પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧
ગુજરાતનો હરિજનફાળો, લખનૌ કૉંગ્રેસ

જે પાર્લમેન્ટરી બોર્ડમાં એક કરતાકારવતા સભ્ય હતા તેઓ આ વિશે લખે છે :

“ઉમેદવારો પસંદ કરતી વખતે અમારે એ ખ્યાલ રાખવો પડ્યો કે કયો ઉમેદવાર કઈ ન્યાતનો અથવા જૂથનો છે. કૉંગ્રેસને માટે એ સારું ન ગણાય. પણ પરિસ્થિતિને કારણે અમને એમ કર્યા વગર ચાલે એમ ન હતું. અમારા પ્રાંતને (બિહારને) માટે એ શરમ અને દુઃખની વાત છે કે ઉમેદવારોની પસંદગી કરતી વખતે અમે ન્યાતજાતને ભૂલી ન શક્યા. અમારે એ વિચારવું પડ્યું કે અમુક ન્યાતના ઉમેદવારો ચૂંટાવાનો વધુ સંભવ છે. અમારે એ પણ જોવું પડ્યું કે અમુક ન્યાતના ઉમેદવારને અમે નહીં લઈએ તો આખી ન્યાત ઉપર એની મોટી અસર થશે. એટલું જ નહી, ચૂંટણીઓ ઉપર પણ તેની ખરાબ અસર થશે. અમારે એ પણ ધ્યાન રાખવું પડ્યું કે જેટલા ઉમેદવારો લેવામાં આવ્યા તેમાં બધી ન્યાતોના ઉમેદવારો આવી ગયા કે નહીં, અને તે તે ન્યાતના લોકોને સંતોષ આપી શકીએ એટલા પ્રમાણમાં આવ્યા કે નહી. એક રાષ્ટ્રીય સંસ્થાને સારુ આ બધી વાતો ગૌરવભરી ન ગણાય. પણ અમારે ચૂંટણીઓ જીતવાની હતી. સમાધાન એટલું જ હતું કે બધી ન્યાતોમાં કૉંગ્રેસના એવા કાર્યકરો મોજૂદ હતા જેમને કૉંગ્રેસની નીતિને અનુસરીને પસંદ કરી શકાય એમ હતું. એટલે કોઈને પસંદ કરતાં અમને આઘાત ન લાગ્યો. કારણ તેઓ ઘણે ભાગે બીજી બધી દૃષ્ટિએ પણ યોગ્ય હતા. પરંતુ ન્યાતજાતનો વિચાર આવવા દેવો એ સિદ્ધાંતની દૃષ્ટિએ બરાબર તો નહોતું જ.”

રાજેન્દ્રબાબુએ મુખ્યત્વે કરીને બિહાર વિશે લખ્યું છે, પણ ઓછાવત્તા પ્રમાણમાં એ સ્થિતિ બધા પ્રાંતોમાં હતી એમ લાગે છે. રાજેન્દ્રબાબુનો બીજો એક અનુભવ અહીં નોંધવા જેવો છે :

“મારે ખેદપૂર્વક લખવું પડે છે કે ચૂંટણીઓના અનુભવે મને એમ માનવાની ફરજ પડી છે કે, ઘણા કૉંગ્રેસીઓ પોતાની સેવાઓની કિંમત આંકવા લાગ્યા છે અને તેના બદલામાં કંઈક ને કંઈક લાભ શોધવા મંડ્યા છે, પછી ભલે એ પ્રાંતિક ધારાસભાનું કે વડી ધારાસભાનું સભ્યપદ હોય, લોકલ બોર્ડ કે મ્યુનિસિપાલિટીનું સભ્યપદ હોય, અથવા તેમાં કંઈ હોદ્દો લેવાનું હોય અથવા કંઈ નહીં તો છેવટે કૉંગ્રેસની સમિતિઓમાં જ કઈક પ્રતિષ્ઠાવાળું અને અધિકારવાળું સ્થાન હોય. આ બધી જગ્યાએ જઈને માણસ સેવા કરી શકે એમાં શંકા નથી. કેટલીક જગ્યાએ કામ કરવાથી સેવાની શક્તિ વધે પણ છે. ને એ જ ભાવનાથી એ પદો કે હોદ્દા લેવાની ઇચ્છા રાખવામાં આવતી હોય તો ઠીક, પણ એ ઇચ્છાની પાછળ સેવાભાવનું બળ રહેલું છે, કે પોતાની અંગત મહત્ત્વાકાંક્ષાનું, તે કોણ કહી શકે ? એ તો કદાચ માણસ પોતે પણ બરાબર ન કહી શકે. કારણ કે આવી બાબતોમાં ઘણી વાર માણસ પોતાને છેતરે છે અને પોતાના મનને મનાવી લે છે કે તે મહત્ત્વાકાંક્ષાથી નથી ખેંચાતો, પણ સેવા કરવા જ જાય છે.”