ પડે તો ઊલટો હું તમને મદદરૂપ થવાને બદલે વિઘ્નકર્તા થઈ પડું. પણ તમારા આગેવાનોના પ્રેમભર્યા આગ્રહથી આ ભારે જવાબદારીનો બોજો ઉઠાવવા હું તયાર થયો છું.”

તે વખતે પંડિત જવાહરલાલજી એમનાં પત્નીની બીમારીને કારણે યુરોપમાં હતા. તેનો ઉલ્લેખ કરતાં સરદાર બોલ્યા :

“પંડિત જવાહરલાલજીની ગેરહાજરીમાં જો હું તમારી જરાસરખી પણ સેવા કરી શકું તો મારી જાતને મહા ભાગ્યશાળી માનીશ. તેમની ગેરહાજરીથી આ પરિષદ સુકાની વિનાના વહાણ જેવી લાગે છે. કિસાનોનાં દુઃખ, તેમની હાલત અને મુસીબતોનો તેમને પૂરો ખ્યાલ છે. એમણે અને એમનાં બીમાર પત્નીએ આપણા કિસાનોની જેટલી સેવા કરી છે એટલી આજ સુધી કોઈએ કરી નથી. આપણા કલ્યાણને ખાતર એમણે પોતાના બાદશાહી વૈભવોનો ત્યાગ કર્યો અને બંનેએ બાગબગીચા, ઘરબાર, કુટુંબ-કબીલો તથા પોતાની જાતને પણ બરબાદ કરી નાખી છે. રાતદિવસ જે આપણા દુઃખે દુઃખી થઈ રહ્યા છે, આપણી ગરીબાઈ જોઈ જેનું હૃદય સળગી રહ્યું છે અને જેણે આપણે ખાતર અમીરી છોડી ફકીરી સ્વીકારી છે એવા સહાયક વિના આપણે એક ડગલું પણ આગળ કેમ ભરી શકીએ ? ગેરહાજર હોવા છતાં પણ એમની આશિષ આપણા ઉપર વરસી રહી છે. તેમણે શિખવાડેલી વાતો આપણે ન ભૂલીએ એટલી શક્તિ પ્રભુ પાસે યાચીએ.”

જમીનદારો અને કિસાનો વચ્ચે કાયમ વર્ગવિગ્રહ હોવાની જરૂર નથી એ વિશેના પોતાના વિચારો સમજાવતાં તેમણે કહ્યું :

“આજના જમીનદારો ને તાલુકદારો આપણા દેશની સંસ્કૃતિની વિશિષ્ટતારૂપ નથી. આ પુણ્યભૂમિમાં ધનવાનો, જમીનદારો કે સત્તાધીશોની પૃજા કોઈ દિવસ નથી થઈ. ત્યાગી અને તપસ્વીઓનાં ચરણોમાં, ધનવાનો, જાગીરદારો અને સત્તાધીશો શિર ઝુકાવતા આવ્યા છે. ત્યાગી અને તપસ્વીઓનાં નામ અમર થઈ ગયાં છે અને ગામેગામ, ઘેરે ઘેર એમનાં ગુણગાન થઈ રહ્યાં છે. આજે આ કળિકાળમાં પણ પાશ્ચાત્ય સંસ્કૃતિની અગ્રણી સત્તાના તેજમાં તણાયા વિના અથવા એના ભપકાથી અંજાયા વિના હિંમત અને દૃઢતાથી પોતાની જાગીર અને વર્તનને જોખમમાં નાખીને, સરકારની ઇતરાજી વહોરી લઈને અને અનેક જાતનાં સંકટનો સામનો કરીને કોઈ કોઈ તાલુકદારે કે જમીનદારે આપણી સેવા કરી આપણી સંસ્કૃતિનો આદર્શ ખડો કર્યો છે. રાજસત્તા બદલાતાં જ આ