પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬
સરદાર વલ્લભભાઈ
અને સાચું સરનામું આપેલું છે. એ પણ વિચિત્ર લાગે છે કે પોતાના નિવેદનમાં કહે છે તેમ છેક ૧૧મી તારીખે અથવા તે અરસામાં પોતાના ભાઈની ઓફિસમાં તેમણે તપાસ કરી ત્યારે જાણ્યું કે ‘૪૫, એસ્પ્લેનેડ રોડ,’ એ પોતાના ભાઈનું સરનામું છે. સરદાર વલ્લભભાઈએ તેમને સૂચના આપેલી કે પોતાનું પહેલું ઉમેદવારીપત્ર પાછું ન ખેંચી લેવું અને પ્રાંતિક ધારાસભાના મતદારપત્રકમાં પોતાનું નામ છે એ આધારે બીજું ઉમેદવારીપત્ર ભરવું. હવે તા. ૧૧મી ઑક્ટોબરે શ્રી નરીમાને કલેક્ટરની ઓફિસમાં બીજું ઉમેદવારીપત્ર આપ્યું કે નહીં એ તકરારી પ્રશ્ન છે. શ્રી નરીમાન બીજું ઉમેદવારીપત્ર આપ્યાનું કહે છે. જ્યારે ડૉ. દેશમુખ, ડૉ. સાઠે, શ્રી છોટાલાલ સૉલિસિટર અને કલેક્ટર પોતે, એમ ચારે જણા કહે છે કે શ્રી નરીમાને બીજું ઉમેદવારીપત્ર આપ્યું નહોતું. પહેલું ઉમેદવારીપત્ર તો શ્રી નરીમાને ઈરાદાપૂર્વક પાછું ખેંચી લીધું એમ તેઓ કહે છે. એની સાથે તેઓ કબૂલ કરે છે કે ઉમેદવારીપત્ર ભરવાના નિયમ પ્રમાણે તેઓ એક ઉમેદવારીપત્ર રદ કરાવીને તેને બદલે બીજું ઉમેદવારીપત્ર દાખલ કરાવી શકતા હતા. શ્રી નરીમાન એટલું તો જાણતા હોવા જોઈતા હતા કે તેમને એટલા માટે ઉમેદવાર તરીકે નહોતા પસંદ કરવામાં આવ્યા કે તેઓ મુંબઈના બિનપારસી મતદારોમાં બહુ લોકપ્રિય છે. પણ ખાસ એટલા માટે પસંદ કરવામાં આવ્યા હતા કે કૉંગ્રેસ વિરોધી પારસી ઉમેદવારની સામે તેઓ ઘણા પારસી મતો મેળવી શકે. પણ તેમણે તો પોતાની ઉમેદવારી જ પાછી ખેંચી લીધી. તેમના આ વર્તનથી કૉંગ્રેસ પક્ષને તેમણે ધોખો દીધો તે સિવાય બીજું શું કહી શકાય ?
“શ્રી નરીમાન પોતાનો બચાવ એ રીતે કરે છે કે કલેક્ટરને ત્યાં પોતાનું પહેલું ઉમેદવારીપત્ર, તેમાંનું સરનામું ખોટું હોવાની ખબર પડ્યા પછી તેણે રહેવા દીધું હોત તો છેતરપિંડીના અને બીજા માણસને બદલે પોતે ખોટી રીતે રજૂ થયાના ફાજદારી ગુનાને તેઓ પાત્ર થાત. આ બાબતમાં કાયદો જોતાં મને એમ લાગે છે કે એક માણસને બદલે ખોટી રીતે પોતે મત આપે તો ચૂંટણીના નિયમ પ્રમાણે ગુનો થાય. પણ અહીં તો પોતાનું ખરું નામ અને ઠેકાણું ભરીને તેણે બીજી ઉમેદવારીપત્ર આપવાનું હતું. એટલે ગુનાની શંકાને માટે કારણ જ રહેતું નથી. વળી બીજું ઉમેદવારીપત્ર જેને આધારે ભરી શકાય તે નિયમના અર્થ વિષે શ્રી નરીમાન શંકા ઉઠાવે છે. તેમને જો શંકા હતી તો તેમણે બીજા કોઈની સલાહ કેમ ન લીધી ? શ્રી નરીમાન બાહોશ અને અનુભવી વકીલ છે તેથી જ હું આ ટીકા કરું છું. આ બધી હકીકતો ચોકસ એમ સૂચવે છે કે ચૂંટણીમાં ઊભા રહેવાની શ્રી નરીમાનને બિલકુલ મરજી જ નહોતી. સરદારના વર્ધાથી પાછા આવ્યા પછી તા. ૧૪મી ઑક્ટોબરે સરકાર ઉપર વિરોધનો તાર મોકલવામાં તેમણે જે ગલ્લાંતલ્લાં કર્યાં અને છેવટે પરાણે તાર ઉપર સહી કરી એ હકીકત ઉપર વિશેષ ટીકાની જરૂર નથી.”

હવે બીજો મુદ્દો લઈએ. એ મુદ્દા ઉપર શ્રી નરીમાનની ફરિયાદની વિગતો આ પ્રકરણના પહેલા ભાગમાં આવી જાય છે. એટલે અહીં માત્ર શ્રી બહાદુરજીના ચુકાદાનો જ સાર આપીશું. શ્રી બહાદરજી કહે છે કે,