પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૭
નરીમાન પ્રકરણ — ૨


“શ્રી નરીમાને બહુ લાંબું નિવેદન મારી પાસે રજૂ કર્યું છે. તેમના કહેવાનો સાર એ નીકળે છે કે કૉંગ્રેસી ધારાસભ્યોએ કોને પોતાનો નેતા ચૂંટવો એ બાબત પોતાનો કંઈ પણ અભિપ્રાય વ્યક્ત કરવાનો સરદાર વલ્લભભાઈને અધિકાર ન હતો. તે ગમે તેમ હોય. મારી આગળ જે પુષ્કળ પુરાવા રજૂ થયા છે તેમાંથી નેતાની ચૂંટણી બાબતની હકીકતો તારવી કાઢતાં તે બહુ સાદી અને સ્પષ્ટ જણાય છે. પુરાવા ઉપરથી એમ લાગે છે કે કોને નેતા ચૂંટવો એ વિષે પહેલો વિચાર શ્રી ગંગાધરરાવ દેશપાંડે, શ્રી શંકરરાવ દેવ, તથા શ્રી અચ્યુત પટવર્ધને ૧૯૩૭ના ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં કર્યો. અને તેમનો અભિપ્રાચ એવો થયો કે શ્રી નરીમાન અથવા તો શ્રી મુનશીને નેતા બનાવવા એ યોગ્ય નથી. તેમનો વિચાર સરદાર વલ્લભભાઈને જ નેતા બનાવવાનો હતો અને તેઓ જો ના પાડે તો શ્રી ખેરને તેઓ નેતા બનાવવા ઇચ્છતા હતા. તે ઉપરથી તેમણે શ્રી વલ્લભભાઈને આગ્રહ કર્યો અને પંડિત જવાહરલાલજીને તથા મહાત્મા ગાંધીને પણ તેમને કહેવા કહ્યું. પણ સરદારે માન્યું જ નહીં, એટલે તેમણે શ્રી ખેરનું નામ સૂચવ્યું અને એમને વિષે શ્રી સરદારનો અભિપ્રાય પૂછ્યો. સરદારે કહ્યું કે નેતાની ભારે જવાબદારી ઉઠાવવા શ્રી ખેર તૈયાર થતા હોય તો મારો કશો વાંધો નથી. તે ઉપરથી માર્ચની ૨જી, ૩જીના અરસામાં મુંબઈમાં તેઓ શ્રી ખેરને મળ્યા. પુરાવા ઉપરથી જણાય છે કે શ્રી ખેરને નેતા થવાનું કહેવામાં આવતું હતું તે હકીકતથી શ્રી નરીમાન અજાણ નહોતા. તે જ અરસામાં શ્રી નરીમાનની સરદાર સાથેની વરલીવાળી મુલાકાત થઈ. એ મુલાકાતમાં સરદારે શ્રી નરીમાનને સાફ જણાવ્યું કે તમને નેતા બનાવવામાં આવે એ વાતને મારો ટેકો નથી. ૧૯૩૪ની વડી ધારાસભાની ચૂંટણી પ્રસંગે શ્રી નરીમાને જે વર્તન બતાવેલું તેથી એમને વિષે પોતાને અસંતોષ છે એ પણ તેમણે કહ્યું. સાથે સાથે એ પણ જણાવ્યું કે સઘળા ધારાસભ્ય તમને નેતા બનાવવા ઇચ્છતા હશે તો હું તેનો સક્રિય વિરોધ કરીશ નહી. પછી ૧૦મી માર્ચે મુંબઈ શહેરના ધારાસભ્યોઓની સભા થઈ જેના શ્રી નરીમાન પ્રમુખ હતા. એ સભામાં ઠરાવવામાં આવ્યું કે પક્ષના નેતા તથા હોદ્દેદારોની ચૂંટણી સર્વાનુમતે થવી જોઈએ. વધુમાં એમ પણ ઠરાવવામાં આવ્યું કે સરદાર વલ્લભભાઈએ કર્ણાટક તથા મહારાષ્ટ્રના આગેવાનોને મળીને તેમના વિચારો જાણી લેવા, જેથી નેતાની ચૂંટણીની સભામાં સર્વાનુમતે કામ થાય. મુંબઈના આ ઠરાવની જાણ શ્રી નરીમાને જ સરદારને કરી હતી.
“મહારાષ્ટ્ર અને કર્ણાટકના સભ્યો તા. ૧૧મી માર્ચે મુંબઈમાં આવ્યા અને સરદારગૃહમાં ઊતર્યા. સરદારગૃહમાં શું શું બન્યું એ વિષે શ્રી નરીમાને તથા શ્રી દેશપાંડે, શ્રી દેવ તથા શ્રી પટવર્ધને પોતાનાં નિવેદનો આપ્યાં છે. પણ નરીમાન ત્યાં હાજર નહોતા એટલે મારે શ્રી દેશપાંડે, શ્રી દેવ તથા શ્રી પટવર્ધનનાં નિવેદન ઉપર જ આધાર રાખવાનો રહે છે. તેમના નિવેદનનો મુખ્ય મુદ્દો એ છે કે જિલ્લાના નેતાઓને હક હતો તેમ ફરજ પણ હતી કે પોત પોતાના જિલ્લાના ધારાસભ્યોને નેતાની ચૂંટણી બાબત દોરવણી આપવી. આ હક અને ફરજની રૂએ શ્રી નરીમાન, જેમને તેઓ વર્ષોથી ઓળખતા હતા તેમની વિરુદ્ધ