પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦
સરદાર વલ્લભભાઈ

સ્વીકારવાનું કબૂલ કર્યું પણ મેયર ચૂંટાઈ ગયા પછી તેઓ એ વાત ભૂલી જ ગયા !

સરદારે પોતાની કેફિયતના અંતમાં શ્રી નરીમાન ઉપર નીચે પ્રમાણે ચોક્કસ આક્ષેપો મૂક્યા :

૧. મુંબઈ શહેરની બે બેઠકોમાંથી એક બિનકૉંગ્રેસી ઉમેદવાર સર કાવસજી માટે ખુલ્લી રહેતી હતી ત્યાં સુધી બીજી બેઠક માટે ઊભા રહેવા શ્રી નરીમાન તૈયાર હતા.
૨. પણ બંને બેઠકો માટે કૉંગ્રેસના ઉમેદવારો ઊભા કરવાનું નક્કી થયું ત્યારથી શ્રી નરીમાનનો ચૂંટણીમાંથી રસ ઊડી ગયો.
૩. ૧૯૩૪ના જુલાઈમાં ઉમેદવાર તરીકે તેમનું નામ નક્કી કરવામાં આવેલું હોવા છતાં ચૂંટણી માટે કામ કરવાનો તેમને કશો પ્રયત્ન કરેલો નહીં.
૪. સર કાવસજીને હરાવવાની ખાતર તેમણે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે એવું તેઓ પૂરેપૂરું જાણતા હોવા છતાં તા. ૧લી ઑક્ટોબર પછી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાના તેમણે અનેક પ્રયત્નો કર્યા.
૫. ચૂંટણી વખતે લડવા માટે ખર્ચની તેમને ખાતરી અપાયા છતાં તેમણે પોતાની ઉમેદવારી કાયમ રહે તે માટે કશાં સક્રિય પગલાં ભર્યાં નહીં.
૬. મતદારોની યાદીમાં ‘૪૫, એસ્પ્લેનેડ રોડ,’ એ સરનામું પોતાનું નથી એવું જાણતા હોવા છતાં ડૉ. દેશમુખ તથા શ્રી છોટાલાલ સૉલિસિટરને એમ માનવાને કારણ આપ્યું કે એ સરનામું પોતાનું છે અને એ પ્રમાણે શ્રી છોટાલાલે ઉમેદવારીપત્ર ભર્યું તેના ઉપર પાતે સહી કરી આપી.
૭. છેક છેલ્લી મિનિટે પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લઈને તેમણે ઇરાદાપૂર્વક કૉંગ્રેસની પ્રતિષ્ઠાને ફટકો માર્યો.
૮. તેમનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી નહી લેવાની મારી ચોક્કસ સૂચના હોવા છતાં તેનો તેમણે છડેચોક ભંગ કર્યો.
૯. વડી ધારાસભાના મતદારોની યાદીમાં પોતાનું નામ ન હોય તોપણ અમુક નિયમ પ્રમાણે તેઓ ઉમેદવારી કરી શકે છે એમ વારંવાર કહેવામાં આવ્યા છતાં તેમણે પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું.
૧૦. બીજું ઉમેદવારીપત્ર નોંધાવવાનો પૂરતો સમય અને પૂરતી તક હોવા છતાં તેમણે બીજું ઉમેદવારીપત્ર નોંધાવ્યું નહીં.
૧૧. શ્રી નરીમાનનું ઉમેદવારીપત્ર છેલ્લી તપાસણીમાં નામંજૂર થાય તો જ શ્રી મુનશીએ ઊભા રહેવાનું છે એવી સ્પષ્ટ સમજૂતી તેમની સાથે થયેલી હતી તેનો ભંગ કરીને તેમણે વિશ્વાસભંગ કર્યો છે.
૧૨. અધિકારીઓએ તેમનું ઉમેદવારીપત્ર સ્વીકારવાની ના પાડેલી નહીંં હોવા છતાં તેમણે બીજું ઉમેદવારીપત્ર આપેલું જ નહોતું અને મને તથા લોકોને ખોટી રીતે એવું મનાવ્યું કે તેમણે બીજું ઉમેદવારીપત્ર ભર્યું છે.
૧૩. કોંગ્રેસ ઉમેદવારને ટેકો આપવાની પારસી કોમને અપીલ કરવાનું તેમને કહેવામાં આવ્યું છતાં તેમણે એમ કરવા ના પાડી.