પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
સરદાર વલ્લભભાઈ


તા. ૨૫-૩-’૩૦ : મંગળવાર. ખેડાના કલેક્ટરનો જવાબ આવ્યો, તેની માવળંકરને ખબર આપી. બીજું બધું દરરોજ પ્રમાણે. જુલાબ લીધો તેથી રાત્રે એક વાગ્યે ઊઠવું પડ્યું,

તા. ૨૬-૩-’૩૦ બુધવાર; મનસુખલાલ મળવા માટે રજા મંગાવે છે. મંગળવારે આવવા લખાવ્યું. બાકી રોજની માફક.

તા. ર૭–૩-’૩૦ ગુરુવાર: ત્રણ વાગ્યે ઊઠ્યો. પ્રાર્થના વગેરે રોજ માફક. મનસુખલાલનું કેરીનું પાર્સલ આવ્યું. માવળંકર અને બલુભાઈ મળવા આવ્યા. જેલ સુપરિન્ટેન્ડેન્ટ શનિવારે રાત્રે અહીંથી જાય છે, તેથી છેવટના મળવા આવ્યા.

તા. ૨૮-૩-’૩૦ શુક્રવાર : દરરોજ પ્રમાણે.

તા. ૨૯-૩-’૩૦ શનિવાર : સાડાત્રણ વાગ્યે ઊઠ્યો. આજે બારડોલી અને માતર મહેમદાવાદના સરકારી હુકમ લઈ મહાદેવ મળવા આવ્યો. જેલ સુપરિન્ટેન્ડેન્ટને છેલ્લી સલામ. બાકી હંમેશ મુજબ.

તા. ૩૦-૩-’૩૦ રવિવાર: આજે અઢી વાગ્યે ઊઠ્યો. જેલ સુપરિન્ટેન્ડેન્ટ મિ. અડવાણી આજે ગયા. અને નવા મિ. લેકસ્ટન આવ્યા. બીજું હંમેશ મુજબ.

તા. ૩૧-૩-’૩૦ સોમવાર: આજે નવો સુપરિન્ટેન્ડેન્ટ સવારે જેલર સાથે આવીને મળ્યો. અંબાલાલભાઈની છ ચોપડીઓ વાંચી નાખી છે, તે આજે પાછી મોકલી. તેમણે બીજી ત્રણ મોકલી. સૌ. સરલા દેવીએ અથાણું, પાપડ વગેરે મોકલ્યું તે જેલર આપી ગયો. ડૉ. ફોજદાર આવ્યા. મૉ અને જીભ જોઈ દવા આપવાનું કહી ગયા. પછી ફરી આવવા કહ્યું.

તા. ૧-૪-’૩૦ મંગળવાર: ‘મૉડર્ન રિવ્યૂ’ અને ‘પંચ’ વગેરે મૅગેઝીન આપ્યાં. આજે મનસુખલાલ આવવાના હતા તે આવ્યા નહીં. તેમનો કાગળ પણ આવ્યો હોય તેવી ખબર ન મળી. તેથી તપાસ કરી. જેલર માંદો પડી ગયો છે. ડે. જેલર આવ્યો તે ખબર આપી ગયો કે કાગળ પણ નથી. આથી નવાઈ તો લાગી. ડૉક્ટરે કોગળા કરવાની દવા આપી. જુલાબની દવા પણ મોકલી. રાત્રે જુલાબ લીધો.

તા. ૨-૪-’૩૦ બુધવા૨ : જુલાબ સવારે ઠીક થયો. છ વાગ્યા સુધી સૂઈ રહ્યો. ખેરાક કમી કરી નાખ્યો. ખોરાકમાં તો જ્યારથી મરજીમાં આવે તે ખાવાની છૂટ મળી છે ત્યારથી બે ત્રણ દિવસ અખતરા કરી, સાંજના માત્ર દૂધ, ભાત અને બપોરના રોટી, માખણ, ભાત, દહીં, દાળ, શાક ખાવાનું રાખ્યું.

તા. ૩-૪-’૩૦ ગુરૂવાર : આજે ડૉ. ફોજદાર આવ્યા નહીં. ડેવિસ સવારે મળી ગયો. ખૂબ વાતો કરી ગયો. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાં જવાનો ખૂબ આગ્રહ કરવા લાગ્યો. પોતે સાથે આવવા ઇચ્છા જણાવી. જેલર હજી માંદો જ છે.

તા. ૪-૪-’૩૦ શુક્રવાર: આજે જેલર નોકરી પર ચડ્યો. સુપરિન્ટેન્ડેન્ટને સાથે લાવ્યો. મનસુખલાલના કાગળની વાત પૂછતાં સુપરિન્ટેન્ડેન્ટ તરત જ બોલ્યો કે કાગળ તે જ દિવસે આવ્યો છે. તમને કહેવાનું ચૂકી ગયો. ડૉ. ફોજદાર આવ્યા. ફળ લેવાની સલાહ આપી ગયા. તે મોકલવા માટે ડૉ. કાનૂગાને કહેવાનું જણાવ્યું.